ગોધરાકાંડના પાપ પર ઉભી છે મોદી સરકાર: વાઘેલા
કોંગ્રેસી નેતાઓએ ફરી એકવાર મોદી પર ગોધરાકાંડને લઇને આક્ષેપબાજી ચાલુ કરી દીધી છે. ગુરૂવારે સુરત ખાતે યોજાયેલા પક્ષના શક્તિ વંદના કાર્યક્રમમાં વાઘેલાએ મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આવતા જ નેતાઓ આરોપ-પ્રત્યારોપ ચાલુ કરી દીધા છે.
જેના પગલે શંકરસિંહ વાઘેલાએ મોદી પર પ્રહાર કરતા જણાવ્યુ હતું કે 'મોદી સરકાર માસૂમોના હાડપિંજર પર ઉભી છે. પાપ પર ઉભેલી આ સરકારને ઉખાડી ફેંકવા ગુજરાતની સરકારને આહ્વાન કરું છું.'
આ કાર્યક્રમમાં કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે 'ગાંધીનગરના દરવાજા સામાન્ય લોકો માટે બંધ થઇ ગયા છે. ગાંધીનગરના દરવાજા સામાન્ય લોકો માટે ખૂલે તેના માટે કોંગ્રેસને સત્તા પર લાવવી જરૂરી છે.'
જ્યારે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને પૂછ્યું હતું કે તમારે માત્ર ભાષણો જોઇએ છીએ કે યોજનાઓ? તેમણે મોદી સરકાર પર કરોડોના ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવ્યા હતા.