કોંગ્રેસ-APP ગઠબંધનથી નારાજ છે અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલ? જાણો શું કહ્યું?
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે લોકસભા ચૂંટણી માટે સીટ શેરિંગને લઈને સહમતી બની છે. આ સહમતિમાં ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીને ફાળે આવી છે.
આ સીટ શેરિંગ વચ્ચે અહેવાલો આવી રહ્યા છે કે અહેમદ પટેલની દિકરી મુમતાઝ પટેલ નારાજ છે અને કોંગ્રેસ હાઈ કમાન્ડ સામે નારાજગી પણ વ્યક્ત કરી છે.

લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે બેઠકોની વહેંચણીને લઈને છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલી વાતચીતને આખરી ઓપ અપાયો છે.
શનિવારે કોંગ્રેસ અને AAP દ્વારા બેઠકોની વહેંચણીની સત્તાવાર જાહેરાત કરવામાં આવી. જો કે સીટ વહેંચણીની જાહેરાત સાથે કોંગ્રેસમાં પણ નારાજગીના અવાજો ઉઠવા લાગ્યા છે અને સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર રહી ચૂકેલા અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે ગુજરાતની ભરૂચ બેઠક પર પોતાની નારાજગી દર્શાવી છે.
આ ગઠબંધન બાદ કોંગ્રેસને ભરૂચ બેઠક ન મળતાં મુમતાઝ પટેલે ટ્વીટ કરીને લખ્યું કે, ગઠબંધનમાં ભરૂચ લોકસભા બેઠક ન મેળવી શકવા બદલ હું અમારા જિલ્લા કેડરની માફી માંગુ છું. હું તમારી નિરાશા સમજી શકું છું. કોંગ્રેસને મજબૂત કરવા માટે અમે સાથે મળીને ફરી સંગઠિત થઈશું. અમે અહેમદ પટેલના 45 વર્ષના વારસાને વ્યર્થ નહીં જવા દઈએ.
સીટની વહેંચણીમાં ગુજરાતની ભરૂચ લોકસભા સીટ આમ આદમી પાર્ટીના ફાળે ગઈ છે. ભરૂચ એ લોકસભા બેઠક છે જ્યાંથી અહેમદ પટેલ ચૂંટાઈને સંસદમાં ગયા હતા. આ સ્થિતિમાં અહેમદ પટેલની પુત્રી મુમતાઝ પટેલે કહ્યું છે કે, ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવાના આ નિર્ણયથી કોંગ્રેસના કાર્યકરો ખૂબ જ દુઃખી અને નિરાશ છે.
મુમતાઝ પટેલે કહ્યું કે, આમ આદમી પાર્ટી સાથેની વાતચીતમાં અમને આશા હતી કે ભરૂચ બેઠક કોંગ્રેસ પાસે રહેશે પરંતુ AAPમાં જવાનો નિર્ણય આવતાં જ પાર્ટીના કાર્યકરો નિરાશ અને દુઃખી છે. ભરૂચ બેઠક આમ આદમી પાર્ટીને આપવા સામે ખુદ રાહુલ ગાંધીએ વાંધો વ્યક્ત કર્યો હોવાનું પણ અમને જાણવા મળ્યું છે.
મુમતાઝ પટેલે વધુમાં કહ્યું કે, અમને હજુ પણ આશા છે કે કોંગ્રેસ આ બેઠક મેળવશે. પરંપરાગત રીતે આ કોંગ્રેસની બેઠક છે. આમ આદમી પાર્ટી અહીં ગઠબંધન કરવા માંગે છે કારણ કે તેમને કોંગ્રેસના સમર્થનની જરૂર છે. મુમતાઝ પટેલ ઉપરાંત અહેમદ પટેલના પુત્ર ફૈઝલ અહેમદ સહિત પક્ષના અનેક નેતાઓએ પણ ટોચની નેતાગીરીને ભરૂચ બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવારને ઉભા રાખવાની અપીલ કરી છે.
આ પહેલા ગુરુવારે મુમતાઝ પટેલે તેના એક્સ પર એક પોસ્ટ લખી હતી. આ પોસ્ટમાં મુમતાઝ પટેલે કહ્યું કે તેના પિતાએ તેને છેલ્લા શ્વાસ સુધી લડતા શીખવ્યું હતું.
જણાવી દઈએ કે, અહેમદ પટેલ ભરૂચ લોકસભા સીટ પરથી સાત વખત સાંસદ તરીકે ચૂંટાયા હતા. જો કે છેલ્લા ઘણા મહિનાઓથી ચર્ચા હતી કે કોંગ્રેસ આ બેઠક પરથી મુમતાઝ પટેલ અથવા ફૈઝલ પટેલને ટિકિટ આપશે પરંતુ હવે ગઠબંધનમાં આમ આદમી પાર્ટી આ બેઠક પરથી પોતાનો ઉમેદવાર ઉતારશે.












Click it and Unblock the Notifications
