ગુજરાતમાં નોટરીના રેટમાં સુધારો, નિયમો વધારે કડક બન્યા
ગાંધીનગર, 2 સપ્ટેમ્બર : કેન્દ્ર સરકારના કાયદા અને ન્યાય મંત્રાલય હસ્તક નોટરી સેલના જાહેરનામા મુજબ નોટરીઓએ નોટરીની કામગીરી માટે જાહેર જનતા પાસેથી લેવાતી જતી ફીના દરોમાં સુધારો કર્યો છે. ગુજરાતમાં આ સુધારેલા દરો અમલી બન્યા છે.
નવા સુધારેલા દરોમાં લેખ નોંધવા માટે લેખની રકમ રૂ. 10,000/- કરતા વધુ ન હોય તો રૂ. 50/- લેખની રકમ રૂ. 10,000/- કરતા વધુ પણ રૂ. 25,000/- કરતાં વધુ ન હોય તો રૂ. 100/-.
લેખની કિંમત રૂ. 25,000/- કરતાં વધુ પણ રૂ. 50,000/- કરતા વધુ ન હોય તો રૂ. 150/- અને લેખની કિંમત રૂ. 50,000/- કરતાં વધુ હોય તો રૂ. 200/- લેવાના રહેશ. લેખનો વિરોધ કરવા માટે લેખની રકમ રૂ. 10,000/- કરતાં વધુ ન હોય તો રૂ. 50/-, લેખની રકમ રૂ. 10,000/- કરતા વધુ પણ રૂ. 25,000/- કરતા વધુ ન હોય તો રૂ. 100/-, લેખની કિંમત રૂ. 25,000/- કરતા વધુ પણ રૂ. 1,00,000/- કરતા વધુ ન હોય તો રૂ. 150/- અને લેખની કિંમત રૂ. 1,00,000/- કરતા વધુ હોય તો રૂ. 200/- લેવાના રહેશે. સ્વીકારવાની ચૂકવણીની જાહેરાત નોંધવા માટે રૂ. 100/-, વિરોધ અરજીની બીજી નકલ માટે અસલની અડધી રકમ લેવામાં આવશે.
આ ઉપરાંત કોઇપણ લેખની બજવણીની ખરાઇ કરવા, પ્રમાણિતકરણ, પ્રમાણિત કરવા અથવા શાખ કરવા માટે રૂ. 35/-, સુદૃઢ જામીનગીરીના સ્વીકાર અથવા ચૂકવણી અથવા માંગણા માટે કોઇપણ પ્રોમીસરી નોટ, હુંડી અથવા વિનિયમપત્ર રજૂ કરવા માટે રૂ. 50/- અને કોઇપણ વ્યકિતનું સોગંદનામું કરવા માટે રૂ. 35/- લેવાશે.
કોઇપણ ખત અમલમાં લાવવા ધારેલ હોય તે સ્થળના કાયદાને અનુરૂપ હોય તેવા નમૂનામાં અને ભાષામાં ભારત બહારના કોઇપણ સ્થળ અથવા કોઇપણ દેશમાં અમલમાં લાવવા ધારેલ કોઇપણ ખત તૈયાર કરવા તેમજ ખતની શાખ કરવા અથવા પ્રમાણિત કરવા માટે રૂ. 200/-, એક ભાષામાંથી બીજી ભાષામાં કોઇપણ દસ્તાવેજનું ભાષાંતર કરવા અને ભાષાંતરની ખરાઇ કરવા માટે રૂ. 100/- લેવામાં આવશે.
શીપ પ્રોટેસ્ટ, પ્રોટેસ્ટ અથવા ડમરેજને લગતા પ્રોટેસ્ટ અને બીન વાણિજિયક બાબતો નોંધવા-તૈયાર કરવા માટે રૂ. 200/-, અસલની ખરી નકલો કરી દસ્તાવેજની નકલો પ્રમાણિક કરવા માટે પાના દીઠ રૂ. 10/- અને ઓછામાં ઓછા રૂ. 20/- તેમજ બીજા કોઇપણ નોટરી કામ માટે સરકાર વખતો વખત નક્કી કરે તેટલી રકમ લેવાની રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે રાજય સરકારે નિમણૂંક કરી હોય તેવા તમામ નોટરીઓએ જાહેરહિતમાં નોટરી ફીના સુધારેલા દરો દર્શાવતા બોર્ડ તેમના કામના સ્થળે લોકો સહેલાઇથી જોઇ શકે તે રીતે મૂકવાના રહેશે. દરેક નોટરીએ નક્કી કરાયેલા દરો કરતા વધુ ન હોય તેટલી ફી લઇ શકશે તેમ કાયદા વિભાગની યાદીમાં જણાવાયું છે.