મહેસાણા કસ્ટોડિયલ ડેથઃ એક સપ્તાહ બાદ 3 ભાગમાં નોંધાઇ ફરિયાદો
મહેસાણામાં પોલીસ કસ્ટડીમાં પાટીદાર યુવકના મૃત્યુ મામલે આખરે એક સપ્તાહ બાદ ફરિયાદ નોંધવામાં આવી છે.
મહેસાણામાં પાટીદાર યુવક કેતન પટેલની કસ્ટોડિયલ ડેથના મામલે એક સપ્તાહ પછી સોમવારે મોડી રાત્રે મહેસાણા તાલુકા પોલીસ મથક ખાતે ત્રણ શાખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. જો કે, ફરિયાદ ત્રણ ભાગમાં આપવામાં આવી છે. ફરિયાદમાં મૃતક પર ચોરીના આરોપ, પોલીસ કસ્ટડી અને જેલ એમ ત્રણ ભાગમાં ફરિયાદ આપવામાં આવી છે. ફરિયાદ ત્રણ શખ્સો સામે કરવામાં આવી છે. જેમાં ચિરાગ પરમાર પોલીસ હેડ કોન્સ્ટેબલ, ભરત બારોટ અને ભરત બારોટના પુત્ર સામે ફરિયાદ નોંધાવામાં આવી છે.

14 કલમો હેઠળ નોંધાઇ ફરિયાદ
મહેસાણાના એસપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે, ફરિયાદ ત્રણ આરોપીઓના નામજોગ છે. ફરિયાદમાં કુલ 14 જેટલી કલમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં કલમ 302, 365, 323, 364, 397, 343, 166, 330, 331, 143, 147, 149, 120 બી, અને ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમની કલમ 7/12 અનુસાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

પહેલી ફરિયાદ
મૃતકના વકીલ બી.એમ માંગુકિયાએ જણાવ્યું હતું કે, લેખિતમાં ફરિયાદ આપી છે. જેમાં તારીખ 1-6-2017 ના રોજ મૃતકનું અપહરણ કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ મૃતકને આરોપીના પાનના ગલ્લા પર લઇ જઈ માર મારવામાં આવ્યો હતો. એ પછી ઇજાગ્રસ્ત મૃતકને પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યો હતો. મૃતક પર કોઇ કેસ ન હોવા છતાં તેને પોલીસ સ્ટેશનમાં રાખીને માર મારવામાં આવ્યો હતો અને ત્યાર બાદ જેલમાં બંધ કરવામાં આવ્યો હતો. 31 તારીખની ચોરીની બાબતે તા.3 રાત્રે 9.30 વાગે ફરિયાદ કરવામાં આવી અને એમાં ધરપકડ દેખાડવામાં આવી હતી. તા.4ના રોજ મૃતકને કોર્ટમાં રજુ કરવામાં આવ્યો અને 5મી તારીખે તેનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર ઘટનાની ફરિયાદ નોંધાવવામાં આવી છે.
બીજી અને ત્રીજી ફરિયાદ
બીજી ફરિયાદ એવી છે કે, આ 9500 રૂપિયાની ચોરીના ગુનામાં પોલીસ આરોપીને આટલું મારે નહીં. જેનો અર્થ છે કે, પોલીસે કોઇકના કહેવાથી કે સોપારી લઇને મૃતકને માર્યો હોવાની શક્યતા નકારી ન શકાય. કોની પાસેથી કેટલા પૈસા લઇ કોણે હત્યા કરી, એ ફરિયાદનો બીજો ભાગ છે. ત્રીજો ભાગ એવો છે કે, જે પ્રથમ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું, એમાં જાણી જોઇને ખોટી વિગતો આપવામાં આવી. પ્રથમ પોસ્ટમોર્ટમની રિપોર્ટમાં મૃતકના મૃત્યુ માટે જવાબદાર ગુનેગારોને છાવરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો. આવું કોના કહેવાથી કરવામાં આવ્યું, એનો શું નિષ્કર્ષ છે? એની તપાસ માટે ત્રીજી ફરિયાદ નોંધવામાં આવી છે.
વકીલ બી.એમ માંગુકિયાને મળી ધમકી
પાટીદાર આંદોલનથી ચર્ચામાં આવેલ વકીલ બી.એમ માંગુકિયાન કસ્ટોડિયલ ડેથ મામલાની આગેવાની લેતાં તેમને ધમકી મળી રહી છે. વકીલ માંગુકિયાને છેલ્લા ત્રણ દિવસથી ધમકી મળી રહી છે, જે અંગે તેમણે આઈ.જી.ને લેખિત રજૂઆત પણ કરી છે. માંગુકિયાને તેમના વાહન પર કોઈ વાહન ચઢાવવાની, તેમની ગાડીમાં કોઈ અજાણ્યા શખ્સનેને બેસાડીને ફાયર આર્મથી કે તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવાની ધમકી મળી રહી છે.












Click it and Unblock the Notifications
