ગુજરાત વિધાનસભા અને મુસ્લિમ ધારાસભ્યો
અમદાવાદ : ગુજરાતમાં આ વખતની ચુંટણીઓમાં લઘુમતી વર્ગ કેન્દ્રસ્થાને છે. જોકે દરેક ચુંટણીમાં આ વર્ગ કેન્દ્રસ્થાને જ હોય છે, પરંતુ આ વખતની વિશેષતા એ છે કે લઘુમતીઓ જેમનો સતત વિરોધ કરતાં રહ્યાં છે તેવા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદ્ભાવના અભિયાન ચલાવી લઘુમતીઓને ભાજપ તરફ આકર્ષવાનો પ્રયાસ કર્યો છે. આ વખતની ચુંટણી એ વાત સાબિત કરશે કે લઘુમતીઓ ભાજપ તરફ વળ્યા છે કે નહિં. તેમાંય પહેલ તો ભાજપે જ કરવી પડશે. જોવાનું એ પણ રહેશે કે ભાજપ કે જેણે અત્યાર સુધી ક્યારેય કોઈ જ ચુંટણીમાં લઘુમતીને ઉમેદવાર તરીકે ઊભા નથી રાખ્યાં, આ વખતે કેટલા લઘુમતી ઉમેદવારોને મેદાને ઉતારે છે.
ગુજરાત વિધાનસભાનો ઇતિહાસ જોઇએ, તો લઘુમતીઓની સ્થિતિ સતત બગડતી જ રહી છે. હાલની વિધાનસભામાં લઘુમતી એટલે કે મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા માત્ર ચાર છે. રાજ્યની છ કરોડની વસતીમાં લગભગ 75 લાખની વસતી મુસ્લિમોની છે, પરંતુ તેમનું પ્રતિનિધિત્વ ખૂબ પાંખુ રહ્યું છે. ગુજરાત વિધાનસભામાં સૌથી વધુ 11 મુસ્લિમ ધારાસભ્યો 1980ની ચુંટણીમાં ચુંટાયા હતાં અને સૌથી મુસ્લિમ ધારાસભ્યો એટલે કે એક ધારાસભ્ય 1990 અને 1995માં ચુંટાયા હતાં. રાજ્યમાં એકમાત્ર જમાલપુર સીટ એવી હતી કે જે સતત મુસ્લિમ ધારાસભ્યને ચુંટતી આવી છે.
પૃથક ગુજરાતમાં 1962માં પ્રથમ વિધાનસભા ચુંટણી યોજાઈ હતી અને ત્યારથી અત્યાર સુધી કુલ 52 મુસ્લિમ ધારાસભ્યો ચુંટાયા છે. ગત ચુંટણીમાં એટલે કે 2007માં કુલ ચાર મુસ્લિમ ધારાસભ્યો ચુંટાયા હતાં. તે તમામ કોંગ્રેસના હતાં. તેમાં પીરઝાદા મહેમૂદ જાવેદ વાંકાનેર, ફારુક શેખ કાલૂપુર, ગ્યાસુદ્દીન શેખ શાહપુર અને ઇકબાલ પટેલ વાગરાથી ચુંટાયા હતાં. 1985માં સાત મુસ્લિમ ધારાસભ્યો ચુંટાયા હતાં. 1990થી ભાજપ અને રામ મંદિર આંદોલન ચાલુ થયાં, તો મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા વધુ સંકોચાઈ ગઈ. 1990 અને પછી 1995માં એક-એક મુસ્લિમ ધારાસભ્ય ચુંટાયાં, તો 1998માં સંખ્યા વધીને ત્રણ થઈ. 2002માં મુસ્લિમ ધારાસભ્યોની સંખ્યા વધીને પાંચ થઈ ગઈ, પરંતુ 2007માં ફરી એક વાર સંખ્યા ઘટીને ચાર થઈ ગઈ.
ગુજરાતમાં આગામી 13 અને 17મી ડિસેમ્બરે યોજાનારી ગુજરાત વિધાનસભાની 12મી ચૂંટણી નવા સીમાંકન પ્રમાણે લડાવાની છે. જેમાં તમામ 182 બેઠકોના વિસ્તારોમાં નાના-મોટા સંખ્યાબંધ ફેરફારો થયા છે પરિણામ સ્વરૂપ અત્યાર સુધી જે તે બેઠક ઉપર કોઈ એક જાતિ-જ્ઞાતિના મતદારો કે ઉમેદવારના પ્રભુત્વને કારણે થતી હારજીતના રાજકીય સમીકરણ ઉપર હવે પૂર્ણવિરામ મૂકાઈ ગયું છે. આવી પરિસ્થિતિમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ સદ્દભાવના મિશન દ્વારા મુસ્લિમોમાં આકર્ષણ જગાવવા નવા રાજકીય પરિમાણનો ઉમેરો કરવાની કોશિશ કરી છે. સંઘે પણ મુસ્લિમોને સંઘમાં સામેલ થવાની હાકલ કરી છે ત્યારે આ વખતે ભાજપ દ્વારા કેટલા મુસ્લિમ ઉમેદવારોને તક અપાય છે તે જાણવું રસપ્રદ થશે.
1લી,મે 1960માં અલગ થયેલા ગુજરાતને 52 વર્ષ થયા છે અને આ દરમિયાનમાં સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં અત્યારસુધી કુલ પ૨ મુસ્લિમ ઉમેદવારો વિજેતા થયા છે. જેમાં સૌથી વધુ 11 મુસ્લિમ ધારાસભ્યો 1980માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં જીત્યા હતા. જ્યારે સૌથી ઓછા 1990-1995માં માત્ર એક જ મુસ્લિમ ધારાસભ્ય જીત્યા હતા. અત્યંત રસપ્રદ બાબત તો એ છે કે, કેશુભાઈ પટેલના પૂર્વ અને ભાવિ મત-વિસ્તાર વિસાવદરમાંથી 1962ની પ્રથમ વિધાનસભાની ચૂંટણીમાં પ્રથમ મુસ્લિમ મહિલા ધારાસભ્ય ચૂંટાયાં હતાં.
નોંધનીય છે કે, અમદાવાદની જમાલપુર બેઠક એવી છે કે જ્યાંના મતદારો 1960માં મહારાષ્ટ્રથી ગુજરાત અલગ થયું ત્યારથી અત્યાર સુધી સતત મુસ્લિમ ઉમેદવારને જ જીતાડતા આવ્યા છે પરંતુ આ વખતે નવા સીમાંકનમાં ખાડિયા અને શાહપુરની બેઠક રદ કરીને તેનો મોટાભાગનો વિસ્તાર જમાલપુરમાં સામેલ કરાયો હોવાથી આ બેઠક મુસ્લિમ ઉમેદવાર માટે વધુ મજબૂત થઈ છે.