ઇશરત જહાં કેસમાં IPS અધિકારી સામે વોરન્ટ ઇશ્યૂ કરાયું
સ્પેશિયલ જજ ગીતા ગોપીએ આ ચુકાદો આપ્યો હતો. અગાઉ ACJMએ પાંડેની ધરપકડ રોકવાના આપેલા ચુકાદાને ફગાવી દેતા ગીતા ગોપીએ કહ્યું હતું કે ACJMનો ચુકાદો ગેરકાયદેસર અને અયોગ્ય છે, તેમજ કાયદાની વિરુદ્ધ છે માટે તેને સુધારવો જોઇએ. ગુજરાત સીઆઇડી ક્રાઇમનાના એડિશનલ ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ તરીકે નિમાયેલા પી. પી. પાંડે હાલ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
પાંડે ઉપર 15 જૂન, 2004માં ઇશરત અને તેના ત્રણ સાથીદારોને બનાવટી એન્કાઉન્ટરમાં મારી નાખવાનો આરોપ છે. CBI ઇશરત જહાં બનાવટી એન્કાઉન્ટર કેસમાં અગાઉ આઇપીએસ ઓફિસર જી. એલ. સિંઘલ અને ડીએસપી તરુણ બારોટ સહિત છ પોલીસ અધિકારીઓની ધરપકડ કરી ચૂકી છે.
ઉલ્લેખનીય છેકે સીબીઆઈ દ્વારા પાંડેની પૂછપરછ કરવા બે વખત સમન્સ પાઠવવામાં આવ્યું હતું જો કે તેઓ હાજર નહોતા રહ્યાં. પાંડેની ધરપકડ કરવા માટે સીબીઆઇએ સ્પેશિયલ સીબીઆઇ કોર્ટમાં રિવઝિન અરજી કરી હતી, જેમાં જણાવ્યું હતુ કે, છેલ્લા કેટલાય દિવસોથી પાંડેને બોલાવવા માટે નોટિસ અપાઈ છે પરંતુ તેઓ હાજર થતા નથી આ ઉપરાંત તેમના શાહીબાગ ખાતેના બંગલે પણ તપાસ કરાઈ હતી છતાં તેઓ મળી આવ્યા નથી. આ રિવિઝન અરજી પર સુનાવણી થતા કોર્ટે પી.પી.પાંડેની ધરપકડ કરવા આખરે વોરન્ટ ઈશ્યૂનો આદેશ આપી દીધો હતો.નોંધનીય છે કે સીબીઆઇની એક ટીમ પી.પી.પાંડેની તપાસ માટે ઉત્તરપ્રદેશ રવાના થઇ છે.