જીજ્ઞેશ મેવાણીએ નકારી રાહુલ ગાંધી સાથે મુલાકાતની વાત
અલ્પેશ ઠાકોર બાદ હવે જીજ્ઞનેશ મેવાણી આજે રાહુલ ગાંધી સાથે દિલ્હીમાં મુલાકાત કરશે. ગુજરાત ચૂંટણી 2017માં આવ્યો ફરી નવો વળાંક. આ અંગે વધુ વાંચો અહીં.
દલિતા નેતા જીજ્ઞેશ મેવાણી મંગળવારના રોજ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે એવી ખબરોએ જોર પકડ્યું હતું. કહેવાઇ રહ્યું હતું કે, જીજ્ઞેશ મેવાણી તથા ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત દિલ્હી જઇ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરશે. જો કે, જીજ્ઞેશ મેવાણીએ ફેસબૂક પોસ્ટ દ્વારા આ ખબરો પર પૂર્ણવિરામ મુક્યું છે. જીજ્ઞેશ મેવાણીએ પોસ્ટમાં લખ્યું હતું કે, તેઓ રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાના હોવાની વાત ખોટી છે. ઉલ્લેખનીય છે કે, અલ્પેશ ઠાકોર પહેલા જ કોંગ્રેસમાં જોડાઇ ચૂક્યા છે. રાહુલ ગાંધીની છેલ્લી ગુજરાત મુલાકાત દરમિયાન અલ્પેશ ઠાકોર વિધિવત કોંગ્રેસમાં જોડાયા હતા. એ જ દિવસે રાત્રે અશોક ગેહલોતે ટ્વીટ દ્વારા અલ્પેશ ઠાકોર, જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ સાથે મુલાકાત કરી હોવાની જાણકારી આપી હતી. ત્યારથી જીજ્ઞેશ મેવાણી અને હાર્દિક પટેલ પણ કોંગ્રેસમાં જોડાય એવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
જીજ્ઞેશ મેવાણીએ પોતાની ફેસબૂક પોસ્ટમાં લખ્યું છે, 'મારી મીડિયાના સાથીઓને વિનંતી છે કે, તેઓ હું રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવાનો હોવાની ખોટી ખબર ન ફેલાવે. અમે રાહુલ ગાંધી કે બીજા કોઇ પણ નેતાને મળીશું તો વ્યક્તિગત લાભ માટે નહીં મળીએ. દલિત સમાજના જે પ્રશ્નો અંગે ગુજરાતની ભાજપ સરકાર વાત કરવા તૈયાર નથી, એ અંગે સ્પષ્ટતા માટે મળીશું. અમે છુપાઇને કેમ મળીએ? ખબર તો એ છપાવી જોઇએ કે છેલ્લા 22 વર્ષમાં ગુજરાતને શું મળ્યું?' ઉલ્લેખનીય છે કે, 1 નવેમ્બર અને બુધવારથી રાહુલ ગાંધી 3 દિવસ માટે ગુજરાતની મુલાકાતે છે, એ પહેલાં જીજ્ઞેશ મેવાણી અને રાહુલ ગાંધીની મુલાકાતના સમાચાર આવતા અનેક શક્યતાઓ ઊભી થઇ હતી. જો કે, જીજ્ઞેશે આ ફેસબૂક પોસ્ટ દ્વારા એ તમામ શક્યતાઓ પર હાલ પૂરતું પૂર્ણવિરામ મુક્યું છે.