NHSRCL: બુલેટ ટ્રેનના રૂટમાં આવતા 1 વૃક્ષ કપાત સામે 10 વૃક્ષો ઉગાડાશે
ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે દોડનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેનના રૂટમાં આવતા હજારો વૃક્ષો કપાઈ રહ્યા છે.
ગુજરાતના અમદાવાદથી મહારાષ્ટ્રના મુંબઈ વચ્ચે દોડનારી હાઈસ્પીડ બુલેટ ટ્રેનના રૂટમાં આવતા હજારો વૃક્ષો કપાઈ રહ્યા છે. આ રૂટમાં 60 હજારથી વધુ વૃક્ષો આવે છે. જેમાંના 25 હજાર વૃક્ષોને નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ(NHSRCL)એ ટ્રાન્સપ્લાન્ટ કરવાની વાત કરી છે. આ વૃક્ષો ટેકનીક દ્વારા તેના મૂળ સ્થાનેથી ઉખાડી બીજી જગ્યાએ ઉગાડાશે. સાથે જ જે વૃક્ષો કપાશે તેની ભરપાઈ માટે 10 નવા વૃક્ષો ઉગાડવાનો વાયદો કર્યો છે. આ કામ માટે એનએચઆરસીએલ દ્વારા સ્થાનીક વહીવટને 25 હજાર રૂપિયા ચૂકવાશે, જેથી વધુને વધુ વૃક્ષો વાવી શકાય.
60 હજાર વૃક્ષોમાંથી 25 હજારનું ટ્રાન્સપ્લાન્ટ
એનએચઆરસીએલના અધિકારીઓનું કહેવું છે કે બુલેટ ટ્રેનના રૂટમાં આવનારા 60 હજારથી વધુ વૃક્ષોમાંથી આશરે 4 હજાર અમદાવાદ જિલ્લાની હદમાં આવે છે. જ્યારે બુલેટ ટ્રેન માટે ગુજરાતના કુલ 8 જિલ્લામાં જમીન-અધિગ્રહણ થઈ રહ્યુ છે. અધિકારીઓના કહ્યા પ્રમાણે જમીન-અધિગ્રહણ પૂરું થયા બાદ આ રૂટ પર આવનારા વૃક્ષો હટાવવાનું કામ શરૂ થશે. મોટાભાગના જિલ્લામાં ખેડૂતો જમીન અધિગ્રહણના વળતરને લઈ સંતુષ્ટ થઈ ગયા છે.
જમીન-અધિગ્રહણ બાદ હટાવાઈ રહ્યા છે વૃક્ષો
આ પહેલા NHSRCLના મેનેજીંગ ડાયરેક્ટર અચલ ખરે એ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં આવી રહેલી અડચણોની વાત કરી હતી. જેમાં ખરે એ જણાવ્યુ કે દેશની પહેલી હાઈસ્પીડ ટ્રેન 2023ના અંત સુધીમાં દોડતી થઈ જશે. આ હાઈ સ્પીડ ટ્રેનની સ્પીડ 320 કિમી પ્રતિ કલાક રહેશે. તેમાં મુસાફરી માટે લગભગ 3000 રૂપિયાની કિંમત ચૂકવવી પડશે. જેમાં લગભગ 2.07 કલાકમાં 508 કિમીનું અંતર કાપી શકાશે.
રૂટ માટે કુલ 1,380 હેક્ટર જમીન અધિગ્રહણ થશે
જમીન અધિગ્રહણ વિશે વાત કરતા ખરેનું કહેવું છે કે આ પરિયોજના માટે જરૂરી 1,380 હેક્ટર જમીન અધિગ્રહણ કરાશે. જેમાંની 360 હેક્ટર જમીન ગુજરાતમાંથી અધિગ્રહણ કરાશે. ગુજરાતના ખાનગી જમીન માલીકોને તેમના વળતર માટે 18,00 કરોડ રૂપિયાની ભરપાઈ કરાઈ છે. ગુજરાતમાં 5400 અંગત ભૂમીખંડોનું અધિગ્રહણ કરવાની જરૂર છે. 2600 ભૂખંડો માટે સહમતિ કરાર પર હસ્તાક્ષર થયા છે અને તેની ભરપાઈ કરાઈ છે.
કયા જિલ્લામાં કેટલું જમીન-અધિગ્રહણ
ગુજરાતના નાણા મંત્રી નીતિન પટેલના જણાવ્યા પ્રમાણે 3 વર્ષોમાં બુલેટ ટ્રેન પરિયોજના માટે રાજ્યના કુલ 8 જિલ્લામાંથી 74,62,493 વર્ગ મીટર જમીન અધિગ્રહણ પ્રકિયા થઈ. જે મુજબ આણંદમાં 47,7672 વર્ગ મીટર, ખેડામાં 10,93,987 વર્ગ મીટર, વડોદરામાં 9,51,783 વર્ગ મીટર, ભરૂચમાં 12,83,814 વર્ગ મીટર, સુરતમાં 14,11,997 વર્ગ મીટર, નવસારીમાં 8,62,088 વર્ગ મીટર અને વલસાડમાં 1,09,389 વર્ગ મીટર જમીનનું અધિગ્રહણ કરાઈ રહ્યુ છે. એટલે કે ગુજરાતમાં 746 હેક્ટરથી વધુ જમીન અધિગ્રહણ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે.
બુલેટ ટ્રેન રૂટ પર ચાર મોટા નિર્માણ કાર્ય
ખરેના જણાવ્યા પ્રમાણે આ રૂટ પર ચાર મોટા નિર્માણ કાર્ય માટે પેકેજ જાહેર કરાયુ છે અને નિર્માણ કાર્ય માર્ચ 2020થી શરૂ થવાની શક્યતા છે. તેમણે જણાવ્યુ કે, અનુમાન અનુસાર આ પરિયોજનામાં 1.08 લાખ કરોડ રૂપિયાની રકમ જશે અને આ પરિયોજનાને ડિસેમ્બર 2023 સુધી પૂરું કરવાના પ્રયત્નો કરાઈ રહ્યા છે.
આ પ્રોજેક્ટથી 25,000 લોકોને રોજગારીનો દાવો
લોકોને રોજગાર પૂરું પાડવાનો વાયદો કરતા ખરેએ કહ્યું કે બુલેટ ટ્રેન પરિયોજના હેઠળ 25,000 લોકોને રોજગાર અપાશે. 3500 લોકોને પરિચાલન અને દેખભાળ માટે એનએસએસઆરસીએલ દ્વારા રોજગારી અપાશે. સાથે જ અપ્રત્યક્ષ રોજગારીની પણ મોટાપાયે સંભાવના છે. અનુમાન પ્રમાણે અપ્રત્યક્ષ રોજગાર પ્રત્યક્ષ રોજગારથી ચાર ગણું હશે.
રાહત અને પુનર્વસન માટે 17,000 કરોડ ખર્ચાશે
બુલેટ ટ્રેન અમદાવારના સાબરમતીથી મુંબઈ બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્ષ વચ્ચે ચાલશે. રેલ્વે વિભાગના અધિકારીઓએ કાલુપર અને સાબરમતીમાં મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબની યોજના સાથે સાબરમતી અને સરસપુરમાં સ્ટેશન માટે ડિઝાઈનનું અનાવરણ કર્યુ. આ સમયે અધિકારીઓએ જણાવ્યુ કે મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પરિયોજના માટે રાહત અને પુનર્વસન માટે લગભગ 17,000 કરોડ રૂપિયા ખર્ચ થશે.
ગુજરાતના 8 જિલ્લામાં જમીન-અધિગ્રહણ
ખરેના જણાવ્યા પ્રમાણે ગુજરાતના 8 જિલ્લામાં જમીન અધિગ્રહણની પ્રક્રિયા ચાલી રહી છે. જે મુજબ અત્યારે અમદાવાદ 60 ટકા, વડોદરામાં 70 ટકા કામ પૂરું થઈ ચૂક્યુ છે. અને મને જણાવતા ખુશી થઈ રહી છે કે અત્યાર સુધીનું તમામ અધિગ્રહણ ખુશીથી થયુ છે.
મહારાષ્ટ્રના 17 ગામ બચ્યા જ્યાં અધિગ્રહણ થવાનું છે
મહારાષ્ટ્રમાં કરાઈ રહેલા જમીન અધિગ્રહણ વિશે વાત કરતા તેમણે કહ્યુ કે મહારાષ્ટ્રમાં પાલધર અને ઠાણેમાં 97 ગામ બુલેટ ટ્રેનના રૂટ પર છે. તેમાનાં 97 ગામોમાં માત્ર 17 ગામ જ બચ્યા છે, જ્યાં સંયુક્ત માપ સર્વેક્ષણ ચાલી રહ્યુ છે. ઉપરાંત એનએચઆરસીએલ પ્રસ્તાવિત બુલેટ ટ્રેન માર્ગ પર આવનારા 5 તેલના કુવા માટે ઓએનજીસીને વળતર રૂપે 25 કરોડ રૂપિયાની ભરપાઈ કરાશે.
સપ્ટેમ્બર 2017માં રખાઈ છે બુલેટ ટ્રેનની આધારશીલા
14 સપ્ટેમ્બર 2017ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં જાપાની પ્રધાનમંત્રી શિંઝો અબે સાથે બેઠક કરી હતી. ત્યારે જાપાનના સહકારથી 1.08 લાખ કરોડની અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પરિયોજનાની આધારશિલા મુકાઈ હતી. આ પરિયોજનાને 2022સુધી પૂરીં કરવાનું લક્ષ્ય રખાયુ હતુ. અમદાવાદ અને મુંબઈ વચ્ચે 508 કિલોમીટરની આ પરિયોજના માટે ગુજરાત, દાદરા નાગર હવેલી અને મહારાષ્ટ્રમાં કુલ 1380 હેક્ટરમાં જમીન અધિગ્રહણ કરાશે.
જાપાને 88,000 કરોડનું દેવું આપવાનો કર્યો છે વાયદો
મોદી-શિંઝોની મુલાકાતમાં નક્કી થયુ છે કે જાપાન સરકાર આ સુપર-સ્પીડ ટ્રેન માટે ભારતને 88,000 કરોડ રૂપિયાનું દેવું આપશે. ત્યારથી આ પરિયોજના માટે રચાયેલી નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ માટે ડિસેમ્બર 2018 સુધી તમામ જમીન અધિગ્રહણની કામગીરી કરી દેવાનો નિર્દેશ કર્યો હતો. જો કે સરકાર દ્વારા ધાર્યા અનુસાર કામ થઈ શક્યુ નથી. કાર્યકાળ પૂરોં થયાના 8 મહિના વીતી ગયા છતાં કુલ જમીનના 50 ટકાનું પણ જમીન અધિગ્રહણ થઈ શક્યુ નથી.
આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસાની સીઝન પૂરી નથી થઇ, અહીં 1000 મીમી વરસાદ થયો