નરેન્દ્ર મોદીનો નવો સંકલ્પ ભવ્ય અને દિવ્ય ગુજરાતનું નિર્માણ
ગાંધીનગર, 7 ડિસેમ્બર : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરુવારે પોતાના બ્લોગમાં પોતાના નવા સ્વપ્ન વિશે લખ્યું છે. તેમણે જણાવ્યું છે કે તેઓ 'ભવ્ય અને દિવ્ય ગુજરાત'ના નિર્માણનું સપનું જોઇ રહ્યા છે અને તેને પુરું કરવાનો સંકલ્પ લીધો છે. તાજેતરમાં ગુજરાત વિધાનસભા ચૂંટણી 2012ને ધ્યાનમાં રાખીને નરેન્દ્ર મોદીએ ભાજપનો ઢંઢેરો 'સંકલ્પ પત્ર' તરીકે રજૂ કર્યો હતો.
નરેન્દ્ર મોદીએ પોતાના બ્લોગમાં મિત્રો, ચાહકો અને સમર્થકોને સંબોધીને લખ્યું છે કે "તાજેતરમાં ભાજપ દ્વારા જે સંકલ્પ પત્ર રજૂ કરવામાં આવ્યો છે તેમાં અમારી સરકાર આગામી પાંચ વર્ષમાં શું કરવા માંગે છે તેનો ચિતાર આપ્યો છે. બીજી તરફ સરકાર ઉપર પણ સરકાર છે એવી કોંગ્રેસમાં વાસ્તવમાં કંઇક કામ કરી બતાવવાની ક્ષમતા નહીં હોવાથી તે માત્ર વચનોની લ્હાણી કરી રહી છે. પણ લોકોને સમાનતા અપાવવાની વાત કહીને મૂર્ખ બનાવવા સહેલા નથી. કોંગ્રેસના આવા પ્રયાસોથી મને દુ:ખ પહોંચે છે."
નરેન્દ્ર મોદીએ આગળ લખ્યું છે કે "પરિસ્થિતિ બદલવાની જરૂર છે. શા માટે સમાજનો દરેક વર્ગ, દરેક ગુજરાતી, ભલે તે ભાજપને મત આપે કે ના આપે તેને વિકાસ અને પ્રગતિની સમાન તકો મળવી જ જોઇએ. ગુજરાતના વિકાસ માટેની અમારી દ્રષ્ટિમાં સર્વાંગી વિકાસ થકી ભવ્ય અને દિવ્ય ગુજરાતનું નિર્માણ કરવાની છે."
તેમણે લખ્યું છે કે કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારમાં કરોડો રૂપિયાના કૌભાંડો થયા છે. તેના કારણે આપણો વિકાસ અવરોધાયો છે. કોંગ્રેસમાં પોલિસી પેરાલિસિસ થયો છે. કોંગ્રેસમાં નેતા, નિતી, નિયતના અભાવને કારણે ભારતમાં ઉદ્યોગસાહસિકતાનું વાતાવરણ પડી ભાગ્યુ છે. કોંગ્રેસે ભયનું એવું વાતાવરણ ઉભું કર્યું છે કે કોઇ પણ વ્યક્તિ નવો બિઝનેસ, ઇન્ડસ્ટ્રી અને રોકાણ કરતા સમયે તેમાં સફળતા મળશે કે નહીં તે અંગે શંકા સેવે છે.