પ્રતિનિધિત્વમાં અમદાવાદ અવ્વલ, પંદર જિલ્લાઓ વંચિત
અમદાવાદ, 26 ડિસેમ્બર : ગુજરાતમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ આજે રચાયેલ 17 સદસ્યીય મંત્રિમંડળમાં કુલ 11 જિલ્લાઓને પ્રતિનિધિત્વ અપાયું છે. સૌથી વધુ પ્રતિનિધિત્વ અમદાવાદ જિલ્લાને મળ્યું છે, જ્યારે 15 જિલ્લાઓ પ્રતિનિધિત્વવિહોણા રહ્યાં છે.
અમદાવાદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે યોજાયેલ શપથ વિધિ સમારંભમાં આજે રાજ્યપાલ ડૉ. શ્રીમતી કમલાએ સૌપ્રથમ નરેન્દ્ર મોદીને મુખ્યમંત્રી તરીકે હોદ્દા અને ગુપ્તતાના શપથ અપાવ્યાં. મોદીએ શપથ ગ્રહણ કર્યા બાદ તેમના મંત્રિમંડળમાં 7 કેબિનેટ અને 9 રાજ્ય કક્ષાના મંત્રીઓનો સમાવેશ કરવામાં આવ્યો.

નવરચિત મંત્રિમંડળ અંગે જો જિલ્લાવાર સમીક્ષા કરીએ, તો સૌથી વધુ પ્રતિનિધિત્વ અમદાવાદને મળ્યું છે. મોદી મંત્રિમંડળમાં અમદાવાદ જિલ્લાના કુલ્લે ચાર મંત્રીઓ છે. તેમાં નરેન્દ્ર મોદી પોતે મણિનગરના ધારાસભ્ય છે, તો આનંદીબેન પટેલ (ઘાટલોડિયા), ભૂપેન્દ્રસિંહ ચુડાસમા (ધોળકા) અને પ્રદીપસિંહ જાડેજા (વટવા) પણ અમદાવાદ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરે છે.
બીજા સ્થાને બનાસકાંઠા, મહેસાણા અને સૂરત
મંત્રિમંડળમાં પ્રતિનિધિત્વની બાબતમાં બનાસકાંઠા, મહેસાણા અને સૂરત બીજા સ્થાને રહ્યાં છે કે જ્યાંથી 2-2 ધારાસભ્યોને મંત્રી બનાવાયાં છે. તેમાં મહેસાણાથી નિતિન પટેલ તેમજ રજનીકાંત પટેલ, બનાસકાંઠાથી પરબત પટેલ અને લીલાધર વાઘેલા અને સૂરતથી ગણપત વસાવા અને નાનુભાઈ વાનાણીનો સમાવેશ થાય છે. આ ઉપરાંત જે જિલ્લાઓમાંથી એક-એક ધારાસભ્યને મંત્રી બનાવાયાં છે, તેમાં સાબરકાંઠાથી રમણલાલ વોરા, વડોદરાથી સૌરભ પટેલ, પોરબંદરથી બાબુભાઈ બોખીરિયા, ભાવનગરથી પુરુષોત્તમ સોલંકી, જામનગરથી વસુબેન ત્રિવેદી, રાજકોટથી ગોવિંદભાઈ પટેલ અને સુરેન્દ્રનગરથી જયંતીભાઈ કવાડિયાનો સમાવેશ થાય છે.
પંદર જિલ્લાઓ પ્રતિનિધિત્વ વિહોણા
મોદી મંત્રિમંડળમાં પંદર જિલ્લાઓ પ્રતિનિધિત્વવિહોણા રહ્યાં છે. તેમાં કચ્છ, જૂનાગઢ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, નર્મદા, ભરૂચ, અમરેલી અને પાટણનો સમાવેશ થાય છે.












Click it and Unblock the Notifications
