ઇશરત જહાં એનકાઉન્ટર: ગુજરાતના IPS અધિકારીની ધરપકડ
ગુજરાતનું ઇશરત જહાં નકલી એન્કાઉન્ટર ખુબ જ ચર્ચાનો મુદ્દો રહ્યો છે. જોકે આ કેસમાં આજે પ્રથમ ધરપકડ કરવામાં આવી છે. જેના ભાગરૂપે ઇશરત જહાં કેસમાં મહત્વની ભૂમિકા ભજવનાર આઇપીએસ અધિકારી ગીરીશ સિંઘલની સીબીઆઇએ ધરપકડ કરી છે. ગીરીશ સિંઘલ હાલમાં ગાંધીનગર ખાતે એસપી તરીકે ફરજ બજાવી રહ્યા છે અને તેમની ધરપકડ કરી લેવામાં આવી છે.
સીબીઆઇએ તેમની પર એવો આરોપ લગાવ્યો છે કે ઇશરત જહાં કેસના સાક્ષીઓને તેમણે ગેરમાર્ગે દોરવાનો પ્રયત્ન કર્યો હતો. તેમજ જે ટીમ દ્વારા ઇશરત જહાં એન્કાઉન્ટર થયું હતું તે ટીમનું તેમણે નેતૃત્વ કર્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ઇશરત જહાં એન્કાઉન્ટર 2004માં અમદાવાદમાં કોતરપુર વિસ્તારમાં કરવામાં આવ્યું હતું. જેમાં ઇશરતની સાથે તેના ત્રણ સાથીઓના પણ એન્કાઉન્ટર કરાયા હતા. આ કેસની તપાસ ગુજરાત હાઇકોર્ટે સીબીઆઇને સોંપેલો છે. આ કેસમાં હજી વધુની ધરપકડ થવાની સંભાવના છે.