Narmada flood : નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી, 3 જિલ્લાને એલર્ટ કરાયા
Narmada flood : ગુજરાતની જીવાદોરી ગણાતી નર્મદા નદી ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કરી રહી છે. ઉપરવાસમાં ભારે વરસાદ અને ડેમમાંથી પાણી છોડાતાં નર્મદા નદી ઉફાન પર છે.
નર્મદાની જળસપાટી ભયજનક સપાટી વટાવી ચૂકી છે, જેના કારણે નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કાંઠા વિસ્તારોને એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.

સરદાર સરોવર ડેમમાં પાણીની આવક સતત વધી રહી છે. ઈન્દિરા સાગર ડેમમાંથી 2.21 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા સરદાર સરોવર ડેમમાં હાલ 4.59 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. ડેમમાંથી અત્યાર સુધીમાં 7 લાખ ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવ્યું છે.
આજે રાત્રે 8 વાગ્યાથી ડેમના ગેટ્સ ખોલીને 4,00,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 ક્યુસેક મળીને કુલ 4,45,000 ક્યુસેક પાણી નદીમાં છોડવામાં આવશે. આ કારણે નર્મદા નદીની જળસપાટી વધુ વધી શકે છે.
વડોદરાના ચાંદોદ ખાતે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી છે. નદીના કિનારે આવેલા 27 જેટલા ગામોને સાવચેત રહેવા માટે એલર્ટ કરવામાં આવ્યા છે.
નર્મદા, વડોદરા અને ભરૂચ જિલ્લાના કલેક્ટરોને પણ આ અંગે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા જાણ કરવામાં આવી છે. હાલ ડેમની સપાટી 135.64 મીટર છે અને ડેમ 89.95% ભરાઈ ચૂક્યો છે.
સ્થાનિક પ્રશાસન દ્વારા પરિસ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને લોકોને સુરક્ષિત સ્થળોએ ખસી જવા અપીલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
