ભવિષ્યમાં રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સના ઓર્ડર મળશે-PM મોદી
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો આત્મ વિશ્વાસ આજે બુલંદ છે.
રાજકોટ જિલ્લાના જામકંડોરણા ખાતે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જનસભાને સંબોધતા કહ્યું હતું કે, ગુજરાતનો આત્મ વિશ્વાસ આજે બુલંદ છે. ગુજરાતના આંતરિયાળ એવા જામકંડોરણામાં પહેલીવાર કોઈ વડાપ્રધાન આવ્યા હોય તેવો આ પહેલો પ્રસંગ છે. તેમણે કહ્યું હતું કે, કચ્છ-કાઠિયાવાડ અને રાજકોટની જનતાની ભાવનાઓ અને આકાંક્ષાઓને આદેશ માન્યા છે. એ આદેશોને પૂર્ણ કરવામાં પોતાની જાતને ખપાવી છે.

વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે, બે દાયકાઓ પહેલાં ગુજરાત સૂકું ભઠ હતું, દરિયાઈ સીમાઓના વિસ્તાર વિકાસથી વંચિત હતો. જ્યારે આજે ગુજરાત એટલે વિકાસ અને વિકાસ એટલે ગુજરાત. વિકાસ આજે જન આંદોલન બની ગયું છે અને રાજકોટ શિક્ષણ હબ બન્યું છે. ગુજરાતના ગામડાના યુવાનો હવે માતૃભાષામાં મેડિકલ અને એન્જીનિયરિંગ ભણી શકશે.
તેમણે કહ્યું કે, રાજકોટ ગુજરાતના ચમકતા સિતારાની જેમ છે. ૨૦-૨૫ વર્ષ પહેલાં કોઈને કલ્પના પણ નહોતી પણ આજે રાજકોટ ઓટોમોબાઇલ હબ બન્યું છે. આજે જમાનો આઈટીનો છે ત્યારે આ ક્ષેત્રમાં ૮૦૦થી વધુ નવા યુનિટ ઊભા કર્યા હોવાનું તેમણે જણાવ્યું હતું.
તેમણે કહ્યું કે, ગુજરાતે સમુદ્ર કિનારાને જાગતો કર્યો છે અને બંદરોને દેશના પ્રવેશદ્વાર બનાવ્યા છે. જ્યારે હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ રાજકોટને દુનિયા સાથે જોડશે. એ દિવસો દૂર નથી જ્યારે રાજકોટના કારખાનેદારોને વિમાનના સ્પેર પાર્ટ્સ બનાવવાના ઓર્ડર મળશે.
રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા અંગે તેમણે કહ્યું કે, પહેલા ઊભા પાક લણાઈ જતા, સાંજે બહેન દીકરીઓની છેડતીઓ થતી, પણ હવે એ દ્રશ્યો બદલાયા છે. તેમણે કહ્યું કે, નરેન્દ્ર-ભૂપેન્દ્રની સરકાર નવી ઉદ્યોગ પોલિસી લાવી છે, જેના કારણે લઘુ ઉદ્યોગકારો માટે બંને હાથમાં લાડુ જેવી સ્થિતિ છે. ઉદ્યોગોને નક્કર દિશા આપતી નવી નીતિ બદલ તેમણે ગુજરાત સરકારને અભિનંદન આપ્યા હતા.
તેમણે કહ્યું કે, ૪૦ વર્ષ સુધી ખેડુતોએ પાણી માટે વલખાં માર્યા હતા, તેમની જમીન અને જીંદગી સુકી ભઠ થઈ ગઈ હતી. રાહતકામોમાં ખાડા ખોદીને ગુજરાન ચલાવતા હતા. છેલ્લા અઢી દાયકાની વિકાસ યાત્રામાં અમારી સરકારે ખેડુતોની પાણી માટેની તરસને તૃપ્ત કરી છે. ખેડુતોને પાણીદાર બનાવ્યા છે. અત્યારે ગુજરાતનો એગ્રીકલ્ચર ગ્રોથ 9થી 10% નો થયો છે. મા નર્મદાના પાણીના સ્પર્શથી સૌરાષ્ટ્રની ભૂમી પર સોનું ઊગી નિકળ્યુ છે. કપાસ અને મગફળીના પૂરતા ભાવ ખેડૂતોને મળતા થયા છે.
ગુજરાતની નવી પેઢીને ને તેમણે કહ્યું હતું કે, આવનારા ૨૫ વર્ષે સુધી આ વિરાટ વિકાસ વૃક્ષના ફળોને વિશ્વ સમક્ષ લઈ જવાના છે. આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત દેશનો અમૃતકાળ ચાલી રહ્યો છે પરંતુ ગુજરાતનો સ્વર્ણિમ કાળ ચાલી રહ્યો છે. બેટદ્વારકામાં થયેલા ડિમોલીશનનો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું હતું કે, ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં બેટ દ્વારકાની શકલ-સુરત બદલાઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ગુજરાતને બદનામ કરનારા લોકોની ફાવ્યા નથી. ગુજરાતને બદનામ કરવાના કારસાઓની આગમાં ગુજરાત તપીને સ્વર્ણિમ ગુજરાત બન્યું છે. અંતમાં તેમણે કહ્યું હતું કે, અમારે ગુજરાતના ઉજ્જવળ ભવિષ્ય માટે કાર્યો કરવા છે. બાળકો માટે ઉત્તમ પઢાઈ, યુવાનો માટે ઉત્તમ કમાઈ અને વડીલો માટે ઉત્તમ દવાઈની સુવિધાઓ પ્રદાન કરવી છે.
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે, પ્રધાનમંત્રી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતની પ્રજા પાણી, વીજળી , શિક્ષણ , રોજગારી સહિતના અનેક પ્રશ્નોથી પીડાઈ રહી હતી. નરેન્દ્રભાઈએ આ પીડા સમજી પીવાના પાણીની સમસ્યા માટે નર્મદાના પાણીની સૌની યોજનાથી સૌરાષ્ટ્ર કચ્છ પહોંચાડી તરસ છીપાવી, ખેડૂતોને ૨૪કલાક વીજળી, શિક્ષણ અને રોજગારી ક્ષેત્રે અનેક પગલાંઓ લઈ યુવાઓને નવી દિશા પુરી પાડી છે.












Click it and Unblock the Notifications
