શહીદ દિનેશે મિત્રને કહ્યું હતું, 'ત્રિરંગામાં લપેટાઇને આવીશ'
શનિવારે થયેલ આતંકી હુમલામાં મૂળ અમદાવાદના એવા સીઆરપીએફ જવાન દિનેશ બોરસેનું મૃત્યુ થયું હતું. તેમના મૃતદેહને રવિવારે અમદાવાદ લાવવામાં આવ્યો હતો.
અમદાવાદના નરોડાના રહેવાસી અને સીઆરપીએફમાં દિનેશ દીપકભાઇ બોરસે જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદી સાથેના એન્કાઉન્ટરમાં શહીદ થયા હતા. તેમના પાર્થિવ શરીરને રવિવારે સવારે અમદાવાદ ખાતે લાવવામાં આવ્યો હતો. શનિવારે જમ્મુ કાશ્મીરમાં પુલાવામાં પોલીસ લાઇન પર આતંકવાદી હુમલો થયો હતો, જેમાં 8 જવાનો શહીદ થયા હતા. આ શહીદ થયેલ જવાનોમાં અમાદાવદના દિનેશનો પણ સમાવેશ થાય છે. દિનેશનો પાર્થિવ દેહ રવિવારે અમદાવાદ એરપોર્ટ પર પહોંચ્યો હતો. જ્યાં ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી.
દિનેશ 12 વર્ષથી સીઆરપીએફમાં હતા. દિનેશને 4 વર્ષની પુત્રી અને 3 મહિનાનો પુત્ર પણ છે. દિનેશના પિતા દિપકભાઇ બોરસે પણ હાલમાં સીઆરપીએફ કેમ્પ ખાતે અમદાવાદમાં ફરજ બજાવે છે. દિનેશ બોરસે પોતાના પરિવારના એકના એક પુત્ર હતા, તેમની બે બહેનો છે. દિનેશે બે દિવસ પહેલાં જ પોતાના મિત્ર સાથે વાત કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, તે આતંકવાદીને મારી અથવા ત્રિરંગામાં લપેટાઇને જ ઘરે આવશે. અનાયાસે દિનેશના મોઢામાંથી નીકળેલી આ વાત સાચી પડી હતી.