ખુશ ખબર, રાજ્યના મોટાભાગના જળાશયો ભરાયા, જાણો તમામ ડેમની સ્થિતી!
રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ ૨૦૭ જળાશયો ૭૬.૬૯ ટકા જેટલા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલુ પાણી ભરાયુ છે.
ગાંધીનગર : રાજ્યમાં થઈ રહેલા સાર્વત્રિક વરસાદને પરિણામે રાજ્યના કુલ ૨૦૭ જળાશયો ૭૬.૬૯ ટકા જેટલા ભરાયા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર યોજનામાં ૨,૮૬,૦૫૯ એમસીએફટી એટલે કે કુલ સંગ્રહ શક્તિના ૮૫.૬૩ ટકા જેટલુ પાણી ભરાયુ છે.
રાજ્યના મોટાભાગના જળાશયો ઓવરફ્લો
રાજ્યના જળસંપત્તિ વિભાગના ફ્લડ સેલ દ્વારા મળેલાં આંકડા અનુસાર, સરદાર સરોવર સિવાય રાજ્યના ૨૦૬ જળાશયોમાં ૩,૯૮,૨૪૭ એમસીએફટી એટલે કે કુલ જળસંગ્રહ શક્તિના ૭૧.૩૫ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
49 જળાશયોમાં 100 ટકા પાણી
આ ઉપરાંત રાજ્યમાં ૪૯ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. જયારે સરદાર સરોવર સહીત ૬૩ જળાશયોમાં ૭૦થી ૧૦૦ ટકા, ૨૭ જળાશયોમાં ૫૦થી ૭૦ ટકા, ૩૬ જળાશયોમાં ૨૫થી ૫૦ ટકા અને ૩૧ જળાશયોમાં ૨૫ ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે. જેમાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયો, મધ્ય ગુજરાતના ૧૭, દક્ષિણ ગુજરાતના ૧૩, કચ્છના ૨૦ અને સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોનો સમાવેશ થાય છે.
એલર્ટ જાહેર કરાયા
અહીં તમને જણાવી દઈએ કે, રાજ્યમાં ૪૮ જળાશયો ૧૦૦ ટકાથી વધુ જ્યારે ૩૦ જળાશયો ૯૦ ટકાથી ૧૦૦ ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. ૧૬ જળાશયો ૮૦ ટકાથી ૯૦ ટકા ભરાતા એલર્ટ પર તથા ૧૭ જળાશયો ૭૦ ટકાથી ૮૦ ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.