હું પાર્ટી નહીં છોડું, વાત ખાતાની નથી સન્માનની છે : નીતિનભાઈ પટેલ
નીતિન પટેલે આખરે આપી સ્પષ્ટતા. કહ્યું હા હું પાર્ટીથી નારાજ છું કારણ કે વાત મારા માન સન્માનની છે. સાથે જ કહ્યું હું પાર્ટી છોડીને ક્યાંય નથી જવાનો.
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આખરે તેમની નારાજગી અંગે મીડિયાને સ્પષ્ટતા આપી છે. શનિવાર સવારથી જ એક પછી એક તેમના ત્યાં પાટીદાર નેતાઓનો જમાવડો અને ભાજપના બીજા તમામ નેતાઓની ચુપ્પી પછી નીતિન ભાઇએ બપોરે મીડિયા સમક્ષ આવીને તેમના ઘરની બહાર જ નારાજગી અંગે પ્રતિક્રિયા આપી હતી. નીતિન પટેલે મીડિયાને જણાવ્યું હતું કે "હું પાર્ટી નહીં છોડું, વાત ખાતાની નથી સન્માનની છે." વધુમાં નીતિન પટેલે જણાવ્યું કે તેમણે તેમની લાગણી પાર્ટી સમક્ષ રજૂ કરી છે. અને સાથે જ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે પાર્ટી આ વાતનો યોગ્ય નિર્ણય લેશે.
વળી તેમણે બે વાર આ અંગે મીડિયાને સ્પષ્ટતા આપી કે તે ખાતાની વહેંચણી અંગે નારાજ નથી પણ અહીં સવાલ મારા માન સન્માનનો છે. જો કે તેવું માનભંગ કેવી રીતે થયું તે અંગે નીતિન પટેલે કોઇ પણ સ્પષ્ટતા આપવાનું ટાળ્યું હતું. નોંધનીય છે કે ખાતા ફાળવણી થઇ તે પછીથી નીતિન પટેલ નારાજ છે તે વાતે વેગ પકડ્યો છે. વધુમાં નીતિનભાઇ પાસેથી ગૃહ અને નાણાં જેવા મહત્વના ખાતા પણ લઇ લેવામાં આવ્યા છે. સાથે જ આજ સવારથી લાલજી પટેલ, નરોત્તમ પટેલ જેવા નેતાઓ નીતિન પટેલને તેમના નિવાસ સ્થાને મળવા પહોંચ્યા છે. તો બીજી તરફ સવારથી આ મામલે ભાજપના તમામ નેતા ચુપ છે. ત્યારે આખરે આ મામલે નીતિન પટેલ સ્પષ્ટતા આપી છે.