આઝાદીનો અમૃતકાળ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો યોગ્ય સમય છે
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, પ્રાદેશિક કેન્દ્ર વડોદરા તથા ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ, કડી સર્વ વિદ્યાલય અને ઉમા આર્ટ્સ અને નાથીબા મહિલા કોમર્સ કોલેજ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 'મેમરીઝ
કેન્દ્રીય સાંસ્કૃતિક મંત્રાલય, ઈન્દિરા ગાંધી નેશનલ સેન્ટર ફોર આર્ટ્સ, પ્રાદેશિક કેન્દ્ર વડોદરા તથા ઉદગમ ચેરિટેબલ ટ્રસ્ટ, કડી સર્વ વિદ્યાલય અને ઉમા આર્ટ્સ અને નાથીબા મહિલા કોમર્સ કોલેજ, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે 'મેમરીઝ ઑફ ૧૯૪૭ પાર્ટીશન' વિષય પર વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું.
પ્રાસંગિક ઉદબોધન કરતાં રમતગમત, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં ઉજવણી કરાઈ રહેલા 'હર ઘર તિરંગા અભિયાન'થી નાગરિકો, સમુદાયો પોતાના અંગત રાગ-દ્વેષ, ભેદભાવો ભૂલી રહ્યાં છે અને સામાજિક સમરસતામાં વધારો થઈ રહ્યો છે.
મંત્રીએ કહ્યું હતું કે, વડાપ્રધાનએ તા. ૧૩થી ૧૫ ઑગષ્ટ દરમિયાન સૌ દેશવાસીઓને પોતાના ઘર, કચેરી તથા ધંધાના સ્થળે તિરંગો ફરકાવવા માટે જે આહ્વાન કર્યું છે, તેને આજે દેશવાસીઓએ ચળવળ તરીકે ઉપાડી લીધું છે. સમગ્ર દેશ તિરંગામય થઈ ગયો છે. આઝાદીનો અમૃત મહોત્સવ સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાનને યાદ કરવાનો યોગ્ય સમય છે. રાજ્યમાં અત્યારે એક કરોડથી વધુ ઘરમાં તિરંગો ફરકાવીને સ્વાધીનતાના સેનાનીઓને સલામી આપવામાં આવી છે. આવનારા ૨૫ વર્ષો ભારતના છે. પ્રધાનમંત્રીની સ્વસ્થ અને સ્વચ્છ ભારતની પરિકલ્પના સાકાર કરવા, નવા ભારતના નિર્માણ માટે સૌ વિદ્યાર્થીઓને યોગદાન આપવા મંત્રીએ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે ગાંધીનગરના મેયર હિતેષભાઈ મકવાણા તથા કડી સર્વ વિદ્યાલયના વ્યાખ્યાતાઓ અને અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.