વિવેકાનંદ મુદ્દે ગડકરી સામે રાજકોટની કોર્ટમાં કેસ દાખલ
થોડા દિવસો પહેલા સ્વામી વિવેકાનંદની સરખામણી દુનિયાના સૌથી વધુ ક્રૂર અને ભારતના સૌથી મોટા દુશ્મન એવા દાઉદ ઇબ્રાહિમ સાથે કરી બેઠેલા ભાજપના પ્રમુખ નીતિન ગડકરી સામે જામનગરની ચીફ કોર્ટમાં ધાર્મિક લાગણી દુભાવવા બદલ ફરિયાદ થઇ હતી.
હવે આવી જ ફરિયાદ રાજકોટની ચીફ કોર્ટમાં પણ કરવામાં આવી છે. રાજકોટના વકીલ અશોક સિંહ વાઘેલાએ આઈપીસીની કલમ 295 (એ), 298 અને કલમ 38 હેઠળ ફરિયાદ દાખલ કરી છે. ફરિયાદમાં તેમણે ગડકરીની સાથે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા નિર્મલા સીતારમણને પણ લપેટમાં લીધા છે. તેમણે નિર્મલા સીતારમણ પર ગડકરીને મદદ કરવાનો આરોપ લગાવ્યો છે.
અશોક વાઘેલાએ જણાવ્યું છે કે "નીતિન ગડકરીએ સ્વામી વિવેકાનંદની આવી તુલના કરવા માટે જાહેરમાં માફી માગવી પડશે, તેઓ માફી નહીં માગે તો અમે હિન્દુ સંગઠનો એક થઈને દેશભરના ગામેગામથી ગડકરી પર કેસ દાખલ કરાવીશું અને ગડકરીની સાથે નરેન્દ્ર મોદીનો પણ બહિષ્કાર કરીશું."
આ ફરિયાદને આધારે રાજકોટની ચીફ જુડિશ્યલ કોર્ટે નીતિન ગડકરીને 23 નવેમ્બરે કોર્ટમાં હાજર થવાનો આદેશ આપ્યો છે.