જાપાનના PM શિંજો સાથે મોદીની મિત્રતા શા માટે અતિ ગાઢ?
અમદાવાદ, 1 સપ્ટેમ્બર : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ઓગસ્ટ, 2014થી પાંચ દિવસની જાપાન મુલાકાતે ગયા છે. બંને દેશોના સંબંધોને વધારે મજબૂત કરતી આ યાત્રા નરેન્દ્ર મોદીની ત્રીજી જાપાન યાત્રા છે. આ યાત્રા પહેલા બે વાર તેમણે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે જાપાનની બે વાર યાત્રા કરી હતી.

મુખ્યમંત્રી તરીકે બે વાર જાપાનની યાત્રા
તેમણે વર્ષ 2007માં અને ત્યાર બાદ વર્ષ 2012માં જાપાનની મુલાકાત લીધી હતી. આ માટે એમ કહીએ તો ચાલે કે નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન તરીકે ભારત અને જાપાન વચ્ચેના સંબંધોને સુદ્રઢ બનાવવાનો પાયો ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારથી નાખ્યો હતો. ભારતના વડાપ્રધાન તરીકે તેમની આ જાપાન યાત્રા ભલે પ્રથમ હોય પરંતુ નરેન્દ્ર મોદીનો જાપાન સાથેનો સંબંધ જુનો છે.

વાઇબ્રન્ટ ગુજરાતમાં મદદ
નરેન્દ્ર મોદીએ જાપાન સાથે કેવા સંબંધો રાખ્યા છે તેનો પુરાવો ગુજરાતમાં દર બે વર્ષે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત સમિટ છે. જેમાં જાપાન પ્રથમ સહભાગી દેશ બન્યો હતો. જાપાન અત્યાર સુધીમાં ત્રણ વાર પાર્ટનર કન્ટ્રી બન્યું છે. આ કારણે જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે નરેન્દ્ર મોદીને ગાઢ મિત્રતા છે.

નરેન્દ્ર મોદીએ આવી રીતે જાળવી છે મિત્રતા
નરેન્દ્ર મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે ત્યારથી દોસ્તી ધરાવે છે જ્યારથી તેઓ ગુજરાતના મુખ્યમંત્રી હતા. શિંજો સાથે નરેન્દ્ર મોદીની પહેલી મુલાકાત વર્ષ 2007માં થઇ હતી. તે સમયે શિંજો જાપાનના વડાપ્રધાન હતા. ત્યાર બાદ નરેન્દ્ર મોદીએ જાપાનની બીજીવાર યાત્રા વર્ષ 2012માં કરી. ત્યારે શિંજો સત્તા બહાર હોવા છતાં નરેન્દ્ર મોદી તેમને મળવા ગયા હતા. મોદી પાછા ફર્યા ત્યાર બાદ શિંજો ફરી જાપાનના વડાપ્રધાન બન્યા ત્યારે મોદીએ અભિનંદન પાઠવ્યા હતા.

શિંજોને પણ મોદી પસંદ
આ વર્ષે 26 જાન્યુઆરી, 2014ના રોજ ગણતંત્ર દિવસ પર જાપાનના વડાપ્રધાન શિંજો ભારતમાં વિશેષ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. પ્રોટોકોલને કારણે તેઓ ગુજરાત આવી શકે તેમ ન હતા. આ કારણે નરેન્દ્ર મોદી તેમને મળવા દિલ્હી દોડી ગયા હતા. શિંજો પણ નરેન્દ્ર મોદીની મિત્રતા કેટલી પસંદ કરે છે તેનો અંદાજ એ બાબત પર આવી શકે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર શિંજો ત્રણ જ વ્યક્તિને ફોલો કરે છે. તેમાંથી એક નરેન્દ્ર મોદી છે.












Click it and Unblock the Notifications
