કૃષિ મહોત્સવ નરેન્દ્ર મોદી માટે ફળદાયી રહેશે?
ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં બે તબક્કામાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012નું આયોજન કરવામાં આવ્યું છે. મતો આકર્ષવા માટે પક્ષ અને વિપક્ષે સામસામી આક્ષેપબાજી શરૂ કરી છે. વિપક્ષો દરેક સભાઓમાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના શાસનની આકરી ટીકા કરતા આવ્યા છે. આવા સમયે ગુજરાતમાં કરવામાં આવેલા સર્વેક્ષણના પરિણામો નવી દિશા તરફ આંગળી ચીંધે છે.
આ સર્વેક્ષણ ઇન્ટરનેશનલ વૉટર મેનેજમેન્ટ ઇન્સ્ટિટયૂટ અને ટાટા વૉટર પોલિસી પ્રોગ્રામ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. સંશોધનમાં એમ પણ જાણવા મળ્યું છે કે જમીન વિહોણા માત્ર 49 ટકા ખેડૂતોને રાજ્યમાં દર વર્ષે યોજવામાં આવતા કૃષિ મેળા અંગે જાણ હતી.
મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ખેડૂતોને લાભ અપાવવા માટે વર્ષ 2005માં કૃષિ મહોત્સવ અને કૃષિ મેળા શરૂ કર્યા હતા. આ મહોત્સવનો લાભ અન્ય કોઇ સમાજ કે જાતિ કરતાં સૌથી વધુ લાભ મુસ્લિમ ખેડૂતોને થયો હોવાનું સર્વેક્ષણના પરિણામોમાં જણાવવામાં આવ્યું છે.
ગુજરાતના કૃષિ મહોત્સવ અંગે અભ્યાસ મુજબ "કૃષિ મેળા અંગે જાગૃતિ અને તેમાં સહભાગીતા બાબતે અન્ય કોઇપણ સમાજ કરતાં વધુ ઉત્સાહ મુસ્લિમ ખેડૂતોનો જોવા મળ્યો છે. જો કે, અનુસૂચિત જાતી અને જમીન વિહોણા ખેડૂતોની સંખ્યા તેમનાથી ઓછી હતી."
સર્વે મુજબ કુલ સંખ્યામાંથી માત્ર 50 ટકા ખેડૂતોને એ વાતની જાણ હતી કે તેમના ગામડામાં કૃષિ રથ આવ્યો હતો અને તેમણે તેમાં ભાગ લીધો હતો. તેમાંથી 86 ટકા ખેડૂતો મુસ્લિમ હતા. આ 86 ટકા મુસ્લિમ ખેડૂતોમાંથી 81 ટકા ખેડૂતોનું કહેવું છે કે કૃષિ મહોત્સવથી તેમને લાભ થયો છે.
આ અભ્યાસમાં 1445 ઘરોને આવરી લેવાયા હતા અને તેમાં 72 ઘર મુસ્લિમ સમાજના હતા. તેમની સરેરાશ કૃષિ જમીન છ એકર હતી. તેમાં 68 ટકા મુસ્લિમ ખેડૂતો તેમની જમીન કુવાના પાણીથી સિંચે છે. જ્યારે 18 ટકા કેનાલ (નહેર)ના પાણીથી સિંચે છે. તેમાં સરેરાશ, દરેક ઘરોમાં સાત જેટલા પશુ પાળવામાં આવ્યા છે જે ઘણો ઊંચો આંક દર્શાવે છે.