ગુજરાતમાં મારૂતિનો નવો પ્લાન્ટ કાર્યરત થવામાં વિલંબ
અમદાવાદ, 26 ઓગસ્ટ : મંદીને કારણે મારૂતિ સુઝુકી ઇન્ડિયાની ગુજરાતમાં પ્લાન્ટ શરૂ કરવાની યોજના વિલંબમાં મુકાશે એવો સંકેત મળી રહ્યા છે. ખેડૂતો તરફથી પણ કંપની મુશ્કેલીનો સામનો કરી રહી છે. રાજય સરકાર દ્વારા કંપનીને ફાળવવામાં આવેલી જમીન ખેડૂતો પાછી માંગી રહયા છે. વિવાદનો મુખ્ય મુદો ગુજરાત સરકાર દ્વારા મારૂતિ સુઝુકીને હાંસલપુર અને ઉઘરોજપુરા ખાતે ફાળવવામાં આવેલી જમીનનો છે.
આ બંને ગામ માંડલ-બેચરાજી સ્પેશિયલ ઇન્વેસ્ટમેન્ટ રિજન (સર)નો ભાગ છે. ગ્રામવાસીઓ 'સર' હેઠળ જમીન નહીં ફાળવવાની માંગણીને વળગી રહયા છે. સરકારે તાજેતરમાં મૂળ 'સર'માં ફેરફાર કરી 36 ગામને 'સર'માંથી બહાર રાખ્યા છે.
હવે માંડલ-બેચરાજી સર હેઠળ માત્ર આઠ ગામને રાખવાનો પ્રસ્તાવ છે. ઉપરાંત ખેડૂતોના વિરોધને પગલે 'સર' હેઠળનો વિસ્તાર અગાઉ નોટિફાય કરાયેલા 500 ચોરસ કિલોમીટરમાંથી ઘટાડી 100 ચોરસ કિલોમીટર કરવામાં આવ્યો છે. આ ગામડાંના ખેડૂતો 'સર'માં જોડાવા ઇચ્છતા નથી અને તેમને ઔદ્યોગિકીકરણ કરતાં ખેતી વધુ પસંદ છે.
તેમના જણાવ્યા અનુસાર આ ગામડાંમાં ઉપલબ્ધ જમીનના 50 ટકા ઉદ્યોગોને ફાળવી દેવાશે. તેને લીધે તેમની પાસે કૃષિ અને પશુઓના ચારાની જરૂરિયાતને સંતોષવા ખેડાણ માટે પૂરતી જમીન નહીં રહે. જમીન અધિકાર આંદોલન ગુજરાત (જાગ)ના સંયોજક સાગર રબારીએ જણાવ્યું હતું કે 'અમે 'સર' હેઠળ આ ગામડાંને સમાવવાના સરકારના નિર્ણયનો વિરોધ ચાલુ રાખીશું.'