સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમન
સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરવા મોદીનું અમદાવાદમાં આગમન
અમદાવાદઃ 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્ટેચ્યૂ ઑફ યુનિટીનું લોકાર્પણ કરી વિશ્વની સૌથી મોટી પ્રતિમા અર્પણ કરશે. આ પ્રતિમા નર્મદા જિલ્લાના કેવડિયા કોલોની સ્થિત આવેલ છે. જેનું ઉદ્ઘાટન કરવા માટે પીએમ મોદી આજે ગુજરાતના મહેમાન બન્યા છે. બુધવારે વહેલી સવારે તેઓ નર્મદા જિલ્લામાં જવા માટે રવાના થશે.

અમદાવાદ એરપોર્ટ પર આગમન
આજે સાંજે સાડા નવ વાગ્યે પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચી ગયા છે. ગુજરાત રાજ્ય ગૃહ મંત્રી પ્રદિપ સિંહ જાડેજા, રાજ્યપાલ ઓ.પી. કોહલી, સીએમ વિય રૂપાણી સહિતના નેતાઓ દ્વારા પીએમ મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. અમદાવાદ એરપોર્ટથી પીએમ મોદી સીધા ગાંધીનગર જવા માટે રવાના થયા. જ્યાં રાજભવન ખાતે રાત્રી રોકાણ કરીને કાલે સવારે હેલિકોપ્ટર મારફતે તેઓ નર્મદા જવા માટે રવાના થશે.

પીએમનો કાલનો પ્રોગ્રામ
પીએમ મોદી કેવડિયામાં 31મીએ સવારે 9 વાગ્યે પહોંચી જશે, જ્યાં રેલી ઑફ ફ્લાવર્સ કાર્યક્રમમાં તેઓ જોડાશે. અડધો કલાક સુધી રેલી ઑફ ફ્લાવર્સ કાર્યક્રમ ચાલશે. જે બાદ પીએમ મોદી ટેન્ટસિટી પહોંચશે અને 10 વાગ્યાના અરસામાં તેઓ કાર્યક્રમ સ્થળે પહોંચી જશે. જે બાદ બપોરે વડોદરા જવા રવાના થશે અને વડોદરાથ 1 વાગ્યે દિલ્હીની ફ્લાઈટ પકડીને રવાના થશે.

કાલે કેવડિયા કોલોની જશે
પીએમ મોદીની ગુજરાત મુલાકાતને પગલે ગાંધીનગરના રસ્તાઓને દિવાળીની જેમ શણગારવામાં આવ્યા છે. બીજી બાજુ કેવડિયામાં પણ પીએમ મોદીની આગતા સ્વાગતા માટે સંપૂર્ણ તૈયારીઓ કરી લેવામાં આવી છે. જણાવી દઈએ કે કહેવાતા સરકારના આ કાર્યક્રમમાં કોંગ્રેસના મોટાભાગના ધારાસભ્યોને આમંત્રણ જ નથી મળ્યું, શંકરસિંહ વાઘેલાએ પણ આ કાર્યક્રમને માત્ર અન-પ્રોડક્ટિવ માર્કેટિંગ જ ગણાવ્યું હતું.

સ્થાનિકો કરી રહ્યા છે વિરોધ
કેવડિયાની આજુબાજુનાં 70 જેટલા ગામના 70000થી પણ વધુ ગ્રામજનોએ 31મીએ પારણા કરીને મોદી સરકારના આ પ્રોજેક્ટનો વિરોધ કરવાનું નક્કી કરી લીધું છે. ઉલ્લેખનીય છે કે આજુબાજુના ગામના લોકોને નર્મદાનું પાણી ન મળતું હોય અને પ્રોજેક્ટને કારણે તેમને ત્યાંથી દૂર ખસેડવામાં આવ્યા હોવાથી સ્થાનિકએ મોદી સરકારથી નારાજગી જતાવી. કાલે છોટૂ વસાવાની આગેવાનીમાં પણ આંદોલન છેડવામાં આવનાર છે.












Click it and Unblock the Notifications
