માંગરોળના ખેડૂતે પપૈયામાં ડ્રિપ ઇરિગેશન કરી વાર્ષિક 6 લાખ આવક મેળવી
માંગરોળ, 18 જૂન : સૂરત જિલ્લાના ખેડૂતો કૃષિ મહોત્સવના પરિણામે નીતનવા પ્રયોગો કરતા થયા છે. અવનવું કરવાની ઝંખનાવાળા ખેડૂતોને કૃષિ મહોત્સવમાં જોઈએ તેવું માર્ગદર્શન મળી રહે છે. આનું સફળ પરિણામ પણ જોવા મળ્યું છે.
સૂરત જિલ્લાના માંગરોળ તાલુકાના લવેટ ગામના યુવા ખેડૂત ઉમેશભાઈ સુમનભાઇ ચૌધરીએ તાઈવાન પપૈયાનું વાવેતર કરીને લાખોની કમાણી કરી છે. વાત કરતા તેઓ કહે છે કે, અમે પ્રથમ શેરંડી, ડાંગર જેવા પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા. જેમાં વધારે પાણીનો ઉપયોગ થતો અને ઉત્પાદન પણ જોઈએ તેવું મળતું ન હતું.
તેમણે જણાવ્યું કે બાજુના ગામના ખેડૂતો તથા કૃષિમહોત્સવમાંથી પ્રેરણા મેળવીને કંઈક નવું કરવાનું વિચાર્યું. જેથી મે 2013માં બાગાયતી પાક લેવાનું આયોજન કર્યું. જેમાં પ્રથમ 4 એકરમાં તાઈવાન જાતના પપૈયાના છોડ વાલીયાથી લાવીને રોપણી કરી. સાથે ડ્રીપ ઈરીગેશન પધ્ધતિથી પાણી આપવાની શરૂઆત કરી. વધુમાં તેમણે જણાવ્યું કે બાગાયત તરફથી રૂપિયા 28,000 અને ડ્રિપ ઈરીગેશન કરવા બદલ રૂપિયા 10,000ની સબસીડી પણ મળી.
આજુબાજુના ગામના ખેડૂતો તેમજ એક કંપનીના માર્ગદર્શન હેઠળ ખાતર પાણી આપ્યા. ડિસેમ્બર 2013માં પાક આપવાની શરૂઆત થઈ. વેપારીઓનો સંપર્ક સાધતા તેઓએ તો ખેતરેથી જ પપૈયાનો પાક લઈ જઈશું એમ કહયું. જેથી ટ્રાન્સપોર્ટ, માલને બજાર સુધી પહોંચાડવાની ઝંઝટમાંથી મને તો મુકિત મળી ગઈ. મહિને ત્રણવાર પાકનો ઉતારો આવે છે.
ઉમેશભાઈ કહે છે કે જુન 2014 સુધીમાં 150 ટન જેટલું ઉત્પાદન મળ્યું છે અને હજુ છેલ્લો ઉતારામાં 25 ટન જેટલો પાક આવશે. સરેરાશ ટનદીઠ રૂપિયા 6000નો ભાવ આવતા અત્યાર સુધીમાં રૂપિયા નવ લાખના પપૈયાનું ઉત્પાદન થયું છે અને રૂપિયા ત્રણ લાખનો મજુંરીનો ખર્ચ બાદ કરતા રૂપિયા 6 લાખ જેટલો ચોખ્ખો નફો મળ્યો છે. નવાઈની વાત તો એ છે કે, પપૈયામાંથી નીકળતા દુધનું વેચાણ કરીને તેમાંથી પણ રૂપિયા 30,000ની આવક થઈ છે.
ઉમેશભાઈ કહે છે કે ત્રણ વર્ષ પહેલા ઉનાળાના સમયમાં બોર દ્વારા બે એકરમાં જે પાણી વપરાતું હતું તેટલું ડ્રિપ ઈરીગેશન અપનાવવાથી આજે ૧૧ એકરમાં પાણી પાઈ શકું છું. ખેડૂતોને સંદેશો આપતા કહે છે કે, ડ્રિપ ઈરીગેશન અપનાવવાથી ઓછું પાણી, ઓછો ખર્ચ, ઓછા સમયમાં વધુ જમીનને આવરી લેવાઈ છે અને પાકનું ઉત્પાદન પણ વધારે મેળવી શકાય છે. જેથી દરેક ખેડૂતોએ આ ડ્રિપ ઈરીગેશન પધ્ધતિ અપનાવવી જોઈએ.