લોકસભા ચૂંટણીથી ગુજરાત શિક્ષણ બોર્ડની પરીક્ષાનો કાર્યક્ર્મ બદલાશે નહીં
માર્ચ 2014માં યોજાનારી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા નિર્ધારિત કાર્યક્રમ મુજબ જ યોજાશે. લોકસભાની ચૂંટણીના કારણે બોર્ડની પરીક્ષા કેટલાક દિવસ સુધી મોકૂફ કરાશે તેવી અફવાઓ ચાલી રહી હતી પરંતુ બોર્ડના ચેરમેન આર આર વરસાણીએ આવી અફવાઓને રદિયો આપ્યો છે.
તેમનું કહેવું છે કે બોર્ડની ઓફિસને આ સંબંધમાં ખુલાસો કરવા ધણી બધી રજૂઆતો મળી હતી. જેના પરિણામ સ્વરૂપે હવે સ્પષ્ટતા કરવામાં આવી છે કે બોર્ડની પરીક્ષા નિર્ધારિત સમય મુજબ જ યોજાશે. માર્ચના બદલે ફેબ્રુઆરીમાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષા થઈ શકે છે તેવી શક્યતાને લઈને લોકો પ્રશ્નો કરી રહ્યા હતા.
હવે બોર્ડ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે પરીક્ષા 13મી માર્ચથી નિર્ધારિત રીતે શરૂ થશે. વહેલી તકે પરીક્ષાનો કોઈ પ્રશ્ન નથી. ધોરણ 10 બોર્ડની પરીક્ષા માટે 7.75 લાખ વિદ્યાર્થીઓ નોંધાઈ ચૂક્યા છે જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહ માટે 3.10 લાખ વિદ્યાર્થીઓ નોંધાયા છે.
જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે 1.10 લાખ વિદ્યાર્થીઓ નોંધાઈ ચૂક્યા છે. બોર્ડની પરીક્ષા માટે નોંધણીની છેલ્લી તારીખ 15મી નવેમ્બર રાખવામાં આવી છે. કેટલાક લોકોએ નોંધણી માટેની છેલ્લી તારીખ 30મી નવેમ્બર કરવાની પણ રજૂઆત કરી છે. કારણ કે નોંધણીની પ્રક્રિયાની જાહેરાત 15મી ઓક્ટોબરથી કરાઈ હતી.