For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

''એક ભારત શ્રેષ્ઠ ભારત''ના સ્વપ્નને સાકાર કરવા માટે, આવો, ગુજરાતને ઉત્તમ બનાવીએ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

1 મે, ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ પ૩માં ગુજરાત સ્થાનપના દિવસના ગૌરવવંતા અવસરે રાજ્યના સૌ નાગરિકોને અંતઃકરણની શુભકામનાઓ પાઠવતાં જણાવ્યું છે કે ગુજરાતે સૌના સાથ સૌના વિકાસ મંત્રને ચિરતાર્થ કરી બતાવ્યોં છે. ગુજરાતે આજે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી છે. જો સૌનો સાથ ન હોત તો ગુજરાતનો આ વિકાસ આજે પણ ન હોત આ વિકાસ એટલા માટે શક્ય બન્યો છે કે છ કરોડ ગુજરાતીઓએ ખભેખભો મિલાવીને કદમથી કદમ મિલાવીને સાથ આપ્યો છે.

ગુજરાતની પ્રજાજોગ પ્રસારણમાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે ''એક ભારત શ્રેષ્ઠ ભારત'' આપણા સૌનું સ્વપ્નું છે અને તેમાં ઉત્તરત્તર ગુજરાત બનાવીને આપણે યોગદાન આપવાનો સંકલ્પ કરીએ. મહાગુજરાતની ચળવળને ગુજરાતની સંઘર્ષ યાત્રામાં શિરમોર સમાન ગણાવતાં નરેન્દ્ર મોદીએ ઇન્દુચાચાના નેતૃત્વમાં ગુજરાતના સ્વાભિમાન અને અસ્મિતાની લડાઇને સમર્પિત થનારા વીર શહિદોને વંદન કર્યા હતા અને મહાગુજરાતના ઘડવૈયાઓનું પુણ્ય સ્મવરણ કર્યું હતું.

narendra-mdoi

મુખ્યમંત્રીનો અક્ષરસઃ સંદેશ આ પ્રમાણે છેઃ-

વિશ્વભરમાં પથરાયેલ મારા વ્હાલા ગુજરાતના સૌ વ્હાલા ભાઇઓ અને બહેનો, આજે ૧લી મે છે. આપણા ગુજરાતનો સ્થાપના દિવસ. મહાગુજરાતની ચળવળ એ ગુજરાતની સંઘર્ષયાત્રામાં શિરમોર સમાન છે. જે ગુજરાતે આઝાદીના જંગમાં અનેકવિધ બલિદાનો આપ્યા હતા, અંગ્રેજો સામે મોતને મુઠ્ઠીમાં લઇને લઇ લડી બતાવ્યું હતું એ ગુજરાતનું ખમીર અને ગુજરાતનું ઝમીર, ઇતિહાસની અટારીએ આજે પણ, ચીર પ્રકાશિત આપણે જોઇ શકીએ છીએ. મહાગુજરાતની ચળવળપણ દૂધમલ યુવાનોએ મોતને પસંદ કરીને ગુજરાતના સ્વાભિમાનની ગુજરાતની અસ્મિતાની લડાઇ લડી હતી.

ઇન્દુચાચાના નેતૃતવમાં ગુજરાતના વિદ્યાર્થી આલમે આ સિધ્ધિ પ્રાપ્ત કરી હતી અને આખાય મહાગુજરાતનું આંદોલન ભારતની શકિતમાં વધારો કરવા માટેનો એક પ્રયાસ હતો. અને જે દિવસે ગુજરાત અલગ પડ્યું ત્યારે અનેક લોકોનું કહેવાનું હતું કે આ ગુજરાત શું કરશે ? ના. એની પાસે પાણી છે, એની પાસે ખાણ ખનીજ છે? ના. એની પાસે ઉદ્યોગ- કારખાનાઓ છે ના? વિશાળ રણ પડ્યું છે. ઘૂઘવાટો સાગર કિનારો છે. કરશે શું ગુજરાતવાળા? લગભગ બધાંયને એવું સમજાવવામાં આવતું હતું કે ગુજરાત કાંઇ નહી કરી શકે. અને એ લોકોની ચિંતા કદાચ સાચી પણ હશે પણ, ગુજરાતે એના મિજાજના દર્શન કરાવ્યા છે.

હું હંમેશા કહેતો આવ્યો છું કે આજે ગુજરાત જે છે તે કોઇ ટૂંકાગાળાના સમયગાળાની દેન નથી, એની સાથે સદીઓ જુની પરંપરા પણ જોડાયેલી છેગુજરાતે એની ભિન્ન વિકાસયાત્રા શરૂ કર્યા પછીના, ગયા પ૦ વર્ષ કરતાં. વધુ સમયના કાળખંડના સૌ નાગરિકોનું આ યોગદાન છે. વત્તા ઓછા પ્રમાણમાં દરેક સરકારનું યોગદાન છે. આજે જ્યારે આપણે ગુજરાતને વધુ ઉંચાઇઓ પર લઇ જવા માટેનો સંકલ્પ લઇને આગળ ચાલી રહ્યાં છીએ ત્યારે જે કંઇ ઉત્તમ છે એનો સ્વીકાર કરીએ અને વધુ ઉત્તમ બનવાની દિશામાંઆપણે પ્રયાસ કરીએ. ગુજરાતે અનેક ક્ષેત્રોમાં નવો ચીલો ચાતર્યો છે.

ગઇકાલ સુધી ૧૬૦૦ કિ.મી.નો દરિયા કિનારોએ જાણે ગુજરાતના વિકાસને રૂંધતો હોય તો કેમ ગુજરાત આગળ વધશે તેમ માનવામાં આવતું હતું પણ આજે ગુજરાત ૧૬૦૦ કિ.મી.નો દરિયાકિનારો માત્ર ગુજરાતનો જ વિકાસ નહીં દેશની સમૃધ્ધિનું પ્રવેશ દ્વાર બનીને થનગનાટ અનુભવી રહ્યો છે. ગઇકાલ સુધી લાગતું હતું કે આ રેગિસ્તાન આ રણ આ કચ્છનો અખાત-ખારો પાટ આગુજરાત આ બોજનું વહન કયાંથી કરશે. આજે એ જ ગુજરાતનું રણ જે ગઇકાલે બોજો લાગતું હતું એ ગુજરાતનું રણ આજે હિન્દુસ્તાનનું તોરણ બનીને ભારતની શોભામાં અભિવૃધ્ધિ કરી રહ્યું છે. વિશ્વભરના યાત્રીઓ અને આકર્ષી રહ્યું છે.

દુનિયાના આખામાં ટુરિઝમનો થ્રી ટ્રીલીયનનો બિઝનેસ રાહ જોઇ રહ્યો છે. તો આપણું ગુજરાત અછૂત કેમ રહી જાય એ વાત સાચી છે કે ટુરિઝમની બાબતમાં આપણે ખૂબ મોડા પડ્યા છીએ. આપણે ક્યારેય એના તરફ ભુતકાળમાં ધ્યાન કેન્દ્રીત ન કર્યું અધકચરા પ્રયાસોના કારણે પરિણામ પણ ન મળ્યું. ગયા પાંચ- સાત વર્ષની લગાતાર મહેનત ઉગી નીકળી છે. સૌ એકબીજાને કહેતા થઇ ગયા છે. "કુછ દીન તો ગુજારો ગુજરાત મૈ" જાણે સહજ નિમંત્રણ બની ગયું છે. અને પરિણામે સેવાક્ષેત્રમાં, હવે ગુજરાતના યુવાનોનો દબદબો ઉભો થવા માંડયો છે. ભારતના સરેરાશ પ્રવાસન કરતાં ગુજરાતનો પ્રવાસનનો વિકાસ લગભગ ડબલ થયો છે. ગરીબમાં ગરીબ માનવીને છેવાડામાં છેવાડાના વિસ્તારના નાગરિકને રોજી રોટી આપવાનું કામ ટુરિઝમ દ્વારા શકય બન્યું છે. આપણને એમાં સફળતા મળી છે.

સમગ્ર હિન્દુસ્તાન જ્યારે સ્વામી વિવેકાનંદની ૧પ૦મી જન્મ જયંતી ઉજવી રહી છે ત્યારે આપણે આપણું સઘળુ ધ્યાન યુવકો પર કેન્દ્રીત કર્યું છે. યુવકોમાં પણ એક મહત્વના કામને આપણે બળ આપ્યું છે. સ્કીલ ડેવલપમેન્ટ હર યુવા-હાથને હુન્નર. એકવાર હાથમાં હુન્નર હોય તો, માણસ પથ્થર પર પાટુ મારીને પણ સોનું પકવી શકતો હોય છે. આજે મારે ગર્વ સાથે કહેવું છે. રાજકીય આટાપાટમાં ખૂપી ગયેલા લોકો, ગુજરાતને બદનામ કરવા માટેનો એકેય મોકો જતો નથી કરતા ત્યારે, દિલ્હીમાં બેઠેલી, સ્વયં ભારતની સરકારે હમણાં ૧પ દિવસ પહેલાં, સ્કીલ ડેવલપમેન્ટની બાબતમાં, કૌશલ્ય વર્ધન કેન્દ્રની બાબતમાં, હુન્નરના વિકાસની બાબતમાં, ગુજરાતને સમગ્ર દેશમાં ઉત્તમ કામગીરીનો એવોર્ડ અપ્યો છે. આજ આપ વિશ્વના કોઇપણ સરકારની પાસેથી કંઇ સાંભળશો તો એક વાત અચૂક પણે વિશ્વભરમાં ચર્ચાતી હશે અને ચર્ચાય છે.

સ્કીલ ડેવલપમેન્ટઃ ગુજરાતે આગોતરૂ આયોજન કરીને, અગમચેતી વાપરીને, હિન્દુસ્તાનની યુવાશકિત-રાષ્ટ્ર નિર્માણની ધરોહર કેવી રીતે બને એ બાબતને ધ્યાનમાં રાખીને સ્કીલ ડેવલપમેન્ટના અભિયાનને બળ આપ્યું છે. કૌશલ્ય વર્ધન કેન્દ્રો દ્વારા લાખો યુવાનો પ્રશિક્ષત થયા છે. મારે આનંદ સાથે કહેવું છે કે કૌશલ્ય વર્ધન કેન્દ્રોની અંદર ગામડે ગામડે આ કેન્દ્રો ઉભા કરવાનો પ્રયાસ આપણ આદર્યો છે. ત્યારે ૬૦ ટકા કરતાં વધુ અમારી બહેનો એનો લાભ લઇ રહી છે. એનો અર્થ એ થયો કે આપણા ગુજરાતના યુવકો અને યુવતીઓ બંન્ને કૌશલ્ય દ્વારા ગુજરાતની વિકાસ યાત્રામાં નવો પ્રાણ પૂરી દીધો છે.

ભાઇઓ- બહેનો, ગયા ૧૦ વર્ષ આપણા પર ઇશ્વરની કૃપા રહી પરમાત્માની મહેર રહી. આપણે સાઇકલોન જોયા, સુનામી જોઇ, ભૂકંપ જોયો, બેન્કોના ગોટાળા જોયા, અનેક આફતોમાંથી પસાર થયા પણ, સદનસીબે, ગયો આખો દશકો ઇશ્વરની કૃપા રહી, વરસાદ રહ્યો, આપણાં નદી, નાળાં, ચેકડેમ, તળાવો, ડેમ પરમાત્માની કૃપાથી તરબતર રહયા. પણ ઇશ્વરને પણ કદાચ લાગ્યું કે આપણી આ આદત બગડી તો નહી જાયને? પાણી વગર જીવવા ટેવાયેલું ગુજરાત, એકદમ આટલું બધું પાણી વાપરતું થઇ જશે તો શું થશે ? ખેર, ઇશ્વરે તો શું વિચાર કર્યો હશે એ, આપણને તો, ખબર નથી પણ આ વર્ષે, ઇશ્વરે આપણી કસોટી કરી. વરસાદ ઓછો આવ્યો, આપણાં જળાશયો સુકાયા, પણ આફતથી ગભરાઇ જવું આપણે પાલવે નહિ. આફત સામે ઝઝૂમવાનું પણ હોય અને આફતને અવસરમાં પલટવાનું પણ હોય. ગયા પ૦ વર્ષમાં પાણીનું આયોજન કોઇ સરકાર ન કરી શકી હોય એટલા મોટા પાયા પર આપણો પાણી પહોંચાડવાનું આયોજન કર્યું છે.

મનુષ્યના પ્રયત્નો ઇશ્વરની તોલે કયારેય ન આવે. ઇશ્વર જે આપી શકે એ મનુષ્ય કયાંથી આપી શકે? અને તેમ છતાંયે જરૂરિયાત પૂરતી વ્યવસ્થા તો ઉભી કરીએ. હું સતત દર બુધવારે ગુજરાતના પાણીના પ્રશ્ન બાબતમાં ઉચ્ચસ્તરે એનું બારીકાઇથી વિશ્લેષણ કરૂં છું, પરીક્ષણ પણ કરું છું. લગાતાર એની તરફ ધ્યાન કેન્દ્રીત કરું છું. એક તરફ જેમ પાણીની સમસ્યાના સમાધાન માટે કામ કરું છું. બીજી બાજુ આફતને અવસરમાં પલટવાની છે, આપણાં જળાશયો ૧૦ વર્ષ પછી પાણી વગરના થયા. આપણે નક્કી કર્યું એમાંથી કાંપ કાઢીએ. આપણાં જળાશયો ઉંડા કરીએ, ચેકડેમ ઉંડા કરીએ, તળાવો ઉંડા કરીએ. એક મોટું અભિયાન ઉપાડયું છે. કાંય ખેડૂતોને મફતમાં લઇ જવાની છૂટ આપી દીધી છે. જૂન મહિના સુધીમાં એટલા મોટા પાયા પર આ તળાવો, ચેકડેમો, જળાશયો ઉંડા કરવાનું અભિયાન ઉપાડયું છે કે આપણી પાણીની સંગ્રહ શકિત, વર્ષો પછી, એમાં આટલો મોટો વધારો થવાનો છે.

આ મહેનત એકવાર જ્યારે મેઘરાજાની કૃપા થશે ત્યારે ઉગી નીકળવાની છે, એનો મને વિશ્વાસ છે.ભાઇઓ - બહેનો, રાજકીય રોટલા શેકવા ટેવાયેલા લોકો, પાણીમાં પણ રાજકીય ઝેર ભેળવવાની કોશિશ કરતા હોય, એવા વખતે, ઇશ્વરે કેવી કૃપા કરી જયાં જયાં વધારે પાણીની તકલીફ હતી ત્યાં કુદરતે વચ્ચે ત્રણ ચાર દિવસ આવીને આપણી હિંમત બાંધી. અપપ્રચારની વચ્ચે પણ જુઠ્ઠાણાની ઉપર પાણી ફેરવવાનું કામ સ્વયં પરમાત્માએ કર્યું. એટલે જ હું કહું છું કે ઇશ્વર સદા-સર્વદા આપણી સાથે છે. આપણો ઇશ્વર પર ભરોસો છે. પુરૂષાર્થની પરાકાષ્ઠા પણ કરવી છે.

સામાન્યમાં સામાન્ય નાગરિકની આશા આકાંક્ષાઓની પૂર્તિ કરવી છે. ભાઇઓ-બહેનો, આજે તો સ્થિતિ એવી થઇ ગઇ છે કે ગુજરાતના વિકાસની વાત નીકળે તો, વિકાસ પ્રેમી હિન્દુસ્તાન આખાનો નાગરિક એનો ચહેરો મલકાય છે, એના હોઠપર સ્મિત જોવા મળે છે. એજ વિકાસનો શબ્દ, રાજકીય આટાપાટામાં ડૂબેલા લોકોના કાને પડે તો જાણે એમને એમ લાગે છે કે કોઇએ બહુજ મોટી ગાળ દીધી છે. એમના રાજકીય ગણિતોમાં વિકાસને સ્થાન જ નહોતું. એમના રાજકીય આટાપાટાઓમાં તો ટુકડા ફેંકો રાજ કરો, સમાજના ટુકડા કરો, રાજ કરો. રાજ મળે, ટુકડા ટુકડા લૂંટી લો- આજ એમની પ્રવૃત્તિ રહી હતી. એના માટે આ નવી રાજકીય સંસ્કૃતિ, આ નવી કાર્ય સંસ્કૃતિ, આ નવી સમાજ ભકિત, આ નવી ગુજરાત ભકિત, પચતી નહોતી. ભાઇઓ- બહેનો મારે દુઃખ સાથે કહેવું છે. કેટલાક મુઠ્ઠીભર લોકોએ હજુ પણ, ગુજરાતને રોળી નાખવાને માટે સોપારી લીધી છે. ગુજરાતને તબાહ કરી નાખવાના કોઇ ષડયંત્રો બંધ નથી કરતા. લોકશાહી માર્ગે જ કશું ન કરી શકનારા લોકોએ, ગેર બંધારણીય માર્ગોનો રસ્તો અપનાવ્યો છે.

મને ઇશ્વરમાં પણ શ્રધ્ધાછે. અને જનતા જનાર્દનરૂપી આપના ઉપર પણ અનેક પ્રકારની શ્રધ્ધા છે. આપને વિકાસના માર્ગેથી ડગવું નથી. આપણે વિકાસની યાત્રાને અટકવા દેવી નથી. ગુજરાતના પ્રત્યેક નાગરિકને વિકાસની યાત્રામાં ભાગીદાર બનાવવો છે. વિકાસના ફળ ગામડા સુધી પહોંચાડવા છે. આવનારા દિવસોમાં કૃષિ મહોત્સવ દ્વારા કૃષિક્ષેત્રે વધુ શકિત બનીને આપણે ઉભરવું છે. ટીંપે ટીંપા પાણીનો ઉપયોગ કરીને, ગરીબમાં ગરીબ માણસનું પેટ પણ ભરવું છે. એક એક ટીંપાનો, પ્રસાદ તરીકે ઉપયોગ કરીને, આપણા ગુજરાતની કૃષિક્ષેત્રે જે ક્રાંતિ છે એને આગળ ધપાવવી છે.મારા વ્હાલા- નાગરિક ભાઇઓ-બહેનો, કૃષિ મહોત્સવ આવી રહ્યો છે. એમાં એક મહત્વનું કામ છે પશુ આરોગ્ય મેળો. મારે ગુજરાતના કરોડો પશુઓની કાળજી લેવી છે. એમના આરોગ્યની ચિંતા કરવી છે. સામે ચાલીને ગુજરાતના પશુઓને જીવનદાન આપવું છે. એક પ્રકારે આ મોટો સેવાયજ્ઞ છે.

આ એક મોટો કરૂણાનો યજ્ઞ છે. આપના ઘરે પશુ હોય કે ન હોય, પરંતુ પશુઓના વિકાસ માટેની, પશુઓના આરોગ્ય માટેની આ જહેમતમાં, કરૂણા ખાતર, સેવા ભાવનાથી આપ પણ ભાગીદાર બનો. પશુ આરોગ્યને કારણે આજે ગુજરાતે દૂધના ઉત્પાદનમાં મોટી હરણફાળ ભરી છે. એના કારણે વરસાદની ઘટ વચ્ચે પણ ગુજરાતના ખેડૂતને આર્થિક રીતે ટકાવી રાખવાનું કામ કર્યું છે. ગુજરાતની આ વિશેષતાને આપણે વધુ જાજરમાન બનાવીએ. ભાઇઓ- બહેનો, જમીન જે છે તે જ છે. કુટુંબ વિસ્તરતું જતું હોય, જમીનના ટુકડા થતા જતા હોય, છોકરાઓમાં વહેંચતા વહેંચતા દીકરાના દીકરાના ભાગે માંડ વીધો બે વીઘા જમીન રહી હોય ત્યારે ખેતી કયાંથી પરવડે અને એટલે જ આપણે ખેતીમાં ટેકનોલોજી લાવવાનું અનિવાર્ય બન્યું છે. જમીન ઓછી હોય પણ ઉત્પાદન કેમ વધારે લેવાય? જમીન ભલે ઓછી હોય પણ, ખેડૂત આવક વધારે કેમ કરતો થાય? જમીન ઓછી હોય પણ ઓછી મહેનતે વધુ કમાણી એ કેમ કરતો થાય? એના ઉપર આપણે ધ્યાન કેન્દ્રીત કરવું છે. એટલા જ માટે, હિન્દુસ્તાનમાં પહેલીવાર, આપણે ર૦૧૪માં એક આંતરરાષ્ટ્રીય કક્ષાનો કૃષિમેળો કરવાના છીએ.

આધુનિકમાં આધુનિક વિજ્ઞાન, આધુનિક ટેકનોલોજી, આધુનિક કૃષિ અંગેની પરંપરા. આનાથી મારે ગુજરાતના ગરીબમાં ગરીબ ખેડૂતને પરિચિત કરાવવા છે. એનું શિક્ષણ કરવું છે. એની જવાબદારી આ સરકારે ઉપડી છે. આ કૃષિ મેળામાં પણ ટેકનોલોજીને પ્રાધાન્ય કેટલું મળે, ટેકનોલોજીનું મહાત્મય કેવી રીતે વધે એના ઉપર આપણે ભાર આપવો છે. ભાઇઓ- બહેનો, સમુદ્રકિનારે વસતો મારો સાગરખેડૂભાઇ હોય, ઉમરગામથી અંબાજી મારા ગુજરાતના ગૌરવગાનને ગાતો મારો આદિવાસી ભાઇ હોય. વધતા જતા શહેરોની અંદર રહેતો મારા ગરીબભાઇ બહેન હોય. એના આરોગ્યની માટે ચિંતા કરવી છે. ઘરની અંદર એકાદ જીવલેણ બિમારી આવે તો એક વ્યકિત નહીં આખું કુટુંબ માંદુ પડી જતું હોય છે.

એ પ્રકારે સમાજ આખોય નબળો પડી જતો હોય છે. તેથી જ મુખ્યમંત્રી અમૃતમ યોજના દ્વારા, મા- યોજના દ્વારા ગરીબમાં ગરીબ માનવીના ઘરમાં આવી આરોગ્યની આફત આવે તો આપની પડખે ઉભા રહેવાનું આયોજન કર્યું છે. દવાના અભાવે બિમાર માણસ મોતને ઘાટ ઉતરે એ સ્થિતી આપણને કેમ પરવડે? એમાંથી આપણે બહાર નીકળવું છે. નવોદિત મધ્યમ વર્ગ એનાં ઘણાં બધાં સપનાંછે. હામ છે. એને હિંમત છે. પુરૂષાર્થ કરવો છે. પણ સંજોગ નથી. અમે અમારી આખી ય કાર્ય યોજના બનાવી છે. એવા સંજોગો ઉભા કરી રહયા છીએ કે જે સંજોગોને કારણે અમારો જે નવોદિત મધ્યમવર્ગ, ગુજરાતની અંદર મોટા પાયે ઉભો થયો છે. આ નવોદિત મધ્યમ વર્ગ પાકે પાયે ઉભો થાય. શિક્ષણની બાબતમાં એને જે રીતે આગળ વધવું છે, એના માટે પૂરો અવસર મળે, રોજીરોટી કમાવવા માટે એને જે ડીગ્નીટી જોઇએ છે એ ડીગ્નીટી મળે.ભાઇઓ- બહેનો, ગયા થોડા સમયની ઘટના કહું છું. હિન્દુસ્તાનના કયા ખૂણામાં બની છે. તેના વિવાદમાં મારે પડવું નથી, પણ ભારતની નારી અસુરક્ષા અનુભવ કરે તો આપણને આપણી જાતને પુરૂષ કહેવાનો અધિકાર નથી. આ નાગરિકતા, આ સમાજ જીવનના પ૦ ટકા પુરૂષો છે.

એ સૌએ નારીગૌરવનો સંકલ્પ કરવો પડશે. આપણને જેટલું આપણી માતાનું ગૌરવ કરવાનું મન થાય છે એટલું જ, ભારતમાતાની પ્રત્યેક દીકરીનું ગૌરવ કરવાનું આપણને મન થવું જોઇએ. એનું સન્માન એનું ગૌરવ, એક પુરૂષ તરીકે આપણી એક સવિશેષ જવાબદારી છે. કઇ સરકારે શું કર્યું, કઇ સરકારે શું ન કર્યું એ વિવાદથી હું દૂર રહ્યો છું પણ, નારી ગૌરવની ચિંતા, નારીને સમાન અધિકાર, કોઇપણ જાતિમાં જન્મ થયો હોય. કોઇપણ પરંપરામાં ઉછેર થયો હોય.

કોઇપણ પૂજા પધ્ધતિનો સ્વીકાર કર્યો હોય, પણ નારી એ નારી છે. અબળા નહીં એ, સબળા છે. એનું ગૌરવ, એનું સન્માન, એક સમાજ તરીકે આપણા સૌની સહિયારી જવાબદારી છે. એમાં ઉની આંચ ન આવવી જોઇએ.ભાઇઓ- બહેનો, આપણે ગુજરાતને વિકાસની નવી ઉંચાઇઓ પર પહોંચાડવાનો પ્રયાસ આદર્યો છે. કુપોષણ સામેના જંગમાં, સમગ્ર દેશમાં ગુજરાતે ખાસી સફળતા મેળવી છે. તાજેતરનો સી.એ.જી.નો રીપોર્ટ કહે છે. ૩૩ ટકા સુધારો થયો હોય તો એકલા ગુજરાતમાં થયો છે. અન્ય જગ્યાએ કયાંક ૧ર ટકા કયાંક, ૧૯ ટકા, કયાંક ૧૭ ટકા એટલોજ સુધારો છે. આપણે તો હજુ વધારે આગળ વધવાનું છે. ભાઇઓ- બહેનો આ ગુજરાત આપણા બધાનું છે.

ગુજરાતની પ્રત્યેક ચીજ આપણી છે. એ તો સરકારનું છે. આપણુ નથી, એ ભ્રમ આપણને મંજુર નથી. જે છે તે, સઘળું છ કરોડ ગુજરાતીઓનું છે. એની રખેવાળી, એનુ સન્માન, એનો વિકાસ, એનો વિસ્તાર આ બધું જ છ કરોડ ગુજરાતીઓની માલિકીનું છે. આવો, આપણે બધા સાથે મળીને, આપણા ગુજરાતને આગળ વધારીએ. મહાત્મા ગાંધી, સરદાર પટેલ, સ્વામી દયાનંદ સરસ્વતી, ઉમાશંકર જોષી, વીર નર્મદ, અગણિત શ્રેષ્ઠીજનોના નામોની પરંપરા સાથે જોડાયેલા છીએ. એમની એમની તપશ્વર્યાની સુગંધ આજે પણ વ્યાપ્ત છે. એમના પરસેવાની મહેક છે. એમના ત્યાગ- તપસ્યા બલિદાનોની ગાથાઓ પડી છે. એમાંથી આપણે પ્રેરણા લઇએ પુરુષાર્થનો સંકલ્પ કરીએ સંકલ્પ કરીને, આપણે વધુને વધુ તેજ ગતિએ આગળ વધીએ.

ભારતના વિકાસને માટે ગુજરાતનો વિકાસ એ મંત્ર લઇને, આપણે પહેલાં દિવસથી કામ કરીએ છીએ વર્ષોથી આપણે કહીએ છીએ, સૌનો સાથ સૌનો વિકાસ. હવે સૌના ધ્યાનમાં આવવા માંડયું છે કે, સૌનો સાથ સૌનો વિકાસ એ અમારા મંત્રનો અર્થ શું થાય? આ મંત્રમાં તાકાત કેટલી છે? ગુજરાતે સૌનો સાથ સૌનો વિકાસએ મંત્રને ચરિતાર્થ કર્યો છે. જો, સૌનો સાથ ન હોત તો, ગુજરાતનો આજે આ વિકાસ પણ ન હોત. આ વિકાસ એટલા માટે શકય બન્યો છે કે છ કરોડ ગુજરાતીઓએ ખભેખભો મીલાવીને, કદમથી કદમ મીલાવીને સાથ આપ્યો છે. સહયોગ આપ્યો છે. જવાબદારીઓ ખભે ઉપાડી છે. તકલીફો વેઠીને પણ, આપણું ગુજરાત આગળ વધે એ કામ મારા ગુજરાતી વ્હાલા ભાઇ-બહેનોએ કર્યું છે.

મારા ગુજરાતમાં વસતો હિન્દુસ્તાનનો કોઇપણ નાગરિક એણે પણ ગુજરાતની ભકિત કરવામાં કોઇ કચાશ નથી રાખી. ભાષા ગમે તે હોય, પહેરવેશ ગમે તે હોય પણ, આ ભૂમિ માટે એના જન-જન માટે, સૌએ સહિયારો પ્રયાસ કર્યો છે. તેથી જ કહું છું કે સૌનો સાથ ન હોત તો, વિકાસની આ વાત કયાંથી હોય? આવો, ભાઇઓ-બહેનો, એક ભારત શ્રેષ્ઠ ભારત કોનું સપનું નથી? ઉત્તમોત્તમ ગુજરાત કોનું સપનું નથી? ખૂણે ખૂણે વિકાસનું સપનું નથી? એક એક નવ જવાનને રોજગાર કોનું સપનું નથી? આ બધી બાબતોને લઇને આગળ વધવું છે.

આપના આશીર્વાદ, આપનો આ પ્રેમ, અમારી સરકારને, સરકારમાં બેઠેલા મારા સૌ કર્મયોગી ભાઇઓ- બહેનોને ગુજરાતને માટે કંઇ ને કંઇ કરી શકવાનો પ્રેરણા મળી છે. આપનો આ પ્રેમ, નિરંતર મળતો રહે, આપના આશિર્વાદ સદાય સર્વદા બનતા રહે, આપણે સૌ સાથે મળીને ગુજરાતને નવી ઉંચાઇઓ પ્રાપ્ત કરાવીએ. ગુજરાતના સ્થાપના દિવસે, અનેક અનેક શુભકામનાઓ પાઠવું છું. વીર શહીદોને નમન કરું છું. ગુજરાત- મહાગુજરાત ચળવળના ઘડવૈયાઓને યાદ કરું છું. પુણ્ય સ્મરણ કરું છું અને આપ સૌના સપના માટે, પુરુષાર્થનો સંકલ્પ કરીને આપ સૌને ફરી શુભકામનાઓ પાઠવું છું.

જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત

ભારત માતાકી જય

English summary
Chief Minister Narendra Modi today extended his hearty greetings to all the six-crore citizens of the state and to the people of Gujarat settled all over the globe on the eve of the 53rd Gujarat Gaurav Divas.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X