કેજરીવાલે વડોદરામાં જયશ્રી રામના નારા લગાવી હુંકાર ભર્યો. કહ્યું- ભગવાને મને કંસના વંશજોને ખતમ કરવા મોકલ્યો!
જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં કેન્દ્રિય નેતાઓના આંટા ફેરા વધી રહ્યા છે.
વડોદરા : જેમ જેમ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં કેન્દ્રિય નેતાઓના આંટા ફેરા વધી રહ્યા છે. એક તરફ રાજ્યમાં બીજેપી ધીરે ધીરે ખસકી રહેલો જનાધાર પાછો મેળવવા માટે સંઘર્ષ કરી રહી છે તો બીજી તરફ આમ આદમી પાર્ટી બીજેપીને ઘરમાં ઘુંસીને માત આપવાની તૈયારીમાં છે. આ બન્નેની લડાઈમાં કોંગ્રેસની ઘોર ઉપેક્ષા થઈ રહી છે. જો કે આ તમામ ઘટનાઓ વચ્ચે ગુજરાતમાં કોમી માહોલ ન સર્જાય એ શક્ય નથી. હવે વડોદરાથી તેની શરૂઆત પણ દેખાઈ રહી છે.
આજે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન ગુજરાતની મુલાકાતે પહોંચ્યા હતા. તેમની આ મુલાકાતે રાજ્યમાં ફરીથી એક વખત ચૂંટણીમાં શ્રીરામની એન્ટ્રી કરાવી દીધી છે. આજે વડોદરા ખાતે કેજરીવાલની રેલી પહેલા કેટલાક લોકોએ આમ આદમી પાર્ટીના પોસ્ટર ફાડ્યા હતા અને કેજરીવાલ અને ભગવંત માનની રેલીને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે આ તમામ ઘટનાઓ બાદ કેજરીવાલે પણ હુંકાર ભર્યો હતો.
અરવિંદ કેજરીવાલે રેલી પહેલા બબાલ અને હિન્દુ વિરોધી હોવાના પોસ્ટર લાગ્યા બાદ બીજેપીને આડે હાથ લીધી હતી. કેજરીવાલે વડોદરામાં જય શ્રી રામના નારા લગાવ્યા હતા. આ પછી તેમણે આમ આદમી પાર્ટીના કાર્યક્રમમાં કહ્યું કે, મારો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો. ભગવાને મને એક ખાસ હેતુ સાથે મોકલ્યો છે. મને કહેવામાં આવ્યું હતું કે તમે કંસના વંશજો અને ભ્રષ્ટાચાર કરનારાઓનો નાશ કરો.
આ સિવાય કેજરીવાલ સાથે ગુજરાત આવેલા પંજાબના સીએમ માને કહ્યું કે, ગુજરાતમાં હવે કમળનું ફૂલ નહીં ખીલે, કારણ કે કમળ કાદવમાં ઉગે છે અને અમારી પાસે ઝાડુ છે. અમે ઝાડુથી સાફ કરીએ છીએ. તેથી જ્યારે અમારી ઝાડુ ચાલશે ત્યારે કમળ કેવી રીતે ખીલશે?
અહીં તમને જણાવી દઈએ કે, એક દિવસ પહેલા AAP નેતાએ દિલ્હીમાં બૌદ્ધ કાર્યક્રમમાં શપથ લેવડાવ્યા હતા અને હિંદુ દેવતાઓ પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જે બાદ હિન્દુઓની ભાવનાઓને ભડકાવવાનો આરોપ લાગ્યો હતો. તેના એક દિવસ પછી, આજે કેજરીવાલ ગુજરાતના વડોદરામાં જય શ્રી રામના નારા લગાવતા જોવા મળ્યા હતા. આ દરમિયાન AAPના રાષ્ટ્રીય સંયોજક કેજરીવાલે ભાજપ પર નિશાન સાધતા કહ્યું કે, તેઓ મારા વિશે ખરાબ બોલી રહ્યા છે. મને કોઈ ફરક નથી પડતો. પરંતુ તેઓ નફરત કરે છે અને તેમની નફરતમાં એટલા આંધળા છે કે તેઓ દેવતાઓનું પણ અપમાન કરે છે.
આ પહેલા AAP કાર્યકર્તાઓએ કેજરીવાલની રેલી પહેલા AAP વિરોધી પોસ્ટરો હટાવ્યા હતા. કાર્યકરોએ પાર્ટીના વડાની રેલી સ્થળ તરફ જતા રસ્તા પરના તમામ AAP વિરોધી પોસ્ટરો અને બેનરો ઉતારી લીધા હતા. AAPના દિલ્હીના સમાજ કલ્યાણ મંત્રી રાજેન્દ્ર પાલ ગૌતમની કથિત હિંદુ વિરોધી ટિપ્પણીનો વિરોધ કરતા ભાજપના સમર્થકોએ રેલી પહેલા AAPના બેનરો ફાડી નાખ્યા હતા.