અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટને મોદી સરકારનું ગ્રીન સિગ્નલ
નવી દિલ્હી, 18 ઓક્ટોબર : વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાનીવાળી કેન્દ્ર સરકારે અમદાવાદ મેટ્રો રેલવે પ્રોજેક્ટના 35.96 કિલોમીટરની પહેલા તબક્કાને આજે મંજૂરી આપી દીધી છે.
આ તબક્કામાં 15.42 કિલોમીટરનો નોર્થ-સાઉથ કોરિડોર હશે જે એપીએમસીને મોટેરા સ્ટેડિયમ સાથે કનેક્ટ કરાશે. જ્યારે ઈસ્ટ-વેસ્ટ કોરિડોર20.54 કિલોમીટરનો હશે. જે થલતેજ ગામને વસ્ત્રાલ ગામ સાથે જોડશે.
આ યોજના માટે 10,777 કરોડનો ખર્ચ થશે એવી ધારણા મૂકવામાં આવી છે. તેમાંથી 1,990 કરોડનો ખર્ચ કેન્દ્ર સરકાર વહન કરશે.
આ નિર્ણય વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં લેવામાં આવ્યો હતો. આ અંગે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં જણાવ્યા અનુસાર આ યોજનાને પગલે અમદાવાદના ગીચ વિસ્તારોમાંથી પસાર થતા મુસાફરોને મદદ મળશે અને તેઓ ઝડપથી ગંતવ્યસ્થાન સુધી પહોંચી શકશે.
અમદાવાદ મેટ્રો રેલ પ્રોજેક્ટ મુસાફરોને ઝડપી ટ્રાન્સપોર્ટેશન સેવા આપવા ઉપરાંત સુરક્ષિત, સુવિધાજનક, પ્રદૂષણ મુક્ત, વાજબી પરિવહન પુરું પાડશે.