શિન્ઝો આબેની ભારતયાત્રા: બુલેટ ટ્રેન યોજનાથી લઇને પરમાણુ ઊર્જા સુધી
જાપાનના પીએમ શિન્ઝો આબે 2 દિવસ ભારતની મુલાકાતે છે,ત્યારે મુલાકાતથી શું ફાયદાઓ થવાની આશા છે. જાણો અહીં...
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબે 13 સપ્ટેમ્બરથી બે દિવસની ગુજરાત મુલાકાતે છે. ડિસેમ્બર 2015 બાદ આ બંને નેતાઓની આ બીજી દ્વિપક્ષીય મુલાકાત છે. આ પહેલા પીએમ મોદીએ ગત વર્ષે નવેમ્બરમાં જાપાનની યાત્રા કરી હતી અને છેલ્લા 3 વર્ષમાં પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબે 10 વાર મળી ચૂક્યા છે. આ પહેલી એવી ઘટના છે, જ્યારે કોઇ અન્ય દેશના વડાપ્રધાન ભારતમાં દિલ્હી ન જતાં સીધા ગુજરાત આવી રહ્યા હોય. અમદાવાદ એરપોર્ટ પર ઉતરતાની સાથે જ પીએમ મોદી અને પીએમ શિન્ઝો આબે એકસાથે રોડ શોમાં ભાગ લેશે. શિન્ઝો આબેની આ ભારતની મુલાકાત જેટલી વિશેષ, તેટલી જ મહત્વપૂર્ણ પણ છે. સૂત્રો અનુસાર, આ બે દિવસ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે અનેક કરારો પર હસ્તાક્ષર થશે.

બુલેટ ટ્રેનના પ્રોજેક્ટની શરૂઆત
ભારતની પહેલી બુલેટ ટ્રેન મુંબઇ અમદાવાદ હાઇ સ્પીડ રેલ એ મોદી સરકારની મહાત્વાકાંક્ષી યોજના છે, જેનો ખર્ચ અંદાજે 1.1 લાખ કરોડ છે. શિન્ઝો આબેની આ મુલાકાતનો પહેલો હેતુ આ યોજનાનું ખાતમુહૂર્ત કરવાનો છે. આ યોજનાના લગભગ 65 ટકા જેટલા ખર્ચ માટે જાપાન તરફથી ભારતને નજીવા દરે લોન આપવામાં આવી છે, જેથી ભારતની વર્તમાન આર્થિક પરિસ્થિતિ પર કોઇ નકારાત્મક અસર ના પડે. આ બુલેટ ટ્રેન યોજનાના ખાતમુહૂર્ત સાથે જ બંને પીએમ એક વીડયો લિંક દ્વારા વડોદરામાં હાઇ-સ્પીડ રેલવે ટ્રેનિંગ સેન્ટરના ગ્રાઉન્ડ બ્રેકિંગ સમારંભમાં પણ ભાગ લેશે.

ભારતના વિકાસને મળશે વેગ
આ સિવાય બંને વડાપ્રધાન બીજા પણ અનેક પ્રોજેક્ટ લોન્ચ કરશે, જેમાં હંસલપુરમાં 3000 કરોડના સુઝુકી કાર મેન્યુફ્રેક્ચરિંગ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. એશિયા આફ્રિકા ગ્રોથ કૉરિડોરમાં(Asia-Africa Growth Corridor) ભારતના વિકાસને વેગ આપવા માટે જાપાન સાથે અનેક કરાર પર હસ્તાક્ષર થાય એવી શક્યતા છે. 508 કિમી કૉરિડોર માટે જાપાન ઇન્ટરનેશનલ કોઑપરેશન એજન્સિ(જેઆઈસીએ) અને ભારતના રેલવે મંત્રી વચ્ચે પહેલેથી જ એક કરાર પર હસ્તાક્ષર થઇ ચૂક્યા છે.

પરમાણુ ઊર્જા
જાપાનના વડાપ્રધાન શિન્ઝો આબેની આ ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે મેરિટાઇમ સિક્યોરિટી અંગે ચર્ચા થઇ શકે છે. આ પહેલાં ભારત, જાપાન અને અમેરિકાએ પોતાની મોટી નૌસેનિક સંપત્તિઓને બંગાળની ખાડીમાં અભ્યાસ માટે મુકી હતી. સાથે બંને દેશો વચ્ચે પરમાણું ઊર્જા અંગે ચર્ચા થાય એવી પણ ઘણી શક્યતા છે. હાલમાં જ ભારત અને જાપાન વચ્ચે ઐતિહાસિક અસૈન્ય પરમાણુ સહયોગ કરારનો અમલ કરવામાં આવ્યો હતો.

ગુજરાતમાં જાપાનનું રોકાણ
વળી શિન્ઝો આબેની આ મુલાકાત એવા સમયે થઇ રહી છે, જ્યારે ગુજરાતમાં જાપાનનું રોકાણ લગભગ 1 અબજ ડોલર જેટલું છે, જે વધીને 3 અબજ ડોલર થવાની શક્યતા છે. બુલેટ ટ્રેનના પ્રોજેક્ટથી ભારતને ટેક્નોલોજી અને સુરક્ષા ક્ષેત્ર ઉપરાંત અર્થતંત્રને પણ ખાસો ફાયદો થશે. વળી આનાથી પીએમ મોદીના બંને અભિયાનો મેક ઇન ઇન્ડિયા અને સ્કિલ ઇન્ડિયાને પણ વેગ મળે એ રીતે આ યોજના ઘડવામાં આવી છે.












Click it and Unblock the Notifications
