Lok Sabha Election 2024: ગૃહ મંત્રી અમિત શાહ ગાંધીનગર કરશે રોડ શો, 19 એપ્રિલે નોંધાવશે ઉમેદવારી
Lok Sabha Election 2024: કેન્દ્રીય ગૃહમંત્રી અને ભાજપના ઉમેદવાર અમિત શાહ ગુરુવારના રોજ ગાંધીનગરમાં ત્રણ રોડ શો કરશે અને રેલીને સંબોધશે. આ પછી અમિત શાહ શુક્રવારના રોજ ગાંધીનગર લોકસભા બેઠક પરથી ઉમેદવારી નોંધાવશે. કેન્દ્રીય ગૃહમંત્રી બુધવારના રોજ ગુજરાત પહોંચ્યા હતા.
અમિત શાહે ગાંધીનગર સંસદીય બેઠક હેઠળની લગભગ અડધો ડઝન વિધાનસભા બેઠકો પર ગુરુવારના રોજ યોજાનાર તેમના વિજય શંખનાદ રોડ શોની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેઓ 19મી એપ્રિલે બપોરે વિજય મુહૂર્તમાં ઉમેદવારી નોંધાવશે.
ભાજપે શાહને આ બેઠક પરથી 10 લાખ મતોના માર્જિનથી ચૂંટણી જીતાડવાનું લક્ષ્ય રાખ્યું છે. અમિત શાહ ગુરુવારે સાણંદ, કલોલ, સાબરમતી, ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર વિધાનસભા ક્ષેત્રમાં વિજય શંખનાદ રોડ શો કરશે.
ભાજપે બુધવારના રોજ જાણકારી આપી હતી કે, રોડ શોને ભવ્ય બનાવવા માટે આ તમામ બેઠકોના ધારાસભ્યો અને અમદાવાદ અને ગાંધીનગર ભાજપના જિલ્લા સંગઠન દ્વારા જોરશોરથી તૈયારીઓ કરવામાં આવી રહી છે. રાજ્યની તમામ 26 લોકસભા બેઠકો માટે 7 મેના રોજ મતદાન થશે. નોમિનેશનની છેલ્લી તારીખ 19 એપ્રિલ છે.

રાજપૂત નેતાઓને મળી શકે છે અમિત શાહ - પોતાના વ્યસ્ત પ્રવાસ વચ્ચે અમિત શાહ કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાથી નારાજ રાજપૂત સમાજના નેતાઓને મળી શકે છે. રાજપૂત સમાજની વિવિધ સંસ્થાઓની સંકલન સમિતિ અને કરણી સેનાના અધિકારીઓ હજુ પણ પરષોત્તમ રૂપાલાની ટિકિટ કાપવા પર મક્કમ છે.
ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજપૂત આગેવાનો સાથે વાટાઘાટો કરી છે, પરંતુ પરષોત્તમ રૂપાલાના નામાંકન બાદ પણ રાજપૂત આગેવાનો પોતાની માંગ પર અડગ છે. અમિત શાહ તેમની મુલાકાત દરમિયાન રાજપૂત નેતાઓને મળીને મનાવી શકે છે.
ભાજપના ગુજરાત એકમના પ્રવક્તા યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, ગૃહ મંત્રી શાહ તેમનો પહેલો રોડ શો અમદાવાદ જિલ્લાના સાણંદ શહેરમાં અને બીજો ગાંધીનગર જિલ્લાના કલોલ શહેરમાં કરશે. તેમનો ત્રીજો રોડ શો અમદાવાદ શહેરમાં યોજાશે, જેમાં ઘાટલોડિયા, નારણપુરા અને વેજલપુર જેવા વિસ્તારો સામેલ થશે.
અમિત શાહે જણાવ્યું હતું કે, ગાંધીનગર લોકસભા બેઠક પરથી ફરી એકવાર ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા અમિત શાહ શુક્રવારના રોજ ઉમેદવારી પત્ર ભરશે.
યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું કે, રોડ શો કર્યા બાદ શાહ અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં ચૂંટણી રેલીને સંબોધશે. અમિત શાહ બુધવારના રોજ અમદાવાદ પહોંચ્યા હતા, અને તેમના ચૂંટણી પ્રચારનું સંચાલન કરનારાઓ સાથે બેઠકો કરી હતી.












Click it and Unblock the Notifications
