ગાંધી-સરદારની તસ્વીરો હટાવી કેજરીવાલે ગુજરાતનું અપમાન કર્યુ-કોંગ્રેસ
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય નિવેદનબાજી ચાલુ થઇ ગઇ છે.
રાજ્યમાં વિધાનસભા ચૂંટણી પહેલાં રાજકીય નિવેદનબાજી ચાલુ થઇ ગઇ છે. કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવન ખાતે પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે અરવિંદ કેજરીવાલ પર ગુજરાતની જનતાનું અપમાન કર્યુ હોવાનો આક્ષેપ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, પંજાબ અને દિલ્હીમાંથી મહાત્મા ગાંધીની તસ્વીરો હટાવી કેજરીવાલે ગુજરાતનું અપમાન કર્યુ છે. ગાંધી - સરદાર સાહેબના ગુજરાતમાં પોતાનો ચહેરો ચમકાવવા આવેલા અરવિંદ કેજરીવાલ અને આપ પાર્ટીને ગુજરાતના અપમાન બદલ ગુજરાતની જનતા ક્યારેય માફ નહી કરે.
ભાજપ અને આપ પાર્ટીનું મોડલ એ 'જાહેરાતોનું મોડલ’ છે. ગુજરાતની જેમ દિલ્હીમાં પણ શિક્ષકો પોતાના હક્ક - અધિકાર માટે આંદોલનો કરી રહ્યાં છે. જેમ ગુજરાતમાં પ્રવાસી શિક્ષક અને દિલ્હીમાં એડહોક શિક્ષક છે. ગુજરાતમાં શિક્ષણનું મોટા પાયે ખાનગીકરણ તેવી જ રીતે દિલ્હીમાં પણ શિક્ષણનું ખાનગીકરણ થયો છે.
જાહેરાતો - તાયફાઓ પાછળ આપ પાર્ટીએ દિલ્હી - પંજાબની તિજોરી ખાલી કરી જ્યારે ભાજપ સરકારે ત્રણ લાખ કરોડનું જેટલું અધધ દેવુ કર્યું. પંજાબમાં કર્મચારીઓને પગાર ચુકવવા માટે પૈસા નથી અને જાહેરાતો પાછળ કરોડોનો ખર્ચ તેવી જ રીતે ગુજરાતમાં કર્મચારીઓને ફિક્સ પગારમાં યુવાનોનું શોષણ થાય અને ભાજપ સરકાર જાહેરાતો - તાયફાઓ પાછળ કરોડો ખર્ચે છે. ભાજપની બી ટીમ એવી આપ પાર્ટી ભાજપની નીતિ - રીતી પર જ કામ કરી રહી છે, ગુજરાતમાં ચૂંટણી જંગ સીધો કોંગ્રેસ અને ભાજપ વચ્ચે છે.