નર્મદા મુખ્ય કેનાલથી પાઈપલાઈનો દ્વારા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્રમાં પૂરક સિંચાઈ માટે પાણી અપાશે
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ખેડૂતોના હિતમાં એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં લેવાયેલા મહત્વના નિર્ણયો અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે, પૂરક સિંચાઈ માટે નર્મદા મુખ્ય નહેર આધારીત ઉદ્વવહન પાઈપલાઈનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૧૦૨૯ MCFT તેમજ સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૩૦૨ MCFT મળી કુલ ૨૩૩૧ MCFT નર્મદાનું પાણી આગામી ૩૦મી જૂન ૨૦૨૪ સુધીના સમયગાળા માટે ફાળવવામાં આવશે.
નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંચાઈ અને પીવાના હેતુસર વર્ષમાં વિવિધ તબક્કે નર્મદાના પાણીની ફાળવણી કરવામાં આવે છે.
અગાઉ નર્મદા મુખ્ય નહેર આધારિત ઉદ્વવહન પાઇપલાઇનો મારફત ઉત્તર ગુજરાત વિસ્તાર માટે ૫૯૧ MCFT તથા સૌરાષ્ટ્ર વિસ્તાર માટે ૧૬૦૦ MCFT મળી કુલ ૨૧૯૧ MCFT પાણીની પીવાના હેતુસર ફાળવણી કરવામાં આવી છે.
આ ઉપરાંત આગામી ચોમાસા પહેલા ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના ખેડૂતો દ્વારા બહોળા પ્રમાણમાં ખરીફ પાકનું વાવેતર થાય તે આયોજનના ભાગરૂપે પૂરક સિંચાઈ અર્થે તળાવો તથા ચેકડેમો ભરવા નર્મદાના પાણીની ફાળવણી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
નર્મદાના પાણીની ફાળવણીથી ઉત્તર ગુજરાત તથા સૌરાષ્ટ્ર વિસ્તારના અંદાજીત ૬૦,૦૦૦ એકર ખેતીલાયક વિસ્તારને સિંચાઈનો લાભ મળશે.












Click it and Unblock the Notifications
