નરેન્દ્ર મોદી ગુજરાતની પેટા ચૂંટણીઓમાં પ્રચાર નહીં કરે

ઉલ્લેખનીય છે કે બીજી જૂને લોકસભાની પોરબંદર, બનાસકાંઠા તેમજ વિધાનસભાની ધોરાજી, લીંબડી, જેતપુર, મોરવાહફ બેઠકો પર ચૂંટણી યોજાવાની છે. જાહેર પ્રચારના છેલ્લા પાંચ દિવસ બાકી હોવાથી ઉમેદવારો અને રાજકીય પક્ષોએ પ્રચારમાં હીટ વેવ લાવવા પ્રયાસ કર્યો છે. મુખ્ય સ્પર્ધા ભાજપ કોંગ્રેસ વચ્ચે છે. પ્રદેશકક્ષાને નેતાઓ ચૂંટણી પ્રચારમાં ઉતરી એક બીજા પર આક્ષેપોને અગ્નિગોળા વરસાવી રહ્યા છે. જો કે મતદારોએ હજુ ઉત્સાહ બતાવ્યો નથી. કાળઝાળ ગરમી અને લગ્નગાળા વચ્ચે ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે.
સૌરાષ્ટ્રમાં લીંબડી ધારાસભા તથા રાજકોટ જિલ્લાની જેતપુર અને ધોરાજી ધારાસભાની તથા પોરબંદર લોકસભાની ચૂંટણી માટે 2 જૂને મતદાન થનાર છે. 30મીએ સાંજે જાહેર પ્રચાર બંધ થશે. છેલ્લા 5 દિવસ વધુમાં વધુ લોકો સુધી પહોંચવા રાજકીય પક્ષો પ્રચાર કરી રહ્યા છે.
ભાજપના ઉમેદવારો અને નેતાઓએ મોદી સરકારની સિદ્ધિઓ તેમજ કેન્દ્ર સરકારની નિષ્ફળતાને પ્રચારનો મુદ્દો બનાવ્યો છે. કોંગ્રેસે રાજ્યની ભાજપ સરકારની અણઆવડત અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દા ઉપાડયા છે. કોંગ્રેસ ધોરાજી, ઉપલેટા, જેતપુર, પોરબંદર પંથકમાં વિઠ્ઠલભાઈ રાદડિયાના પક્ષપલ્ટા વિરોધી માહોલ સર્જવા પ્રયાસ કરી રહી છે. બુધવારે સાંજે 6 વાગ્યે ધોરાજીમાં ત્રણેય મતક્ષેત્રોને આવરી લેતી જંગી જાહેરસભાનું ભાજપે આયોજન કર્યુ છે. જેમાં પૂર્વ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પરસોતમ રૂપાલા અને આર.સી. ફળદુ હાજર રહી સંયુક્ત રીતે સભા સંબોધશે.
કોંગ્રેસમાથી પણ પ્રદેશ નેતાઓના પ્રચાર અભિયાન ચાલુ છે. આવતીકાલે પૂર્વ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સિદ્ધાર્થ પટેલ વંથલી, ગોંડલ, બાંટવા પંથકમાં નાની મોટી સભાઓ અને કાર્યકર મીટીંગો સંબોધશે. 29મીએ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા ઈરશાદ મિરઝા જેતપુર, ધોરાજી, ઉપલેટા પંથકના ચૂંટણી પ્રવાસે આવી રહ્યા છે. તેઓ 30મીએ વંથલી, માંગરોળ અને માણાવદર પંથકમાં સભા ગજાવશે.
હાલ જ્યાં પેટાચૂંટણી છે તે તમામ 6 બેઠકોમાં છેલ્લે કોંગ્રેસના ઉમેદવાર ચૂંટાયેલ. કોંગ્રેસ તે બેઠક જાળવી રાખવા અને ભાજપ તેમા ભાગ પડાવવા સતત પ્રયત્નશીલ છે. 2 જૂને મતદાન થયા બાદ 5 જૂને મત ગણતરી થશે તે દિવસે બપોર સુધીમાં પરિણામ જાહેર થઈ જશે.












Click it and Unblock the Notifications
