ગાંધીનગર, 14 મેઃ કેન્દ્રમાં કોની સરકાર બનશે એ અંગે એક્ઝિટ પોલ આવી ગયા છે અને તેમાં ભાજપ સત્તાધિશ થશે એવું પણ જણાવવામાં આવી રહ્યું છે. જોકે સાચી હકિકત 16 મેના રોજ માલુમ પડશે. જે પ્રકારે જનતા દ્વારા મતદાન કરવામાં આવ્યું છે, તેને જોતા એવું લાગી રહ્યું છેકે આ વખતે જનતા ભાજપ પર વિશ્વાસ મુકશે અને નરેન્દ્ર મોદીને વડાપ્રધાન બનાવશે. જનતાનો મિજાજ અને જીતના વિશ્વાસ સાથે આજે ગાંધીનગર ખાતે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીનો દરબાર મળવાનો છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહ, વરિષ્ઠ પાર્ટી નેતા અરૂણ જેટલી અને પૂર્વ અધ્યક્ષ નીતિન ગડકરી ગાંધીનગર આવવાના છે.
સાથે જ આ બેઠકમાં પાર્ટીના વરિષ્ઠ નેતા અને ગાંધીનગરથી ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીની ભૂમિકા અંગે ચર્ચા કરવામાં આવશે. ભાજપ અને આરએસએસ દ્વારા આ અંગે અગાઉથી યોજના બનાવી લેવામાં આવી હોવાનું પણ જાણવા મળી રહ્યું છે. જે પ્રકારના સમાચાર આવી રહ્યાં છે તે અનુસાર અડવાણીને સોનિયા ગાંધી જેવી સત્તા એનડીએમાં આપવામાં આવશે. અડવાણીને એનડીએના અધ્યક્ષ બનાવવામાં આવી શકે છે અથવા તો એનએસીની કમટીમાં તેમને અધ્યક્ષ પદ પણ પાર્ટી આપી શકે છે, જે અંગે રાજ્યના પાટનગરમાં આ નિર્ણય લેવાઇ શકે છે.
આ પહેલા છત્તીસગઢના મુખ્યમંત્રી રમણ સિંહ અને એનપીપીના અધ્યક્ષ પીએ સંગમા મોદીની મુલાકાત કરી ચૂક્યા હતા અને તેમણે જે પ્રકારે પત્રકારો સાથે વાત કરી તેને જોતા એવું લાગી રહ્યું છેકે, મોદીના નેતૃત્વમાં ભાજપ અને એનડીએ કેન્દ્રમાં મજબૂત સરકાર રચવાની વ્યૂહ રચશે.