વિકાસના ગાણા ગાતી ભાજપ સરકારે કરી છે આદિવાસીઓની અવગણના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી
કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ૧૯૯૫થી ગુજરાતમાં રાજ કરે છે પરંતુ..
કપરાડા વિધાનસભાના ધારાસભ્ય જીતુભાઇએ ભાજપ સરકાર પર પ્રહારો કરતા જણાવ્યું હતું કે ભાજપ સરકાર ૧૯૯૫થી ગુજરાતમાં રાજ કરે છે પરંતુ આટલા વર્ષોથી સતત વલસાડના કપરાડા વિધાનસભા વિસ્તારની અવગણના કરી રહી છે અને આ વિસ્તારને રોજગારી, ખેતી, ટૂરીઝમ ક્ષેત્રે પછાત રાખી રહી છે. વર્ષ ના ૨૦૧૮ના પ્રથમ વિધાનસભા સત્રમાં આદિવાસી વિસ્તારો તેમજ વલસાડ નવસારીના શિક્ષિત બેરોજગારોને ગુજરાતની ભાજપ સરકાર સતત અવગણના કરતી હોવાના પ્રશ્નો ઉઠાનાર કપરાડાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતુ કે મોટી મોટી વાતો કરનાર ભાજપા સરકારે આ વિસ્તારનો વિકાસ રૂંધ્યો છે. નોકરી, ધંધા રોજગાર અને ટૂરીઝમ ક્ષેત્રે આ વિસ્તારમા વિપુલ તકો રહેલી છે પરંતુ આદિવાસી વિસ્તારની સરકાર દ્વારા સતત અવગણના કરાઇ રહી છે.

તેમણે જણાવ્યું હતું કે જે રીતે સરકાર સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર ગુજરાતના ખેડૂતોને કપાસ, મગફળીમાં ટેકાના ભાવ આપે છે તે રીતે વલસાડ, નવસારી જિલ્લામાં થતા શેરડી, કેરી અને ડાંગરના ભાવમાં પણ ટેેકાના ભાવ આપવાના બદલે ખાતર ડીઝલ પર વેટ નાખી ખેડૂતોને અન્યાય કરી રહી છે. અને મોંઘવારીના મારમાં પીસાતા ખેડૂતોને આત્મહત્યા કરવા તરફ દોરી રહી છે.
સરકારે આ વિસ્તારના રમતવીરો સાથે પણ અન્યાય કર્યો છે જે રીતે થોડા દિવસ પહેલા આ વિસ્તારના બ્લાઇન્ડ રમતવીરોએ આંતરરાષ્ટ્રીય સ્તરે આ વિસ્તારને નામના અપાવી છે ત્યારે તેવા ખેલાડીઓને આ સરકારે એક પ્રોત્સાહક ઇનામ સુદ્ધાં નથી આપ્યુ અને નથી કોઇ સરકારી નોકરી કે જીવનનિર્વાહ માટે કામગીરી કરી જેની સામે કર્નાટક સરકારે પોતાના ખેલાડીઓને સરકારી નોકરી સહીતની સુવિધાઓ પુરી પાડી છે. કપરાડા પંચાયત છેલ્લા ૨૦ વર્ષથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવા છતા તેમના ખર્ચ પેટેની કામગીરી ધરમપુર તાલુકા પંચાયતથી થાય છે જે બતાવે છે કે આ વિસ્તારની કેટલી અવગણના થઇ રહી છે.

ઉલ્લેખનીય છે કે આ વિસ્તારમાં વર્ષ ૨૦૦૨થી જીતુભાઇ ચૌધરી ધારાસભ્ય તરીકે ચૂંટાતા આવ્યા છે.












Click it and Unblock the Notifications
