વિજય રૂપાણીએ રાજીનામું આપતાં જીજ્ઞેશ મેવાણીએ સાધ્યું નિશાન
વિજય રૂપાણીએ રાજીનામું આપતાં જીજ્ઞેશ મેવાણીએ સાધ્યું નિશાન
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022ને 15 મહિના બાકી છે ત્યાં ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજીનામું આપી દીધું. ચૂંટણીને 15 મહિના પહેલાં રાજીનામું આપતાં રાજકારણ પણ ગરમાયું છે. પાટીદાર નેતાને મુખ્યમંત્રી પદે બેસાડી ભાજપ ગુજરાતના પાટીદારોને રાજી કરવા માંગતા હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.
વિજય રૂપાણીએ રાજીનામું આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી. તેમણે કહ્યું કે, "રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે માત્ર એક વર્ષ જ બાકી છે. રાજ્યને નવી ઉર્જા અને નવી શક્તિ સાથે વિકસિત કરવા માટે મેં મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવાનો નિર્ણય લીધો છે." તેમણે કહ્યું કે તેઓ પાર્ટી માટે કામ કરતા રહેશે.
ત્યારે વડગામથી અપક્ષ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ નિશાન સાધ્યું છે. તેમણે કોવિડ ગેરવહીવટ માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીને દોષી ઠેરવ્યા છે. જીજ્ઞેશ મેવાણીએ ટ્વિટર પર પોસ્ટ કરી કે, "ગુજરાતની જનતાએ પ્રશંસા કરી હશે કે રૂપાણીએ કોવિડ કટોકટીના સ્મારક ગેરવહીવટ માટે રાજીનામું આપ્યું."
મે મહિનામાં રાજ્ય સરકાર પર કોવિડ મૃત્યુદર ઓછો કરીને બતાવવાનો આરોપ લાગ્યો હતો. ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, "આ રાજીનામું વિશુદ્ધ રૂપે 2022ની વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને અને ચૂંટણી અંકગણિતને ધ્યાનમાં રાખીને આપવામાં આવ્યું છે."
સૂત્રોએ કહ્યું કે રૂપાણીએ પાર્ટીના કેન્દ્રીય નેતૃત્વ દ્વારા પોતાના પ્રદર્શન પર અસંતોષ વ્યક્ત કર્યા બાદ રાજીનામું આપી દીધું. સૂત્રોનું કહેવું છે કે આ ભાજપ દ્વારા કોર્સ કરેક્શન છે. ભાજપ પોતાના રાજ્યોના નેતૃત્વમાં અનિશ્ચિતતા મહેસૂસ કરી રહ્યું છે અને ચીજોને બદલવા માટે ઉત્સુક છે. કર્ણાટક, ઉત્તરાખંડ તાજા ઉદાહરણ છે જ્યાં ભાજપે પોતાના મુખ્યમંત્રીઓને બદલી કાઢ્યા છે.
65 વર્ષીય વિજય રૂપાણીએ ડિસેમ્બર 2017માં વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપના ડઝનેક મોટા નેતાઓની હાજરીમાં પોતાના બીજા કાર્યકાળ માટે શપથ લીધા હતા. ગુજરાતમાં આવતા વર્ષના અંતમાં વિધાનસભા ચૂંટણી થનાર છે.
નોંધનીય છે કે વિજય રૂપાણીના રાજીનામાં બાદ હવે ગુજરાતના આગલા મુખ્યમંત્રી કોણ બનશે તેને લઈ ચર્ચાએ જોર પકડ્યું છે. આજે સાંજે અમિત શાહ ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને કાલે તેઓ ભાજપના ધારાસભ્યો સાથે બેઠક કરશે. આ બેઠકમાં ગુજરાતના આગામી મુખ્યમંત્રી નક્કી કરવામાં આવી શકે છે અને એવું પણ ચર્ચાઈ રહ્યું છે કે 2 નાયબ મુખ્યમંત્રીઓ પણ નક્કી કરવામાં આવી શકે છે.