યુવાનોના ‘ઇન્નોવિટિવ આઇડિયા’ સર્જશે ગતિશીલ ગુજરાતની શ્રેષ્ઠ આવતીકાલ
ગાંધીનગર, 7 જાન્યુઆરી: રાજ્ય સરકારે વાયબ્રન્ટ સમિટ ૨૦૧૫ પહેલાં જાહેર કરેલી નવી ઔદ્યોગિક નીતિ અનુસાર રાજ્યના MSME એકમોને વિશેષ પ્રોત્સાહનો આપ્યા છે, સાથે સાથે રાજ્યના શિક્ષિત યુવાનોના નવપ્રવર્તક વિચારો-ઇન્નોવેટિવ આઇડિયાને પણ રાજ્યના વિકાસ સાથે જોડવા શ્રેષ્ઠ પ્રોત્સાહન આપ્યું છે. જેના કારણે રાજ્યના યુવાનોના ઇન્નોવેટિવ આઇડિયા વાસ્તવિક સ્વરૂપ ધારણ કરે તે માટે હવે રાજ્ય સરકાર પ્રોત્સાહક નીતિઓ દ્વારા ઉદ્દીપકનું કાર્ય કરશે. યુવા નવસંશોધકોના સંશોધનો-વિચારો ઉદ્યોગો સાથે જોડાઇને રાજ્યની ઉત્પાદન પ્રક્રિયાને વધુ સક્ષમ, સુદઢ અને સ્પર્ધાત્મક બનાવે એટલું જ નહીં ગુજરાત આવા નવઉત્પાદનોનું વૈશ્વિક નેતૃત્વ લે તે માટેનો રાજ્ય સરકારનો આ પ્રયાસ છે તેમ પણ સૌરભ પટેલે જણાવ્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉપાડેલા Make in India ના સપનાંને ચરિતાર્થ કરવા મુખ્યમંત્રી આનંદીબેન પટેલના કર્મઠ નેતૃત્વામાં ગતિશીલ ગુજરાતે પુરુષાર્થ આદર્યો છે. આવા સંજોગોમાં ભારતના વિકાસ માટે ગુજરાતનો વિકાસ એ કર્મસુત્રને સાકાર કરવા ગુજરાતે નવયુવાનોના ઇન્નોવેટિવ આઇડિયાને મૂર્ત સ્વરૂપ આપવા નવી ઔદ્યોગિક નીતિ દ્વારા સંકલ્પ કર્યો છે. રાજ્ય સરકારે આ માટે નવી સ્ટાર્ટ અપ યોજના પણ અમલમાં મૂકી છે.
રાજ્યના નાણાં અને ઊર્જા મંત્રી સૌરભ પટેલે આ નવી સ્ટાર્ટ અપ યોજના અંગે જણાવ્યુ હતું કે, યુવાનોના ઇન્નોવેટીવ આઇડિયાને જરૂરી એવા શ્રેષ્ઠ પ્રોત્સાહનો આપીને રાજ્ય સરકાર ગતિશીલ ગુજરાતની શ્રેષ્ઠ આવતીકાલના સર્જન માટે કટિબદ્ધ છે ત્યારે આ નવી સ્ટાર્ટ અપ યોજના યુવાનોના આવા સંશોધન-આઇડિયાને વાસ્તવિરૂપ આપવાનું પ્લેટ ફોર્મ બનશે.
મંત્રી સૌરભ પટેલે આ નવી યોજના અંગે વિસ્તૃત વિગતો આપતા જણાવ્યુ હતું કે, રાજ્યની વસ્તીના ૪૫ ટકા વ્યક્તિઓ ૧૫-૪૦ વર્ષની વય મર્યાદામાં છે. રાજયમાં ટેકનીકલ શિક્ષણની સગવડો ઉભી થઇ છે અને હાલમાં ૪૯ યુનિવર્સીટી કાર્યરત છે. આ ઉચ્ચી શિક્ષણ મેળવીને તૈયાર થતા યુવાનોમાં નવા વિચારો, ઇનોવેટીવ આઇડીયા અને ટેકનીકલ સંશોધન માટેની ઉત્કંઠા હોય છે. આ યુવાનોને તેમના વિચારોને વાસ્તકવિકતામાં ફેરવવા માટેની તકો ઉભી થાય તે માટે તદન નવી યોજના તૈયાર કરવામાં આવી છે.