Exclusive : સરક્રિક બનાવશે સરતાજ ?
અમદાવાદ, 15 ડિસેમ્બર : ગુજરાત વિધાનસભા ચુંટણી 2012માં છેલ્લા તબક્કે ભારત-પાકિસ્તાન વચ્ચેના સરક્રિક વિવાદ છવાયેલો રહ્યો. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ છેલ્લા ત્રણ દિવસથી આ મુદ્દાને જોરશોરથી ઉઠાવતા હતાં અને શનિવારે બીજા તબક્કાના પ્રચારના છેલ્લા દિવસે પણ મોદીએ ઉત્તર ગુજરાતમાં પોતાની ચુંટણી સભાઓમાં આ મુદ્દાને જોરશોરથી ગજવ્યો.

કેન્દ્ર સરકાર, વડાપ્રધાન, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કોંગ્રેસ પક્ષ સહિત તમામ વિરોધીઓ મોદી દ્વારા આ મુદ્દો ચગાવવાને રાજકારણ સાથે જોડી રહ્યાં છે, પરંતુ મોદી પોતાની વાત વાયુવેગે અને અસ્ખલિત પણે બોલતાં જ રહ્યાં અને સભાઓમાં ઉપસ્થિત જનમેદની પાસેથી પોતાની વાત માટે સમર્થન મેળવતાં રહ્યાં, પરંતુ શું સરક્રિકનો ચુંટણી ટાણે ઉઠાવાયેલો આ મુદ્દો મોદીને સરતાજ બનાવવામાં મદદરૂપ બનશે?
વાકપટુતા વર્સિસ સ્પષ્ટતા
ગુજરાતમાં કચ્છની દરિયાઈ સરહદે આવેલ 650 ચોરસ કિલોમીટરના વિસ્તારને સરક્રિક કહેવાય છે. દેશની સલામતી સાથે જોડાયેલ આ એક સંવેદનશીલ મુદ્દો છે અને મોદીએ ચુંટણી ટાણે આ મુદ્દો ઉઠાવી કોંગ્રેસને બચાવની મુદ્રામાં લાવી મુકી છે. જોકે વડાપ્રધાન કાર્યાલય (પીએમઓ), વડાપ્રધાન પોતે, સોનિયા ગાંધી, વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ સહિત કોંગ્રેસના તમામ નેતાઓ મોદી તરફથી ઉઠાવાતાં આ મુદ્દા અંગે સ્પષ્ટતા કરવામાં લાગી ગયાં, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે મોદીની વાકપટુતા ભારે પડે છે કે કોંગ્રેસની સ્પષ્ટતા? જોકે મોદી જે રીતે આ મુદ્દાને ચગાવી રહ્યાં છે અને જે રીતે લોકોની દેશભક્તિની લાગણીને પોતાના પક્ષે અંકે કરવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેને જોતાં એક વાત તો નક્કી છે કે મોદી પ્રજાની વચ્ચે આ મુદ્દો ઉઠાવી રહ્યાં છે અને કોંગ્રેસના નેતાઓ મોટાભાગે મીડિયા સામે સ્પષ્ટતા કરી રહ્યાં છે.
‘મોતના સોદાગર'વાળી....
ગુજરાત 2007ની વિધાનસભા ચુંટણીને મોતના સોદાગર શબ્દના કારણે કદાચ ક્યારેય નહીં ભુલે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ 2007માં ગુજરાતમાં થયેલ નકલી એનકાઉંટરો મુદ્દે મોદીનું નામ લીધા વગર તેમને મોતના સોદાગર તરીકે વર્ણવી દીધા હતાં અને સોનિયાના આ નિવેદનને જ છેલ્લી ઘડીએ ભાજપની જીતનું કારણ ગણાવાયું, પરંતુ આ વખતે સોનિયા સહિત રાહુલ ગાંધી અને મનમોહન સિંહ સુદ્ધા પોતાના પ્રવચનોમાં મોદીનું નામ લેવાનું છેલ્લી ઘડી સુધી ટાળતાં રહ્યાં. બીજી બાજું મોદીએ સોનિયા દ્વારા પોતાને દગાબાજ કહેવાની વાત ચગાવવાનો પ્રયત્ન કર્યો અને છેલ્લે તેમને સરક્રિક જેવો સંવેદનશીલ મુદ્દો જડી જ ગયો. એટલું જ નહીં, આ મુદ્દો પ્રજાની દેશભક્તિની લાગણીને સ્પર્શે છે. તેથી તે મહત્વનો મુદ્દો બની શકે છે અને જો ચુંટણી પરિણામો ભાજપ પક્ષે આવે, તો એમ કહેવામાં અતિશ્યોક્તિ નહીં રહેશે કે સરક્રિક મુદ્દો મોતના સોદાગરની જેમ કામ કરી ગયો.












Click it and Unblock the Notifications
