જૂનાગઢના મહાશિવરાત્રી મેળા માટે તડામાર તૈયારીઓ, DyCM હર્ષ સંઘવીના તંત્રને કડક આદેશ, જાણો ક્યારે પ્રારંભ થશે
Junagadh News: ગરવા ગિરનારની ગોદમાં યોજાનારા વિશ્વપ્રસિદ્ધ મહાશિવરાત્રી મેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજી મેળાના આયોજનની સમીક્ષા કરી હતી. આ વર્ષે શ્રદ્ધાળુઓની સુવિધા માટે તંત્ર દ્વારા કેટલાક ઐતિહાસિક નિર્ણયો લેવામાં આવ્યા છે.

રવેડીના રૂટમાં 500 મીટરનો વધારો
મહાશિવરાત્રી મેળાનું મુખ્ય આકર્ષણ ગણાતી ભગવાન ભવનાથની 'રવેડી' (શાહી સરઘસ) ને લઈને મોટો નિર્ણય લેવાયો છે. દર વર્ષે ઉમટતી લાખોની મેદનીને ધ્યાનમાં રાખીને, ભક્તો સરળતાથી દર્શન કરી શકે તે માટે રવેડીનો રૂટ 500 મીટર લંબાવવામાં આવ્યો છે. આ ફેરફારથી ભીડનું વ્યવસ્થાપન વધુ સુદ્રઢ બનશે અને યાત્રિકોને હાલાકી ભોગવવી નહીં પડે.
સુરક્ષા માટે 2900 પોલીસ જવાનોનો પહેરો
મેળા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું કે, સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2900થી વધુ પોલીસ જવાનો તૈનાત રહેશે. આ સાથે જ 11 ફેબ્રુઆરીએ સંતોના આગમન પ્રસંગે ભવ્ય નગરયાત્રા પણ કાઢવામાં આવશે.
આ વર્ષના મેળાની મુખ્ય વિશેષતાઓ
- વિશેષ ગીત લોન્ચ: મહાશિવરાત્રી મેળાના માહાત્મ્યને ઉજાગર કરતું એક સ્પેશિયલ સોન્ગ પણ લોન્ચ કરવામાં આવ્યું છે.
- ઝળહળતી તળેટી: સમગ્ર રવેડી રૂટ અને ભવનાથ વિસ્તારમાં સરકાર દ્વારા વિશેષ લાઈટિંગ અને ડેકોરેશન કરવામાં આવશે.
- સૌથી ભવ્ય આયોજન: તંત્રના મતે આ વર્ષનો મેળો અત્યાર સુધીનો સૌથી મોટો અને સુવિધાસજ્જ મેળો બની રહેશે.
તંત્રને કડક આદેશ
બેઠક દરમિયાન ગૃહમંત્રીએ કલેક્ટર, એસપી અને મનપાના અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે, મેળામાં આવતા એક પણ શ્રદ્ધાળુને પીવાનું પાણી, આરોગ્ય કે રહેવાની અસુવિધા ન થવી જોઈએ. ભક્તિ, ભોજન અને ભજનના આ સંગમમાં આધ્યાત્મિકતા જળવાઈ રહે તે માટે ખાસ તકેદારી રાખવા આદેશ અપાયા છે.












Click it and Unblock the Notifications
