ગુજરાતમાં કેજરીવાલની સક્રિયતાથી ભાજપ કરતાં કોંગ્રેસ વધુ પરેશાન !!
ગુજરાતમાં કેજરીવાલની સક્રિયતાથી ભાજપ કરતાં કોંગ્રેસ વધુ પરેશાન !!
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં રાજકીય પાર્ટીઓ મતદારોને રિઝવવાના કામમાં સક્રિય થઇ ગઇ છે. ભાજપ પોતાની સત્તા જાળવી રાખવા અને કોંગ્રેસ પોતાનો રાજકીય વનવાસ દૂર કરવા પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે, ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સક્રિયતા ભાજપ કરતાં કોંગ્રેસને વધુ પરેશાની ઉભી કરી રહી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને અન્ય આપના નેતાઓની ગુજરાત મુલાકાતો અને રાજકીય સભાઓના કારણે ભાજપ કોંગ્રેસની ઉંઘ ઉડી ગઇ છે. આપ પાર્ટીની સક્રિયતાથી કોંગ્રેસના મતમાં ગાબડું પડવાની સંભાવના જોવા મળી રહી છે.
કોંગ્રેસ પક્ષ જૂથબંધી અને લોકોની જરૂરિયાતો સમજવામાં અસફળ વિપક્ષ સાબિત થયો છે. કોંગ્રેસના નેતાઓની સતત પક્ષ પલટો કરવાના કારણે વિશ્વસનિયતા રહી નથી. ત્યારે, ટૂંક સમયમાં ઉભરેલી આમ આદમી પાર્ટીને ગુજરાતમાં બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ગુજરાતમાં કેજરીવાલની મુલાકાતો વધી રહી છે અને સફળ જનસભાઓ કરી રહ્યા છે. આ ઉપરાંત આપના સ્થાનિક અને રાષ્ટ્રીય નેતાઓની ચહલપહલ ગુજરાતમાં વધી ગઇ છે. આ કારણે, કોંગ્રેસને ભાજપથી નારાજ મતો પોતાની તરફ વળવાની શક્યતા ઘટી ગઇ છે. ભાજપ અને કોંગ્રેસથી નારાજ મતો પણ આમ આદમી પાર્ટી તરફ ઢળી રહ્યા છે.
વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી જો એકલા હાથે ગુજરાતમાં સક્રિયતાથી ચૂંટણી મેદાનમાં ઉતરે તો કોંગ્રેસની ઓછા માર્જીનથી હાર જીત થયેલી ઘણી બેઠકો પર મોટો ફટકો પાડી શકે છે. કોંગ્રેસના વોટ શેરમાં પણ 12 ટકાથી વધુ ઘટાડો થવાની શક્યતા જોવા મળી રહી છે. જો, કોંગ્રેસ આમ આદમી પાર્ટીને કટ ટુ સાઇઝ કરવાનો કે તેના નુકસાનીની ભરપાઇ કરવાનો ઓપ્શન નહી ઉભો કરે તો વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો ભયંકર રકાશ થાય તેવી શક્યતા રાજકીય નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે.