સૌરાષ્ટ્રવાસીઓને વધુ એક ભેટ: કાનાલુસથી ઓખાના ડબલ ટ્રેક પ્રોજેક્ટને કેન્દ્રની મંજૂરી, ઘણા મુસાફરોને થશે ફાયદો
Railway News: કેન્દ્ર સરકારે સૌરાષ્ટ્રવાસીઓ માટેના મહત્ત્વપૂર્ણ રેલવે પ્રોજેક્ટને લીલી ઝંડી આપી. 141 કિમીના ડબલ ટ્રેકથી યાત્રી સુવિધાઓ વધશે અને ઔદ્યોગિક વિકાસને વેગ મળશે. દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટી મજબૂત થશે.

સૌરાષ્ટ્રવાસીઓ અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. કેન્દ્ર સરકારે કાનાલુસથી ઓખા રેલવે સ્ટેશન વચ્ચેના ડબલ ટ્રેક પ્રોજેક્ટને સત્તાવાર રીતે મંજૂરી આપી દીધી છે. આ નિર્ણયથી કાનાલુસથી દેવભૂમિ દ્વારકા (ઓખા) સુધીનું અંતર કાપવું વધુ સરળ બનશે.
આ ડબલ લાઇન પ્રોજેક્ટ આશરે ₹1,457 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવશે, જે ફક્ત નાગરિકો માટે જ નહીં, પરંતુ સૌરાષ્ટ્રના ઔદ્યોગિક અને આર્થિક વિકાસ માટે પણ મોટો લાભ લઈને આવશે.
ઔદ્યોગિક અને બંદરીય ક્ષેત્રે મોટો ફાયદો
રેલવેના આ ડબલ લાઇન પ્રોજેક્ટના કારણે ઓખા અને સલાયા પોર્ટ પર આધુનિક વિકાસને વેગ મળશે.
- રોજગાર: પોર્ટ પર કામગીરી વધવાથી આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને રોજગારની નવી તકો પ્રાપ્ત થશે.
- વિકાસ: ડબલ લાઇન પ્રોજેક્ટથી અંતર ઘટશે અને માલસામાનનું પરિવહન ઝડપી બનશે, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રે મોટો ફાયદો થશે અને વિકાસના કાર્યોને વેગ મળશે.
- સ્ટેશન મોડિફિકેશન: આ પ્રોજેક્ટ હેઠળ 12 રેલવે સ્ટેશનોનું મોડિફિકેશન કરીને તેને અત્યાધુનિક બનાવવામાં આવશે.
યાત્રીઓ અને પર્યાવરણને લાભ
આ ડબલ લાઇન પ્રોજેક્ટથી યાત્રીઓ માટેની સુવિધાઓમાં નોંધપાત્ર વધારો થશે.
- ધાર્મિક પ્રવાસન: ડબલ લાઇન પ્રોજેક્ટને કારણે દ્વારકાધીશ મંદિર સુધીની કનેક્ટિવિટી વધતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને સીધો ફાયદો થશે.
- પેસેન્જર ટ્રેન: આવનારા દિવસોમાં આ માર્ગ પર વધુ પેસેન્જર ટ્રેનો મળવાની શક્યતા દેખાઈ રહી છે.
- ખર્ચ અને પ્રદૂષણ બચત: કેન્દ્રીય અધિકારી દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, આ પ્રોજેક્ટની મદદથી વાર્ષિક 2.8 કરોડ લિટર ડીઝલની બચત થશે, અને લોજિસ્ટિક કોસ્ટ વાર્ષિક ધોરણે ₹311 કરોડ ઘટશે.
ઉલ્લેખનીય છે કે, હાલમાં રાજકોટથી કાનાલુસ રેલવે સ્ટેશન વચ્ચે ડબલ ટ્રેકની કામગીરી ચાલી રહી છે, જે પૂર્ણ થતાં આ સમગ્ર કોરિડોર ડબલ ટ્રેકથી જોડાઈ જશે. અગાઉ, રાજકોટ, અમદાવાદ અને ઓખાને જોડતી રેલવે લાઇનના ઇલેક્ટ્રિફિકેશનનું કાર્ય પણ પૂર્ણ થઈ ચૂક્યું છે.












Click it and Unblock the Notifications
