વચન પાળવામાં નિષ્ફળ જતાં ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ફરીથી કારડીયા રાજપુતો મેદાને ચડ્યા?
ભાજપ પ્રદેશ પ્રમુખ સામે ફરીથી કારડીયા રાજપુતો મેદાને ચડ્યા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી સામે તેમના મત વિસ્તારના કારડીયા રાજપૂતો ફરીથી મેદાનમાં ઉતર્યા છે. અગાઉ વિધાનસભાની ચૂંટણી પહેલાં મેદાને પડેલા આ રાજપુતોની માંગણી સંતોષાઇ નથી. તેમજ ભાજપ અધ્યક્ષ અમિત શાહ વચન પાળવામાં નિષ્ફળ જતાં રાજપુતોએ ફરીથી ભાજપ સામે માથું ઉચક્યું છે.
રાજપુત આગેવાનોએ ભાજપ સામે માંડ્યો મોરચો
ભાવનગરના બુધેલ ગામ ખાતે 400 કરતા વધુ રાજપુત આગેવાનો મળ્યા હતા અને તેમણે અમિત શાહ અને જીતુ વાઘાણીની આકરી ટીકા કરી હવે લડી જ લેવુ પડશે તેવો નિર્ધાર વ્યકત કર્યો હતો, હવે આ મામલે ફરી આંદોલન શરૂ થવાના એંધાણ છે, જો કે લોકસભાની ચૂંટણી આવી રહી હોવાને કારણે ભાજપને રાજપુતોને નારાજ કરવા પાલવે તેમ નથી, જેના કારણે કોઈ નવી ફોર્મ્યુલા સાથે અમિત શાહ રાજપુતોને મનાવવાનો પ્રયત્ન કરશે તેવું ભાજપના નેતાઓને લાગી રહ્યુ છે.
અમિત શાહે કેસ પરત ખેંચવા આપ્યું હતું વચન
ભાજપના નેતાઓ ચૂંટણી જિતવા માટે અને રાજકીય સ્વાર્થ હોય ત્યારે વચન આપી દેતા હોય છે, પરંતું, જ્યારે સ્વાર્થ પુરો થાય ત્યારે આપેલા વચનો ભુલી જાય છે. જિતુ વાઘાણીના મત વિસ્તારના રાજપુત સમાજ સાથે પણ કંઇક આવું જ થયુ છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાધાણીને રાજકિય રીતે ખટકી રહેલા કારડિયા રાજપુત સમાજના સેવાભાવી નેતા દાનસંગ મોરી અને રાજપુત સમાજના યુવાનો ઉપર ખોટા પોલીસ કેસ કરવામાં આવ્યા હતા, આ મામલે વિધાનસભા ચૂંટણી પહેલાં રાજપુત સમાજ હજારોની સંખ્યામાં રસ્તા ઉપર આવી જતા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ અમદાવાદ દોડી આવ્યા હતા. અમિત શાહે દાનસંગ મોરી અને કાનભા ગોહીલ સહિત કારડિયા સમાજના અગ્રણીય નેતાઓ સાથે બેઠક કરી તમામ પોલીસ કેસ પરત ખેંચી લેવાની ખાતરી આપી હતી. પરંતુ વિધાનસભાની ચૂંટણીના સ્વાર્થને ધ્યાનમાં લઈ કરેલા સમાધાનમાંથી હવે ભાજપના નેતાઓ ફરી ગયા છે. વિધાનસભા ચૂંટણી બાદ તેનો કોઇ નિવેડો આવ્યો નથી.
2/19ની ચૂંટણી બાદ ભાજપે કર્યા હાથ અધ્ધર
વિધાનસભાની ચૂંટણી પૂર્વે થયેલા આ સામાજિક એકતાથી ગભરાયેલા ભાજપના નેતાઓને હારવાનો ડર લાગતાં સમાધાન કર્યું, પરંતું, તેનો કોઇ અમલ કરવામાં આવ્યો નથી. ત્યારે, હવે ફરીથી રાજપુત સમાજે ભાજપ સામે રણશીંગું ફુક્યું છે. 2017 વિધાનસભાની ચૂંટણી સામે હતી ત્યારે રાજપુત સમાજે દાનસંગ મોરી અને રાજપુત યુવાનો સામે કરેલા ખોટા પોલીસને લઈ આંદોલન શરૂ થયુ હતું, સતત અભિમાનમાં રાચતા ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રાજપુત સમાજની તાકાતની અવગણના કરી હતી, પરંતુ ક્રમશ આંદોલન ઉગ્ર થતાં ભાજપમાં રહેલા રાજપુત સમાજે વાઘાણી ઉપર દબાણ વધારી સમાધાન કરી લેવા સમજાવ્યા હતા, પરંતુ વાઘાણી માન્યા ન્હોતા, રાજપુત નારાજ થાય તો રાજ્યની ત્રીસ કરતા વધુ બેઠકો ઉપર અસર પડશે તેવી ખ્યાલ અમિત શાહને આવી ગયો હતો, જેના કારણે તેઓ પોતે મામલો થાળે પાડવા અમદાવાદ દોડી આવ્યા હતા, અમિત શાહે રાજપુત સમાજના નેતાઓ સાથે વાત કરી તમામ પોલીસ કેસ પાછા ખેંચી લેવામાં આવશે તેમ જણાવ્યુ હતું, અમિત શાહ ઉપર ભરોસો કરી રાજપુતોએ આંદોલન બંધ કર્યુ હતું. પરંતું, લાગે છે કે, અમિત શાહે પણ હાથ અધ્ધર કરી દીધા છે.
કેસ પરત ખેંચવા ગૃહપ્રધાને આપ્યા ઠાલા વચન
ભાજપ સરકાર રચાયા બાદ વાઘાણીએ આપેલા વચન પ્રમાણે કેસ પરત ખેંચાય તે માટે રાજપુત આગેવાનો ગાંધીનગરના ધક્કા ખાવા લાગ્યા, અને ગૃહરાજ્ય મંત્રી પ્રદિપસિંહ જાડેજાને અનેક વખત મળ્યા હતા, જાડેજા પ્રત્યેક વખત કેસ પાછા ખેંચાશે તેવી ખાતરી આપતા રહ્યા પણ તે દિશામાં કઈ થયુ નહીં, રાજપુત આગેવાનો અમિત શાહ અને જીતુ વાઘાણીને પણ મળ્યા અને તેમના વચન તેમને યાદ કરાવ્યા હતા, જો કે સ્વાર્થ પુરો થઈ ગયા પછી શાહ અને વાઘાણી રાજપુત સમાજ સાથે તું કોણ અને હું કોણ જેવો વ્યવહાર શરૂ કર્યો હતો. એક વર્ષ થવા છતાં કોઈ પરિણામ નહીં આવતા રાજપુત સમાજને ખ્યાલ આવ્યો કે ભાજપે દગો કર્યો છે. ત્યારે હવે સરકાર કેસ પરત ખેંચી સમાધાન કરે છે કે, સામે શીંગડાં ભરાવે છે તે જોવું રહ્યું.
છત્તીસગઢ ચૂંટણી માટે ભાજપના 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર, કેટલાય દિગ્ગજો સામેલ