અમદાવાદની કિડની ઈન્સ્ટીટયુટની સ્ટેમસેલ થેરાપીને આંતરરાષ્ટ્રીય મંજુરી
વિશ્વભરમાં અત્યારે સ્ટેમસેલ દ્વારા વિવિધ રીતે સારવાર અંગે સંશોધનો ચાલી રહ્યા છે. આ થેરાપીમાં ડાયાબિટીસના દર્દીના પેટના અંદરની ચરબીમાંથી જ ઇન્સ્યુલીન બનાવતા સ્ટેમસેલ દ્વારા અસરકારક સારવાર આપીને દર્દીને દવાઓમાંથી મુકિત આપવામાં આવે છે. આ શોધની સિદ્ધિ દર્શાવતા રિસર્ચને તાજેતરમાં મિલાન શહેરમાં યોજાયેલી 12મી પરિષદમાં રજુ કરવામાં આવતા વિશ્વભરના સેલ સંશોધકો આશ્ચર્યચકિત થઇ ગયા હતા.
વર્તમાન સમયમાં એવી કોઇ દવા ઉપલબ્ધ નથી જે ડાયાબિટીસને સંપુર્ણ રીતે મટાડી શકે. ડાયાબિટીસ એક વખત થાય તો જીવનભર દવા લેવી પડે છે. જેથી બ્લડસુગર પર કંટ્રોલ રાખી શકાય પરંતુ હવે સ્ટેમસેલ થેરાપી બાદ હવે ડાયાબિટીસમાં 60 થી 70 ટકા સુધી રાહત મળી શકે છે. નવી સ્ટેમસેલ થેરાપીથી લગભગ એક લાખ રૂપિયામાં ડાયાબિટીસનો ઇલાજ સંભવ છે.
અમદાવાદ સિવીલ હોસ્પિટલના પટાંગણમાં આવેલ કીડની ઇન્સ્ટીટયુટે દર્દીને પેટમાં ઇન્સ્યુલીન બનાવતા સ્ટેમસેલ વડે ડાયાબીટીસના 20 દર્દીઓને અસરકારક સારવાર આપવામાં આવી હતી. સંશોધન દરમિયાન દર્દીના પેટની અંદરની ચરબીમાં ત્રણ જીન્સ એવા જોવા મળ્યા કે જેને કાર્યરત કરતા આ સેલ ઇન્સ્યુલિન બનાવતા જોવા મળ્યા હતા. જેમાંથી પ્રેરણા લઇને 20 દર્દીઓને સ્ટેમસેલ ટ્રાન્સડિફરન્સીસ કરતા દર્દી જે 100 યુનિટ ઇન્સ્યુલીન લેતો હતો તે 10 યુનિટ ઇન્સ્યુલીન લેતો થયો હોય તેવું બન્યું છે.