31 મેના રોજ નર્મદા જળ પૂજનવિધિથી જળ સંચય યોજનાનું કરાશે સમાપન
રાજ્યના સ્થાપના દિવસથી શરૂ થયેલ જળ સંચય અભિયાન દ્વારા રાજ્યભરમાં દરેક ગામોમાં તળાવો ઉંડા કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે.
સમગ્ર ગુજરાતમાં જળ સંયય અભિયાનનું જન અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રાજ્યના સ્થાપના દિવસથી શરૂ થયેલ જળ સંચય અભિયાન દ્વારા રાજ્યભરમાં દરેક ગામોમાં તળાવો ઉંડા કરવાની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે. ત્યારે, જેનું સમાપન 31 મેના રોજ કરવામાં આવશે. ૩૧મી મે ના રોજ રાજ્યભરમાં વિવિધ સમાજના દંપતિઓના હસ્તે નર્મદા જળ પૂજનથી સમાપન વિધિ કરવામાં આવશે.

મુખ્યપ્રધાને માન્યો તમામનો આભાર
મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, જળ અભિયાન આ રીતે સામાજિક સમરસતાનું પણ મહા અભિયાન બની રહેશે.મુખ્યપ્રધાને ભર ઉનાળામાં, 45 ડિગ્રી ગરમીમાં પરસેવો પાડીને જળ સંચય અભિયાનમાં યોગદાન આપનાર તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

વિવિધ જિલ્લાઓના લોકો સાથે કર્યો સંવાદ
આ રાજ્યવ્યાપી જળ સંચય અભિયાનની દેખરેખ માટે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ખાસ તૈયાર કરાયેલી કમાન્ડ કન્ટ્રોલ વોલ મારફતે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકાના કુંવાસણા ગામના નાગરિકો, અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના મોટા લીલીયાના ગ્રામજનો, પંચમહાલ જિલ્લાના હાલોલ, આણંદ જિલ્લાના ચિખોદરા ગામના લોકો, સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના કોઠારીયાના ગ્રામજનો, બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના પેછડાલના લોકો સાથે વીડિયો કોન્ફરન્સથી સીધી વાત કરીને સુજલામ્ સુફલામ્ જળ સંચય અભિયાનની કામગીરીની સમીક્ષા કરી હતી.

આગામી ત્રણ વર્ષ સુધી ચલાવાશે અભિયાન
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગ્રામજનોના સંતોષ અને ગ્રામજનોએ વ્યક્ત કરેલી હર્ષની લાગણીને ધ્યાને લઇને પુન:પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી કે, રાજ્ય સરકાર આગામી ત્રણ વર્ષ સુધી સુજલામ્ સુફલામ્ જળ અભિયાન ચાલુ રખાશે. તેમણે જણાવ્યું હતું કે, આ વર્ષે ચોમાસુ પણ સારું રહેશે એવો વરતારો છે ત્યારે રાજ્યમાં તળાવો-જળાશયો ઊંડા કરવાનું આ અભિયાન ખૂબ લાભદાયી પૂરવાર થશે. જે જિલ્લાઓમાં હજુ કામો ચાલી રહ્યા છે, તે ઝડપભેર પૂર્ણ કરવા તેમણે વહીવટીતંત્રને તાકીદ કરી હતી.

વરસાદી પાણીનો સંગ્રહ કરવા ભલામણ
મુખ્યપ્રધાન સાથેના વિડિયો કોન્ફરન્સ સંવાદ દરમિયાન ગ્રામજનોએ જળ અભિયાન અંતર્ગત થયેલા કામોથી બહુ જ સંતોષ અને ખુશી હોવાની લાગણી વ્યક્ત કરી હતી. આ યોજના કાયમ ચાલુ રાખવા પણ મુખ્યપ્રધાનને વિનંતી કરી હતી. જળાશયોની માટી ખેડૂતોના ખેતરો માટે આપવામાં આવી રહી છે તેનો ખેડૂતોએ આનંદ વ્યક્ત કર્યો હતો. પ્રતિભાવમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, માત્ર નર્મદાના પાણી પર આધાર રાખીને બેસવા કરતાં વરસાદી પાણીનો વધુ ને વધુ સંગ્રહ કરવાના શક્ય તમામ પ્રયત્નો કરવા ભલામણ પણ કરી હતી. જળ અભિયાનથી જળાશયો, તળાવો, ચેકડેમો ભરાયેલા રહેશે તો પાણીના તળ ઊંચા આવશે. વરસાદ આવે તે પહેલાં આપણે આ કામ પૂરાં કરવાનાં છે. રાજ્ય સરકારે વરસાદી પાણીના સંગ્રહને વધુ પ્રમાણમાં કરવાના ઉદ્દેશ્યથી આ જળ સંચય અભિયાન હાથ ધર્યુ હોવાનું જણાવ્યું હતું.

સ્થાનિક લોકો સાથે સીએમનો સીધો સંવાદ
રાજ્યના વિવિધ જિલ્લાઓના ગામોમાં સરપંચ અને આગેવાન ગ્રામજનો સાથેની મુખ્યમંત્રી વિજય રૂપાણીની વિડિયો કોન્ફરન્સથી સીધી વાત વખતે સ્થાનિક સ્વૈચ્છિક સંસ્થાઓના આગેવાનો, નગરપાલિકાઓના પદાધિકારીઓ, તાલુકા-ગ્રામ પંચાયતોના સભ્યો, ધારાસભ્યો, સંસદ સભ્યો અને આગેવાન નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યપ્રધાને જરૂરી માર્ગદર્શન અને જળસંચય અભિયાનની આવશ્યકતા અંગે પ્રકાશ પાડ્યો હતો.












Click it and Unblock the Notifications
