ઉત્તરાયણ દરમિયાન પક્ષીઓ બચાવવા કરુણા અભિયાન, 900 નિદાન કેન્દ્રો અને 750 પશુચિકિત્સકો ખડે પગે રહેશે
ઉત્તરાયણને ધ્યાનમાં રાખીને પતંગની દોરીથી પક્ષીઓ કે પ્રાણીઓને કોઈ નુકસાન ન થાય તેની તકેદારી રાખવા 10મી જાન્યુઆરીથી 20મી જાન્યુઆરી સુધી રાજ્યવ્યાપી કરૂણા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.
આ અભિયાન દરમિયાન સમગ્ર રાજ્યમાં વન વિભાગ દરરોજ સવારે 7 થી સાંજના 6 વાગ્યા સુધી તમામ તાલુકાઓમાં કંટ્રોલ રૂમ કાર્યરત કરશે. જીવો અને જીવવા દોની ભાવના સાથે વન વિભાગે આ વર્ષે ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર માટે વોટ્સએપ નંબર અને એક વેબસાઈટ સક્રિય કરી છે.

આ સેવા માટે WhatsApp પર 8320002000 પર મેસેજ અથવા મિસ કૉલ કરો અને એક લિંક પ્રાપ્ત થશે. તે લિંક પર ક્લિક કરવાથી જિલ્લાવાર પક્ષી સારવાર કેન્દ્રોની વિગતો ઉપલબ્ધ થશે.
ઘાયલ પક્ષીઓની સારવાર માટે વન વિભાગના હેલ્પલાઈન નંબર 1926 અને પશુપાલન વિભાગના હેલ્પલાઈન નંબર 1962 દ્વારા મદદ મેળવી શકાશે.
આ વર્ષે 900 થી વધુ પક્ષીઓના નિદાન અને સારવાર કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. આગામી ઉત્તરાયણ દરમિયાન કોઈપણ ઘાયલ પક્ષીની સારવાર માટે 700 થી વધુ પશુ ચિકિત્સકો અને 7700 જેટલા સમર્પિત સ્વયંસેવકો રાજ્યભરમાં ફરજ પર રહેશે.
ઉત્તરાયણ જેવા તહેવારો અને લોક પ્રસંગોની ઉજવણી દરમિયાન કરૂણા અભિયાન બીમાર પ્રાણીઓની સારવાર અને સંભાળ માટે ગુજરાતમાં એક અગ્રણી પહેલ બની છે. ગયા વર્ષે કુલ 13,008 પક્ષીઓને બચાવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
