'મોદી ગમે તે બોલે તમે તો સરક્રીક અંગે કંઇક બોલો'
ધાનેરા, 15 ડિસેમ્બરઃ ગુજરાત વિધાન સભાના બીજા તબક્કાની ચૂંટણીના પ્રચારના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ ધાનેરા ખાતે એક જાહેરસભા યોજી હતી, જ્યાં તેમણે સોનિયા ગાંધી પર પ્રહારો કર્યા હતા, તેમજ કેન્દ્ર સરકાર સરક્રીક મુદ્દે કોઇ જવાબ કેમ નથી આવતી તેવો પ્રશ્ન કર્યો છે.
સરક્રીકના મુદ્દાને લઇને જામેલા જંગમાં મોદીએ કહ્યું કે, કેન્દ્ર સરકાર અને કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે મોદી ખોટો મુદ્દો ઉપાડી રહ્યાં છે, મોદી ગમે તે બોલતા હોય પણ તમે તો સરક્રીકના મુદ્દા અંગે કોઇ જવાબ આપો, કોઇ ખુલાસો તો આપો. તે અંગેનું તથ્ય શું છે તે બોલો. પરંતુ નહીં તે અંગે કોઇ વાત કરી રહ્યાં નથી. આજે સરક્રીક એક ચિંતાનો વિષય છે, અને સરક્રીક ગુજરાતનો હિસ્સો માત્ર નથી મારા શરીરનું અંગ છે અને હું તેને કાપવા નહીં દઉ.
કેન્દ્ર સરકાર પર પ્રહાર કરતા મોદીએ કહ્યું કે, દિલ્હી સરકારની નજર હવે દૂધ મંડળી પર પડી છે, તેમને થયું કે આ તો મોટો ખજાનો છે, ચાલો તેને લૂંટી લઇએ એટલે તેમણે દૂધમાં 30 ટકાનો વેરો નાંખ્યો જેના કારણે ચોખ્ખો ત્રીજો ભાગ દિલ્હીની સરકારને મળી ગયો છે. સોનિયા ગાંધી ગુજરાતમાં આવીને ખેડુતો અંગે વાત કરી રહ્યાં છે કે પરંતુ તેમની કેન્દ્ર સરકાર ખેડુતોને છેતરી રહી છે. સોનિયા ગાંધી મગરના આસું ગુજરાતમાં સારી રહ્યાં છે. પરંતુ તેમને ચણાનું ઝાડ હોય કે છોડ તેની પણ ગતાગમ પડતી નથી.
તેમણે વિકાસ અંગે વાત કરતા કહ્યું કે, ગુજરાતમાં ગમે તે ખુણામાં જાઓ તમને વિકાસ જોવા મળશે, બધા કહે છે કે મોદી પૈસા ક્યાંથી લાવે છે પરંતુ આ પૈસા તો ગુજરાતના જ હતા અને છે પહેલા ગુજરાતની તિજોરીમાં કાણું હતું અને પૈસા કેન્દ્રની કોંગ્રેસ સરકારની તિજોરીમાં જતા હતાં પરંતુ હવે હું ચોકીદાર થઇને બેઠો છું અને ગુજરાતના પૈસા કોઇ બીજાની તિજોરીમાં નહીં જવા દઉં.
ધાનેરા ખાતે જાહેર મેદનીને સંબોધતી વખતે મોદીએ કહ્યું કે, પ્રથમ તબક્કાના મતદાનમાં ગુજરાતે ઇતિહાસ રચ્યો છે અને 17 તારીખે જંગી મતદાન કરીને તમે ગુજરાતની ચૂંટણીમાં એક નવો ઇતિહાસ લખશો. 17 તારીખે તમે ધાનેરા કે બનાસકાંઠા નહીં પરંતુ ગુજરાતનું ભાગ્ય નક્કી કરવાના છો.












Click it and Unblock the Notifications
