National Mango Day : ગુજરાતમાંથી 2023-24માં 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ થઈ, આ જિલ્લો સૌથી આગળ
National Mango Day : ગુજરાતમાં સતત બાગાયત ખેતીને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. આ ક્રમમાં ગુજરાતમાં કેરીની ખેતીને સતત પ્રોત્સાહન મળી રહ્યું છે. આ જ કારણ છે કે કેરીની નિકાસ પણ સતત વધી રહી છે.
ગુજરાત બાગાયતી પાકોના ઉત્પાદનમાં અગ્રેસર છે. આમાં કેરીના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરાનું રાજ્ય છે. ગુજરાતના કૃષિ અર્થતંત્રમાં કેરી ઉત્પાદનનો મહત્વપૂર્ણ ફાળો છે.

ગુજરાતની કેરીની વિદેશોમાં પણ ખૂબ માંગ છે. ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશનના ડેટા અનુસાર, વર્ષ 2023-24માં ગુજરાતમાંથી 689.5 મેટ્રિક ટન કેરીની નિકાસ કરવામાં આવી છે. વર્ષ 2019-20 થી વર્ષ 2023-24 સુધીના પાંચ વર્ષોમાં ગુજરાતે કુલ 2500 મેટ્રિક ટનથી વધુ કેરીની નિકાસ કરી છે.
ગુજરાતમાં બાગાયતી ફળ અને ફૂલોના પાકોનો કુલ વાવેતર વિસ્તાર 4,49,389 હેક્ટર છે, જે પૈકી 1,77,514 હેક્ટર વિસ્તારમાં કેરીની ખેતી કરવામાં આવે છે. ગુજરાતમાં કેરી માટેના આંબાનું સૌથી વધુ વાવેતર વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, કચ્છ અને સુરત જિલ્લામાં થાય છે.
ગુજરાતની તલાલા ગીરની કેસર કેરી સમગ્ર વિશ્વમાં સૌથી વધુ પ્રખ્યાત છે, જેની ગુણવત્તાના કારણે આ કેરીને જીઆઇ ટેગ એટલે કે જીઓગ્રાફિકલ ઇન્ડિકેશન ટેગ પણ પ્રાપ્ત થયેલ છે.
ગીર ઉપરાંત કચ્છમાં પણ કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. કેસર ઉપરાંત, જ્યમાં મુખ્યત્વે હાફુસ, રાજાપુરી, તોતાપુરી, સોનપરી વગેરે જેવી કેરીની જાતો ઉગાડવામાં આવે છે.
ગુજરાતમાં આ વર્ષે વિવિધ જિલ્લાઓમાં થયેલુ કેરીનું ઉત્પાદન
જિલ્લાનું નામ - વાવેતર વિસ્તાર (હેક્ટર) - ઉત્પાદન (મેટ્રિક ટન)
વલસાડ - 38033 - 209182
નવસારી - 34878 - 217988
ગીર સોમનાથ- 18450 - 112545
કચ્છ - 12470 - 84796
સુરત - 10239 - 62970
બાવળા ગામા ઇરાડિયેશન પ્લાન્ટ
અમદાવાદના બાવળા ખાતે સ્થપાયેલી ગુજરાત એગ્રો રેડિયેશન પ્રોસેસિંગ ફેસિલિટી ખાતે આ વર્ષે લગભગ 210 મેટ્રિક ટન કેસર કેરીનું ઇરાડિયેશન કરીને તેની વિદેશોમાં નિકાસ કરવામાં આવી છે.
બાવળા સ્થિત આ યુનિટ ગુજરાતનું પહેલું અને ભારતનું ચોથું USDA-APHIS સર્ટિફાઇડ ઇ-રેડિયેશન યુનિટ છે. ગત વર્ષે પણ લગભગ 2 લાખ કિલોથી વધુ કેસર કેરીઓનું ઇ-રેડિયેશન કરીને તેની નિકાસ કરવામાં આવી હતી.
આ યુનિટ સ્થપાયું તે પહેલા ગુજરાતના કેરીની ખેતી કરતા ખેડૂતોને મુંબઈ જઇને કેસર કેરીનું ઇરાડિયેશન કરાવવું પડતું હતું અને પછી તેઓ કેરીની નિકાસ કરતા, જેમાં કેરીનો બગાડ પણ થતો અને પરિવહન ખર્ચમાં પણ વધારો થતો હતો.
હવે બાવળા ખાતે ઇરાડિયેશન પ્લાન્ટ સ્થાપિત થવાથી ખેડૂતો હવે અમદાવાદ ખાતે જ કેરીઓનું ગામા ઇરાડિયેશન કરાવીને કેરીની નિકાસ કરે છે, અને તેમના પાકનો ઉત્તમ ભાવ પણ મેળવે છે.
કેરીનું ઉત્પાદન વધારવા માટે ઇન્ડો-ઇઝરાયેલ વર્ક પ્લાન
ઇન્ડો-ઇઝરાયેલ વર્ક-પ્લાન હેઠળ ગીર સોમનાથ જિલ્લામાં તાલાલા ખાતે નિર્મિત સેન્ટર ઓફ એક્સેન્સ ફોર મેન્ગો ખાતે ખેડૂતોને કેરીના પાક માટે ટેક્નિકલ માર્ગદર્શન અને તાલીમ આપવામાં આવે છે.
આ ઉપરાંત ખેડૂતોને ઘનિષ્ઠ ખેતી અને નવીનીકરણ માટેની તાલીમ અને એકમ વિસ્તારમાં વધુ ઉત્પાદન મેળવવા અંગેની ટેક્નિકલ જાણકારી આપવામાં આવે છે. અત્યાર સુધીમાં 2601 ખેડૂતોને તાલીમ આપવામાં આવી છે તેમજ 9382 જેટલી કલમોનો ઉછેર કરીને ખેડૂતોને તેનું વેચાણ કરેલ છે.
બાગાયત ખાતા દ્વારા કેરીના ઉત્પાદનને વધારવા 15.29 કરોડની આર્થિક સહાય
કેરીની ખેતી કરતા ખેડૂતોના જૂના આંબાના બગીચાઓ કે વાડીઓ, જેની ઉત્પાદન ક્ષમતા ઓછી હોય, તેવી વાડીઓનું નવીનીકરણ કરવા માટેની યોજના બાગાયત ખાતા દ્વારા અમલી છે. આ યોજનાને પરિણામે ખેડૂતોની આંબાની જૂની વાડીઓ નવીનીકરણ પછી સારું ઉત્પાદન આપતી થઈ છે.
આ ઉપરાંત, બાગાયત ખાતા દ્વારા ખેડૂતો માટે વિવિધ સહાયલક્ષી યોજનાઓ અમલી છે જેમાં આંબા પાક માટે અતિ ઘનિષ્ઠ ખેતીથી વાવેલ ફળપાકો, ઘનિષ્ટ ખેતીથી વાવેલ ફળપાકો માટે, વધુ ખેતી ખર્ચના ફળપાકો સિવાયના ફળપાકોમાં સામાન્ય અંતરે વાવેલા ફળપાક માટે સહાય, બાગાયતી પાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં 90% સહાય ઉપરાંત ફળપાકોના વાવેતર માટે પ્લાન્ટીંગ મટીરીયલમાં વિશેષ સહાય આપવામાં આવી રહી છે.
બાગાયત ખાતા દ્વારા કેરીની ખેતી કરતા ખેડૂતોને કેરીના વાવેતર માટે અંદાજે ₹15.29 કરોડની આર્થિક સહાય ચૂકવવામાં આવી છે.












Click it and Unblock the Notifications
