કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ
કોંગ્રેસના 2 ધારાસભ્યોના રાજીનામા બાદ ભાજપની પ્રેસ કન્ફરન્સ
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસે કહેર મચાવી રાખ્યો છે ત્યારે બીજી બાજુ રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસી ધારાસભ્યોના રાજીનામા પડવા લાગ્યા છે, ત્યારે વિપક્ષે ભાજપ પર ખરીદ ફરોક્તીનો આરોપ લગાવ્યો છે. ત્યારે ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરીને આ મામલે સ્પષ્ટતા આપતાની સાથે જ કોંગ્રેસ પર સવાલો ઉઠાવ્યો.
જીતુ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી
જીતુ વાઘાણીએ કહ્યું કે કોંગ્રેસ આરોપો લગાવતા પહેલા અરીસામાં જુએ, અગાઉ પણ કોંગ્રેસના નેતા રાજીનામાં આપીને ગયા હતા અને કોણ જીત્યું હતું તે ઈતિહાસના આંકડા જોઈ લો. કોંગ્રેસ પર જ વાઘાણીએ તોડજોડની રાજનીતિ કરી હોવાનો આરોપ લગાવ્યો છે. તેમણે કહ્યું કે, સોનિયાજી, પ્રિયંકાજીએ અને રાહુલ ગાંધીએ દેશની જનતાને લલચાવવાની કોશિશો કરી. કોંગ્રેસ પતાના આંતરિક ઝઘડાથી જ તૂટે છે. આની સાથે જ જીતુ વાઘાણીએ રાજ્યસભાની ત્રણેય બેઠક જીતવાનો દાવો કર્યો. આની સાથે જ જીતુ વાઘાણીએ કોંગ્રેસના રાજસ્થાન કેમ્પ પર પણ પ્રહારો કર્યા હતા.
કુલ 7 ધારાસભ્યોએ રાજીનામાં આપ્યાં
જણાવી દઈએ કે માર્ચ મહિના પછી કોંગ્રેસના કુલ 7 ધારાસભ્યો રાજીનામાં આપી ચૂક્યા છે. ગતરોજ અક્ષય પટેલ અને જીતુ ચૌધરીએ ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે હવે કોંગ્રેસ માટે રાજ્યસભાની બીજી સીટ જીતવી મુશ્કેલ બની ગઈ છે. નવા બે ધારાસભ્યોના રાજીનામા બાદ વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ હવે 66નું થયું છે જ્યારે ભાજપના ખેમામાં 103 ધારાસભ્યો છે.
નિવૃત્ત થતાં ચૂંટણી થશે
ઉલ્લેખનીય છે કે આગામી 19 જૂને દેશની 24 રાજ્યસભા સીટ પર ચૂંટણી યોજાનાર છે જેમાં 4 સીટ ગુજરાતની પણ સામેલ છે. આ ચાર સીટમાંથી 3 સીટ ભાજપના ખેમામાં હતી અને એક કોંગ્રેસના ખેમામાં હતી. ભાજપના ચુનીભાઈ કે ગહેલ, શમ્ભુપ્રસાદ તુંડિયા, લાલ સિંહ વાડોદિયા અને કોંગ્રેસના મધુસુદન મિસ્ત્રી 9 એપ્રિલ 2020ના રોજ નિવૃત્ત થઈ જતાં રાજ્યસભાની આ ચાર સીટ પર ચૂંટણી થનાર છે.