નરેન્દ્ર મોદી સોમવારે શ્રીપંચમએ નવી ઓફિસના શ્રીગણેશ કરશે
ગાંધીનગરના સચિવાલય પરિસરમાં 150 કરોડના ખર્ચે નવા બંધાયેલા બ્લોક સ્વર્ણિમ સંકુલ - 1, સંપૂર્ણ બૂલેટપ્રુફ ઇમારત હોવાના અને ભવ્ય ઠાઠમાઠ અને ભપકા સાથે મુખ્યમંત્રીની નવી સુખ સુવિધાવાળી કચેરી બનાવવામાં આવી હોવાના, જે અખબારી અહેવાલો પ્રસિધ્ધ થયા છે તે સત્ય તદ્દન વેગળા, આધાર વગરના અને હિત ધરાવતા તત્વો દ્વારા જનતાને ગેરમાર્ગે દોરનારા છે.
હાલ આ સચિવાલય પરિસરમાં વિધાનસભા અને તેની બન્ને બાજુએ વિવિધ સરકારી વિભાગોના વહીવટી બ્લોક અને મંત્રીઓની કચેરીઓ બેસે છે. બહારથી મુલાકાતે આવતા નાગરિકોને લોકોપયોગી સુવિધા એકજ સ્થળેથી મળી રહે તે ધ્યાનમાં રાખીને, સમયાનુકુળ વ્યવસ્થામાં સુધારા રૂપે, આ પરિસરમાં વધુ બે નવા બ્લોકનું બાંધકામ હાથ ધરવામાં આવ્યું હતું તે પૈકી સ્વર્ણિમ સંકુલ - 1 તૈયાર થઇ ગયો છે.
સ્વર્ણિમ સંકુલ - 1માં બેઝમેન્ટસ, ભોંયતળીયું અને ચારમાળ બાંધવામાં આવ્યા છે. આ સંકુલમાં મુખ્યામંત્રીનું કાર્યાલય તેમજ મંત્રીઓની કચેરીઓ, મંત્રીમંડળની કેબિનેટ બેઠકનો ખંડ, સચિવોને માટે બેઠક ખંડ અને સભાખંડ, વહીવટી વ્યવસ્થાપન કચેરીઓ, મુલાકાતે આવતા નાગરિકો માટેની બેઠક વ્યવસ્થા તથા મુખ્યામંત્રી અને મંત્રીમંડળના કર્મચારી - અધિકારીઓની કાર્યવ્યસ્થા, ડેટા સેન્ટર વગેરે છે.
આ સ્વાર્ણિમ સંકુલમાં, રાજય મંત્રીમંડળના કાર્યાલયો શરૂ થયેથી નાના મોટા મળીને 1000થી વધારે સંલગ્ન સરકારી કર્મયોગીઓ તેમાં બેસીને સરકારનું કામ કરવાના છે. પરંતુ આ સ્વર્ણિમ સંકુલ - 1 કોઇપણ સ્વરૂપે બૂલેટપ્રુફ ઇમારત છે જ નહીં અને ઇમારતોમાં બૂલેટપ્રુફ બાંધકામનો તો કોઇ પ્રશ્ન જ ઉપસ્થિત થતો નથી.
આખા બિલ્ડીંગમાં લીફટ, ગ્લાસની બારીઓ કે મકાનમાં એમ કયાંય પણ બૂલેટ પ્રુફ વ્યવસ્થા ગોઠવેલી નથી. પરિસરમાં બીજુ સ્વર્ણિમ સંકુલ - 2ના બ્લોકનું બાંધકામ પણ પ્રગતિમાં છે, જેમાં મંત્રી મંડળના અન્ય સભ્યોની કચેરીઓ અને સંલગ્ન કાર્યવ્યવસ્થાઓ ઉભી કરાશે.
સંકુલમાં ઉર્જા બચત થાય તે રીતે મહત્તમ કુદરતી પ્રકાશ અને હવાની અવરજવર મળી રહે તે પ્રકારનું આયોજન કરવામાં આવેલું છે. અને સલામતી માટેની ન્યુનતમ જરૂરીયાત મુજબની વ્યવસ્થાઓ ગોઠવવામાં આવેલી છે.
આમ, સ્વર્ણિમ સંકુલના બન્ને ભવનો બાંધકામ ડિઝાઇન અને પર્યાવરણ જાળવણીની દૃષ્ટિ્એ ગુણવત્તાના ઉત્તમ ધોરણો જાળવીને બનાવવામાં આવ્યા છે. પરંતુ તેમાં ભવ્ય ઠાઠમાઠ કે બૂલેટપ્રુફ બાંધકામવાળી ઇમારતોનું નિર્માણ થયું છે તેવો અપપ્રચાર એ હિત ધરાવતા તત્વોનું સરાસર જૂઠાણું જ છે.