Exclusive : પહેલી વાર સુખદ વાતાવરણમાં નેતૃત્વ પરિવર્તન, ઇતિહાસ પીડાજનક!

By કન્હૈયા કોષ્ટી
Google Oneindia Gujarati News

ગુજરાતમાં રેકૉર્ડ 13 વર્ષ બાદ થશે નેતૃત્વ પરિવર્તન

અમદાવાદ, 13 મે : ગુજરાતમાં ફરી એક વાર નેતૃત્વ પરિવર્તનની હવા ચાલી રહી છે. રાજ્યના 54 વર્ષના ઇતિહાસમાં વર્ષે-દહાડે ચાલતી આ હવા જોકે આ વખતે લાંબાગાળે એટલે કે લગભગ 13 વર્ષ બાદ ચાલી છે અને તે પણ એક સુખદ વાતાવરણ સાથે. રાજ્યમાં 13 વર્ષ બાદ ઊભી થયેલી નેતૃત્વ પરિવર્તનની આ પરિસ્થિત માટે કોઈ રાજકીય ઉથલ-પાથલ કે અસંતોષ કે અસ્થિરતા જવાબદાર નથી. આ વખત નેતૃત્વ પરિવર્તનની પરિસ્થિતિ નહીં, બલ્કે જરૂરિયાત ઊભી થઈ છે અને એટલે જ આ નેતૃત્વ પરિવર્તન સુખદ વાતાવરણમાં થઈ રહ્યું છે. નેતૃત્વ પરિવર્તનની બાબતનો પણ આ રેકૉર્ડ છે કે આટલા લાંબા સમય બાદ તે થવા જઈ રહ્યું છે અને તે પણ સુખદ માહોલમાં.

પૃથક ગુજરાત રાજ્યની સ્થાપના 1960માં થઈ હતી અને સ્થાપનાથી લઈ 2001 સુધી એટલે કે લગભગ 41 વર્ષ સુધી ગુજરાતમાં રાજકીય અસ્થિરતા અને ઉથલપાથલનો દોર રહ્યો હતો. આ 41 વર્ષ દરમિયાન મોટાભાગે રાજ્યમાં કોંગ્રેસની સરકાર રહી હતી અને મોટાભાગે તે બહુમતીથી સત્તા ઉપર આવેલી હતી. આમ છતાં રાજ્યમાં રાજકીય અસ્થિરતા સતત વળગેલી રહેતી.

ગુજરાતના ઇતિહાસમાં ડોકિયુ કરતા જણાય છે કે અહીં લગભગ આઠ વાર એવી પરિસ્થિતિ પેદા થઈ છે કે જેના કારણે કોઈ મુખ્યમંત્રીને કાર્યકાળ અધૂરો મૂકી રાજીનામુ આપવું પડ્યું. રાજકીય અસ્થિરતા અને અસંતોષના પગલે કેટલાય મુખ્યમંત્રીઓએ નારાજગી સાથે રાજીનામુ ધરવુ પડ્યું, તો કેટલાક નેતાઓની મુખ્યમંત્રીની ગદ્દીની લાલસાને કારણે પણ ચાલુ મુખ્યમંત્રીએ સત્તા ઉપરથી ખસવુ પડ્યું. આ તમામ રાજકીય ઉથલ-પાથલ પાછળ રાજકીય સ્વાર્થ અને સત્તા માટેની લાલસા જવાબદાર રહેતી અને રાજકીય દ્વેષ તથા સંઘર્ષના વાતાવરણ વચ્ચે નેતૃત્વ પરિવર્તન થતું.

ગુજરાતમાં છેલ્લે થયેલું નેતૃત્વ પરિવર્તન પણ કંઇક આવા જ દુઃખદ અને સંઘર્ષના માહોલ વચ્ચે થયુ હતું કે જ્યારે ભાજપ હાઈકમાંડે 2001માં કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી ખસેડી નરેન્દ્ર મોદીને ગુજરાતના મુખ્યમંત્રી પદે બેસાડ્યા હતાં. તે વખતે પણ કેશુભાઈ પટેલે ‘મારો વાંક શું?' જેવા અસંતોષભર્યા સવાલ સાથે કમને ગાદી છોડી હતી, પરંતુ આજે 13 વર્ષ ગુજરાતમાં પુનઃ નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે કે જે પરિસ્થિતિજન્ય નહીં, પણ આવશ્યકતાજન્ય છે અને એટલે જ તે સુખદ માહોલમાં થવા જઈ રહ્યું છે.

ચાલો સ્લાઇડર સાથે જાણીએ ગુજરાતમાં મુખ્યમંત્રીઓના રાજીનામા અને નેતૃત્વ પરિવર્તનનો પીડાજનક ઇતિહાસ :

જીવરાજ મહેતા

જીવરાજ મહેતા

ગુજરાતમાં રાજકીય અસ્થિરતાનો પહેલો ભોગ બન્યા હતાં પ્રથમ મુખ્યમંત્રી જીવરાજ મહેતા. પૃથક ગુજરાતની સ્થાપના સાથે 1960માં મુખ્યમંત્રી બનનાર મેહતાએ 1962માં યોજાયેલ પ્રથમ વિધાનસભા ચૂંટણીમાં પણ બહુમતી હાસલ કરી હતી, પરંતુ રતુભાઈ અદાણી, રસિકલાલ પરીખ અને તે વખતના પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ત્રિભુવનદાસ પટેલ જેવા અસંતુષ્ટોના પગલે 19મી સપ્ટેમ્બર 1963ના રોજ જીવરાજ મહેતાએ રાજીનામુ આપી દીધુ હતું. આમ ગુજરાતમાં પહેલી વાર નેતૃત્વ પરિવર્તન થયું અને બળવંતરાય મહેતા મુખ્યમંત્રી બન્યાં હતાં.

ઘનશ્યામભાઈ ઓઝા

ઘનશ્યામભાઈ ઓઝા

ગુજરાત અને દેશના રાજકારણમાં હાલ ભલે નરેન્દ્ર મોદીને ચાણક્ય કહેવાતા હોય, પરંતુ એક સમયે ચિમનભાઈ પટેલ ગુજરાતના ચાણક્ય હતાં. 1972ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસે કેન્દ્રીય મંત્રી ઘનશ્યામભાઈ ઓઝાને ગાંધીનગર મોકલી મુખ્યમંત્રી બનાવ્યાં અને આ વાત ચિમનભાઈ પટેલને ખૂંચી ગઈ. ચિમનભાઈએ દબાણનું રાજકારણ ખેલ્યું અને અંતે ખિન્ન થઈ ઘનશ્યામભાઈ ઓઝાએ 17મી જુલાઈ 1973ના રોજ રાજીનામુ ધરી દીધું. કોંગ્રેસ હાઈકમાંડે નેતૃત્વ પરિવર્તન કર્યું અને ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી બની ગયાં.

ચિમનભાઈ પટેલ

ચિમનભાઈ પટેલ

ચિમનભાઈ પટેલ પણ ગુજરાતના મુખ્યમંત્રી પદે ઝાઝુ ટકી ન શક્યાં. રાજ્યમાં થયેલ ભયંકર નવનિર્માણ આંદોલન ચિમનભાઈ પટેલને ભરખી ગયું. વ્યાપક પ્રજાકીય અસંતોષના પગલે ચિમનભાઈ પટેલે 9મી ફેબ્રુઆરી, 1974ના રોજ રાજીનામુ આપી દેવુ પડ્યું.

બાબુભાઈ પટેલ

બાબુભાઈ પટેલ

ચિમનભાઈ પટેલના રાજકારણના માહેર ખેલાડી હતાં. તેમણે કિસાન મજદૂર લોક પાર્ટી બનાવી અને 1975ની વિધાનસભા ચૂંટણીમાં જનતા મોરચા સાથે મળી કોંગ્રેસને માત આપી. જનતા મોરચાના બાબુભાઈ જસભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. દરમિયાન ઇમર્જંસી લાગુ થતા કેન્દ્ર સરકાર ચિમનનભાઈને ઉત્તર પ્રદેશની જેલમાં નાંખી દીધાં. કહેવાય છે કે કેન્દ્ર સરકારને ચિમનભાઈને જેલમાંથી આ જ શરતે છોડ્યા હતાં કે તેઓ ગુજરાતમાં બાબુભાઈની સરકારને આપેલો ટેકો પાછો ખેંચી લેશે. ચિમનભાઈએ એવું જ કર્યું અને બાબુભાઈએ 12મી માર્ચ, 1976ના રોજ મુખ્યમંત્રીની ખુરશી છોડવી પડી.

માધવસિંહ સોલંકી

માધવસિંહ સોલંકી

ગુજરાતમાં નરેન્દ્ર મોદી પહેલા કાર્યકાળ પૂર્ણ કરવાનો રેકૉર્ડ એકમાત્ર માધવસિંહ સોલંકીના નામે હતો. તેમણે 1980ની વિધાનસભા ચૂંટણીમાં ભારે બહુમતી હાસલ કરી મુખ્યમંત્રી પદ મેળવ્યુ હતું અને ચૂંટણીથી ચૂંટણી સુધીનું કાર્યકાળ પૂર્ણ કર્યુ હતું. એટલુ જ નહીં, 1985ની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમના નેતૃત્વ હેઠળ રેકૉર્ડ 149 બેઠકો કોંગ્રેસને હાસલ થઈ હતી, પરંતુ તે દરમિયાન શરૂ થયેલ અનામત વિરોધી આંદોલન માધવસિંહ સોલંકીને ભરખી ગયો. રાજ્યમાં વ્યાપક અસંતોષના પગલે કોંગ્રેસ હાઈકમાંડે નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો અને આમ માધવસિંહ સોલંકીએ 6ઠી જુલાઈ, 1985ના રોજ રાજીનામુ આપવુ પડ્યું.

અમરસિંહ ચૌધરી

અમરસિંહ ચૌધરી

સોલંકીના રાજીનામા બાદ ગુજરાતની ગાદી અમરસિંહ ચૌધરીને સોંપવામાં આવી, પરંતુ લોકસભા ચૂંટણી 1989માં ગુજરાતમાં કોંગ્રેસને 26માંથી માત્ર 3 બેઠકો મળી. કોંગ્રેસની ભુંડી હારના પગલે રાજ્ય કોંગ્રેસમાં ચૌધરી વિરુદ્ધ અસંતોષ ફાટી નિકળ્યો. કોંગ્રેસ હાઈકમાંડે પુનઃ નેતૃત્વ પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો. ચૌધરીએ 9મી ડિસેમ્બર, 1989ના રોજ રાજીનામુ આપી દીધું અને માધવસિંહ સોલંકી પુનઃ મુખ્યમંત્રી બની ગયાં.

ચિમનભાઈ પટેલ

ચિમનભાઈ પટેલ

ગુજરાતના ચાણક્યા ચિમનભાઈ પટેલ હવે જનતા દળમાં આવી ચુક્યા હતાં. 1990ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપ-જનતા દળ ગઠબંધનને બહુમતી મળી અને ચિમનભાઈ પટેલ પુનઃ મુખ્યમંત્રી બન્યાં. એક વર્ષની અંદર જ ભાજપ-જનતા દળ ગઠબંધન રાષ્ટ્રીય કક્ષાએ તુટી પડ્યું અને ગુજરાતમાં પણ ભાજપે ટેકો પાછો ખેંચી લેતા ચિમનભાઈની સરકાર લઘુમતીમાં આવી ગઈ, પરંતુ રાજકીય અસ્થિરતા વચ્ચે પણ ચિમનભાઈ ટકી ગયાં. તેમણે એક બાજુ ગુજરાત કોંગ્રેસનો ટેકો હાસલ કર્યો અને બીજી બાજુ રાષ્ટ્રીય કક્ષાએ જનતા દળથી છેડો ફાડી જનતા દળ ગુજરાત નામનો નવો પક્ષ રચ્યો. આમ ચિમનભાઈ પટેલ કદાચ માધવસિંહ સોલંકી બાદ કાર્યકાળ પૂર્ણ કરનાર બીજા મુખ્યમંત્રી બની શક્યા હોત, પરંતુ 17મી ફેબ્રુઆરી, 1994ના રોજ તેમનુ નિધન થઈ ગયું.

કેશુભાઈ પટેલ

કેશુભાઈ પટેલ

1995ની વિધાનસભા ચૂંટણીમાં પહેલી વાર ગુજરાતમાં ભાજપને સ્પષ્ટ બહુમતી મળી અને કેશુભાઈ પટેલ મુખ્યમંત્રી બન્યાં. તે વખતે લાગતુ હતું કે ગુજરાતમાં હવે રાજકીય સ્થિરતા રહેશે, પરંતુ 7 માસમાં જ શંકરસિંહ વાઘેલાના નેતૃત્વમાં ભાજપમાં થયેલ બળવાના પગલે ભાજપ હાઈકમાંડે નેતૃત્વ પરિવર્તન કરી કેશુભાઈ પટેલના સ્થાને સુરેશ મહેતાને મુખ્યમંત્રી પદે બેસાડ્યાં. આમ કેશુભાઈ પટેલને 21મી ઑક્ટોબર, 1995ના રોજ રાજીનામુ આપવુ પડ્યું.

સુરેશ મહેતા

સુરેશ મહેતા

સુરેશ મહેતા પણ કાર્યકાળ પૂર્ણ ન કરી શક્યાં. શંકરસિંહ જૂથ ખુલ્લેઆમ બળવો કરી ભાજપની વિરુદ્ધ આવી ગયું અને સુરેશ મહેતાને 19 સપ્ટેમ્બર, 1996ના રોજ રાજીનામુ આપી દેવુ પડ્યું.

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલા

શંકરસિંહ વાઘેલાએ કોંગ્રેસના ટેકાથી સરકાર બનાવી લીધી, પરંતુ તેમની કાર્યશૈલી સામે કોંગ્રેસને વાંધો પડ્યો અને વાઘેલાએ 27મી ઑક્ટોબર, 1997ના રોજ રાજીનામુ આપી પોતાના ખાસ દિલીપ પરીખને મુખ્યમંત્રી પદે બેસાડી દીધાં.

દિલીપ પરીખ

દિલીપ પરીખ

દિલીપ પરીખ માત્ર 4 જ મહીના મુખ્યમંત્રી પદે રહી શક્યાં. કોંગ્રેસમાં વાઘેલાનો વિરોધ વધતો ગયો અને તે વખતના કોંગ્રેસ પ્રમુખ સીતારામ કેસરીએ તો વાઘેલા વિરુદ્ધ અસભ્ય ઉચ્ચારણો કરી નાંખ્યાં. અંતે ભારે અંતરવિરોધો વચ્ચે દિલીપ પરીખે 4થી માર્ચ, 1998ના રોજ રાજીનામુ ધરી દેવુ પડ્યું.

કેશુભાઈ બોલ્યાં - મારો વાંક શો?

કેશુભાઈ બોલ્યાં - મારો વાંક શો?

ગુજરાતમાં 1998ની વિધાનસભા ચૂંટણીમાં કેશુભાઈ પટેલ ભારે બહુમતીથી પુનઃ મુખ્યમંત્રી બન્યાં, પરંતુ 2001માં આવેલ ભૂકમ્પ દરમિયાન સરકાર અને વહિવટી તંત્રની નિષ્ફળતાના પગલે તેમની વિરુદ્ધ અસંતોષ ઊભો થયો. એટલુ જ નહીં, રાજ્યમાં તે દરમિયાન યોજાયેલ છ મહાનગર પાલિકાઓ અને અન્ય સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ ભાજપની ભુંડી હાર થઈ. ગુજરાતમાંથી જમીન ખસકતા જોઈ ભાજપ હાઈકમાંડે કેશુભાઈ પટેલને મુખ્યમંત્રી પદેથી ખસેડવાનો નિર્ણય કર્યો. કેશુભાઈ પટેલે ‘મારો વાંક શો?' જેવા આર્તનાદ અને દુઃખ સાથે 6ઠી ઑક્ટોબર, 2001ના રોજ રાજીનામુ આપી દીધું.

પહેલી વાર સુખદ માહોલ

પહેલી વાર સુખદ માહોલ

ગુજરાતમાં 54 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર સુખદ માહોલમાં નેતૃત્વ પરિવર્તન થવા જઈ રહ્યું છે. કેશુભાઈ પટેલના સ્થાને 7મી ઑક્ટોબર, 2001ના રોજ મુખ્યમંત્રી બનનાર નરેન્દ્ર મોદીએ સતત 13 વર્ષ સ્થિર શાસન આપ્યું અને ત્રણ-ત્રણ ચૂંટણીઓમાં બહુમતીથી જીત હાસલ કરી. હવે જ્યારે મોદી વડાપ્રધાન બનવા તરફ અગ્રેસર છે, ત્યારે તેમણે ગુજરાતના મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપવુ પડશે. ગુજરાતમાં ખુશી-ખુશી રાજીનામુ આપનાર નરેન્દ્ર મોદી પહેલા મુખ્યમંત્રી બનશે, તો કોઈ રાજકીય ઉથલ-પાથલ કે અસ્થિરતાના માહોલ વગર પહેલી વાર સુખદ માહોલમાં ગુજરાતમાં નેતૃત્વ પરિવર્તન થશે. ગુજરાતમાં રાજકીય ઉથલ-પાથલ, અસ્થિરતા અને નેતૃત્વ પરિવર્તનનો ઇતિહાસ જાણવા સ્લાઇડર આગળ ફેરવો.

English summary
Gujarat has witnessed the leadership changes about eight times in last 54 years. This is the first time, when leadership changing in good environment, not for any political instability, but the history is painful. Yes we are talking about the change in powers in the state in last 54 years.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X