મોદીએ ખેલ પાડ્યો, ગુજરાતમાં શિવસેના ચૂંટણી નહીં લડે

સૂત્રોના જણાવ્યા અનુસાર શિવ સેનાએ જાહેર કરી દીધું છે કે ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012માં તેઓ પોતાના ઉમેદવારો નહીં ઉતારે. આ નિર્ણય તાજેતરમાં નરેન્દ્ર મોદી અને શિવ સેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે વચ્ચે થયેલી મુલાકાતનું પરિણામ માનવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે પોતાના અતિવ્યસ્ત ચૂંટણી કાર્યક્રમ 3ડી ટેકનોલોજીની મદદથી જાહેરસભાને સંબોધવાના મહત્વકાંક્ષી અનિવાર્ય કાર્યક્રમને પગલે નરેન્દ્ર મોદી સ્વ. બાલા સાહેબ ઠાકરેના નિધન બાદ તેમની અંતિમયાત્રા અને અંતિમક્રિયામાં હાજર રહી શક્યા ન હતા. ત્યાર બાદ તેઓ 20 નવેમ્બર, 2012ના રોજ મુંબઇમાં આવેલા ઠાકરે પરિવારના નિવાસ સ્થાન માતોશ્રી ખાતે ગયા હતા અને સ્વર્ગસ્થ બાલ ઠાકરેને શ્રદ્ધાંજલિ આપી હતી.
આ પ્રસંગે ખરખરો કરવા માટે નરેન્દ્ર મોદીએ સ્વ. બાલ ઠાકરેના પુત્ર અને શિવ સેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે સાથે મુલાકાત યોજી હતી. આ મુલાકાત લગભગ અડદા કલાક સુધી ચાલી હતી. નરેન્દ્ર મોદી જેવા ગુજરાત પરત ફર્યા કે શિવ સેના દ્વારા ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી 2012 નહીં લડવાની જાહેરાત કરાવામાં આવી હતી.
આ સમગ્ર ગતિવિધિ અંગે રાજકીય વિશ્લેષકો માને છે કે મુલાકાતમાં નરેન્દ્ર મોદીએ ઉદ્ધવને મનાવીને ગુજરાતમાં ભાજપ સામેનું એક જોખમ દૂર કરી દીધું છે. કારણ કે અત્યાર સુધી શિવ સેના ગુજરાતમાં ચૂંટણી લડવા તત્પર હતી અને અચાનક પાછા ખસી જવું સમજી શકાય એમ નથી.
આ મુદ્દે ગુજરાત શિવ સેનાના એક અગ્રણી નેતાએ જણાવ્યું છે કે પક્ષે નિર્ણય લીધો છે કે સ્વ. બાલા સાહેબ ઠાકરેના નિધનને પગલે સમગ્ર ઠાકરે પરિવાર શોક મનાવી રહ્યો છે. આ કારણે શિવ સેના આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ લડશે નહીં. શિવ સેના ભાજપનું સમર્થન કરશે. આ પગલાંથી ગુજરાતમાં ભાજપની સ્થિતિ વધારે મજબૂત થશે એમ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
